મારો સ્વજન બન્યો શામળિયો,
પેલો નંદકુંવર મનગમતો...મારો સ્વજન
કુળમાંહી વિરોધ જગાવે, મમતાનાં બંધ કાપે,
એ રીતે પ્રભુ પ્રતિ વાળે, અવનવી કૃપા વરસાવે..મારો સ્વજન
પ્રભુ માર્ગે મદદ કરે છે, તે સ્વજન ગણાયે સાચે,
એવો સ્વજન બન્યો પ્રભુ પોતે, આનંદની હેલી આજે..મારો સ્વજન
સુખદુઃખ સંભળાવું એને, ઠામ મળ્યું ઠરવાનું એ,
દિવ્યરૂપ ધરી સંભાળે, મારી જીવનનાવ ચલાવે..મારો સ્વજન
દિવ્યદેહે કાર્ય કરે છે, ભક્તોને નિત રક્ષે છે,
કોઈ જુએ ના જુએ એને કાયમ સંગાથ રહે છે..મારો સ્વજન
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : આલાપ દેસાઈ
રચના સમયના મનોભાવો
પ્રભુપંથે જેમ જેમ આગળ વધાયું તેમ તેમ પ્રભુ ફક્ત મંદિર, તસ્વીર, મૂર્તિમાં જ નહીં પણ મારો સ્વજન બનીને જાણે મારી સાથે જ રહે છે એવું અનુભવવા મળ્યું. એ મારી સાથે જ રહેવા લાગ્યો છે એવું સમજીને એને જ મેં મારા સુખદુઃખ પણ કહેવા માંડ્યા.
વિરોધના વંટોળો પ્રભુપ્રતિ કૃપા વરસાવનારા લાગ્યા. દિવ્ય દેહ ધરીને સાચા શરણાગતને પ્રભુ રક્ષે છે. પોતાના પ્રિય સ્વજનરૂપે તે જીવનમાં પધારે છે. અનૂભૂતિનો એ રણકાર આવા પદોમાં વ્યક્ત થાય છે.

