અમે કરીએ પ્રાર્થના, ના મંજૂર કરો તે,
નિરાશ તો પણ થઈએ નહીં, કૃપા કરી દો એ !
અમે ચહીએ એ ના આપો તો પણ થાય ન શોક,
આશિષ આપો, અમે કદી ના આંસુ સારિયે ફોક.
અમે કરીએ પ્રાર્થના, ન લક્ષમાં લો તે,
બીજું થાય છતાં ના ડગિયે, કૃપા કરી દો એ
સારું શું તે ના સમજ્યાથી, માગીએ કૈં વાર;
આપો ના, ત્યારે પણ શ્રધ્ધા છોડીએ ન લગાર.
અમે કરીએ પ્રાર્થના, કૈં ઈચ્છા રાખીને;
સફળ ન થાયે તોય બેસીએ આહ ન નાખીને.
અમે કરીએ પ્રાર્થના, ના મંજૂર કરો તે,
નિરાશ તોપણ થઈએ નહીં, કૃપા કરી દો એ.
- શ્રી યોગેશ્વરજી

