પ્રભુ સાથે જીવન જોડ્યું રે,
ફિકર ન કરશો મારી.
સ્વજનો ગણો જો સાચાં,
સાથ ધર્યો તેવો ધરજો;
શુભચિંતક બનતાં ફરજો રે...ફિકર...
મોટેરાં માનો તમને
આશિષ ધરજો તો અમને;
નિશ્ચિંત બનીને રહેજો રે...ફિકર...
મારાં સગાંસંબંધી જોગી,
બનવું છે મારે યોગી;
ધીરજ ને હિંમત ધરજો રે....ફિકર...
તમે ફિકરની ફાકી કરજો,
આશંકાને પરહરજો;
ખીલે ફૂલડાં તે જોજો રે...ફિકર...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પોતાનું નાનું સંતાન પ્રભુમાર્ગે સ્થિર થવા મથતું હોય ત્યારે પણ મમત્વના ભાવે માતાપિતા કોઈકવાર ચિંતા કરતાં જણાય છે. ત્યારે સાધક પોતાનાં સ્વજનોને, વડીલોને, માતાપિતાને વિનંતિ કરે છે.
સાધક કહે છેઃ મેં તો પ્રભુ સાથે જીવન જોડ્યું છે. આપ સૌ કૃપા કરીને મારી ચિંતા છોડી દો.
સાધકને જે સુયોગ્ય રીતે સમજે ને સહકાર આપે તે જ તેનાં સ્વજનો ગણાય. લોહીની સગાઈ તે સ્વજન એ માન્યતા સાધનાક્ષેત્રે ખોટી ઠરે છે. સ્વજન તો એક પ્રભુ જ, અને એને સમજનારાં પણ સ્વજન ગણાય. લોહીની સગાઈથી સ્વજનો કે વડીલો મનાતાં હોય તો તેવા સ્વજનોનું કર્તવ્ય અગાઉ સમજપૂર્વકનો સહકાર આપ્યો તેવો સહકાર આપવાનું છે. વળી, આશિષ વરસાવીને શુભેચ્છા સાથે તેમને નિશ્ચિંત રહેવાનું છે. કારણ કે, સાધકનાં સગાં તો યોગીઓ, સિદ્ધપુરુષો છે. સાધક પણ એ જ રીતે યોગી બનવા મથે છે તો સગાંએ ધીરજ ને હિંમત ધરવી. સાધકના પ્રભુ પ્રત્યે પ્રગટતા જીવનને જોઈને સગાંએ પ્રસન્ન અને નિશ્ચિંત બનવાનું છે.
પૂજ્ય શ્રી યોગેશ્વરજી સાથે વિદેશની યાત્રા થઈ ત્યારે અમેરિકામાં આ પદ લખાયું. અમારા પિતાજીનો પત્ર હતો કે, નિયમિત સમાચાર લખવા જેથી ચિંતા ના થાય. એ પત્રનો પ્રત્યુર આ પદમાં લખાયો.

