હિમાલયના શાંત ને એકાંત પર્વતપ્રદેશમાં,
તારા પ્રેમ ને પ્રકાશનું મંગલ મહાદાન મેળવવાના
મનોરથથી પ્રેરાઈને મેં પલાંઠી વાળી છે.
આજ સુધીના પૂજારીની મને ખબર નથી,
પણ મારી પૂજા કૈંક નિરાળી છે.
ગુલામી મને સાલે છે,
ને માનવજાતિની પીડા, અશાંતિ ને વેદનાની વીણા પણ
મારા એકાકી અંતઃપુરમાં વાગી રહી છે.
સંસ્કૃતિના સર્વોત્તમ શિખર પર આરૂઢ થયેલી
આ દેશની પ્રજા પાર વિનાનાં બંધનની પીડામાંથી મુક્તિ મેળવે
ને સમસ્ત સંસાર શાંતિના સુધામય સંગીતસ્વરથી સંવાદી બને,
એવી મારી ઈચ્છા છે.
તેને માટે તને પ્રાર્થના કરું છું.
એટલે જ જ્યારે બંધાયેલાં મુક્તિ મેળવશે
ને અશાંત શાંતિ પામશે,
ત્યારે મારું હૈયું હસી ઊઠશે.
મારો ને એ રીતે તારો ફાળો પણ
એ મહાકાર્યમાં કાંઈ ઓછો મહત્વનો નહિ હોય.
- શ્રી યોગેશ્વરજી

