Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ભગવાન શ્રીકૃષ્ણ સામાન્ય માનવીની પેઠે પોતાના શરીરને છોડી ગયા હતા એવું વર્ણન શ્રીમદ્  ભાગવતમાં નથી મળતું. ભાગવતમાં તો જુદી જ જાતનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ સશરીર આ પૃથ્વીનો ત્યાગ કરી ગયા હતા, અદ્રશ્ય થઈ ગયા કે તિરોધાન થયા હતા એવો ઉલ્લેખ એમાંથી મળી આવે છે.

યોગી પુરૂષોને માટે એવી રીતે અદ્રશ્ય થવાનું અશક્ય નથી હોતું. પોતાનાં શરીર, મન તથા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ પર એમણે સંપુર્ણ વિજય પ્રાપ્ત કર્યો હોવાથી શરીર ધારવામાં, છોડવામાં અને અદ્રશ્ય થવામાં કે પ્રકટ બનવામાં એ સર્વ તંત્ર સ્વતંત્ર હોય છે. સિદ્ધ યોગીમાં એવી શક્તિ હોઈ શકે છે તો પછી ભગવાન શ્રીકૃષ્ણ તો યોગીઓના પણ યોગી હતા. એમનું શરીર એમની ઈચ્છાનુસાર અંતર્ધાન થયું હોય એમાં આશ્ચર્ય જેવું કશું જ નથી.

ભગવાન શ્રીકૃષ્ણના અંતર્ધાનના પ્રસંગની પુષ્ટિ ભાગવતના એકાદશ સ્કંધના એકત્રીસમાં અધ્યાયનું અવલોકન કરવાથી સહેલાઈથી થઈ રહે છે. એ અધ્યાયમાં કહ્યા પ્રમાણે ' ભગવાનના સારથિ દારૂકની વિદાય પછી બ્રહ્મા, શિવપાર્વતી, બ્રહ્માદિ લોકપાલ, મરીચિ જેવા પ્રજાપતિ, મોટા મોટા ઋષિ મુનિ, સિદ્ધ, પિતૃ, ગંધર્વ તથા વિદ્યાધર, નાગ, ચારણ, યક્ષ-રાક્ષસ, કિન્નર-અપ્સરા, તેમજ મૈત્રેય વગેરે મહા પ્રતાપી સંતપુરૂષો ભગવાન શ્રીકૃષ્ણના પરમધાન ગમનને જોવા માટે આવી પહોંચ્યા. એ બધા ભગવાનના જન્મ અને કર્મનું જયગાન કરી રહ્યા હતા. આકાશ એમનાં વિમાનોથી ભરાઈ ગયેલું. ખૂબ જ શ્રદ્ધાભક્તિથી એ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરી રહેલા.

શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્માને તથા પોતાની વિભૂતિરૂપ દેવતાને જોઈને પોતાના આત્માની સ્વરૂપમાં સ્થિતિ કરી અને કમલસદશ નેત્રો બંધ કરી દીધાં. ભગવાનનો શ્રીવિગ્રહ ઉપાસકોની ધ્યાનધારણાના મંગલમય આધારરૂપ અને બ્રહ્માંડના એકમાત્ર આશ્રયરૂપ છે. એટલા માટે યોગીઓની પેઠે એમણે એને અગ્નિ દેવતાસંબંધી ધારણા કરીને બાળી નાખવાને બદલે, પોતે સશરીર પોતાના ધામમાં ચાલ્યા ગયા.

એ વખતે સ્વર્ગમાં નગારાં વાગવા લાગ્યાં અને આકાશમાંથી ફૂલોની વર્ષા થવા માંડી. ભગવાનની ગતિ મન તથા વાણીથી પર હોવાથી, એ પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રહ્માદિ દેવ પણ એમને ના જોઈ શક્યા. મેઘમંડળને મૂકીને આકાશમાં પ્રવેશનારી ચપલાની ચાલને મનુષ્ય નથી જોઈ શકતા, તેવી રીતે મોટામોટા દેવતાઓ પણ એમની ગતિ સંબંધમાં કશું ના સમજી શક્યા. બ્રહ્મા તથા શંકર જેવા દેવો ભગવાનની એ પરમયોગમયી ગતિ જોઈને અત્યંત વિસ્મયપૂર્વક એમની પ્રશંસા કરતા પોતપોતાના લોકોમાં ચાલ્યા ગયા.’

ભગવાન શ્રીકૃષ્ણનું શરીર સામાન્ય શરીર ન હતું પણ યોગાગ્નિમય ભાગવતીતનું હતું અને એ પોતે સર્વેશ્વર હતા એટલે એમને માટે એવી રીતે સદેહે અંતર્ધાન થવાનું અસંભવ અથવા અઘરું ન હતું.

- શ્રી યોગેશ્વરજી