if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : જે આત્માઓ શરીરને છોડી વિદાય થાય છે એમનું શું થતું હોય છે ?

ઉત્તર : એવા આત્માઓ સંબંધી શાસ્ત્રોમાં જુદા જુદા છૂટક ઉલ્લેખો સાંપડે છે. એ આત્માઓની ગતિ એમના કર્મોને અનુસરીને થતી હોય છે. શુભ કર્મોવાળા આત્માઓની શુભ ગતિ થાય છે અને અશુભ કર્મોવાળાની અશુભ.

પ્રશ્ન : શરીરને છોડી જનારા આત્માઓ ફરી જન્મે છે ?

ઉત્તર : એક અથવા બીજી જાતની કામના, લાલસા કે ઈચ્છા અથવા વાસનાવાળા બધા જ આત્માઓ ફરી જન્મે છે, એટલે કે શરીર ધારણ કરે છે.

પ્રશ્ન : એ આત્માઓ તરત જ શરીર ધારણ કરે છે ?

ઉત્તર : એ સંબંધમાં કોઈ એકસરખો નિયમ નથી કામ કરતો. કેટલાક આત્માઓ તરત જ શરીર ધારણ કરે છે તો કેટલાકને વાર લાગે છે.

પ્રશ્ન : કેટલી વાર લાગે છે ?

ઉત્તર : એને માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી બતાવી શકાતી. કોઈ વાર વધારે વાર લાગે છે તો કોઈ વાર થોડી.

પ્રશ્ન : એ આત્મા એકલો જ રહેતો હોય છે ?

ઉત્તર : આત્મા એકલો તો કેવી રીતે રહી શકે ? એ સૂક્ષ્મ શરીરની સાથે જ રહેતો હોય છે. ત્યારે જ એ ક્રિયાશીલ બને છે.

પ્રશ્ન : સૂક્ષ્મ શરીરમાં રહેનારા આત્માઓની સાથે કોઈ પ્રકારે સંબંધ કરી શકાય ખરો ?

ઉત્તર : જરૂર કરી શકાય. એમની સાથે સંબંધ કરવાના પ્રયોગો કેટલાય લોકો કરતા હોય છે. એવા પ્રયોગોમાં એ સફળતા પણ મેળવે છે.

પ્રશ્ન : એવા પ્રયોગો અને એમની દ્વારા થનારા સંબંઘો હિતાવહ છે ?

ઉત્તર : એવા પ્રયોગો અને સંબંધો હિતાવહ છે એવું તો કેવી રીતે કહી શકાય ?

પ્રશ્ન : એ વાતને સપષ્ટ રીતે સમજાવો તો સારું.

ઉત્તર : એવા પ્રયોગો દ્વારા શરીર છોડી ગયેલા તદ્દન સામાન્ય કોટિના, દુન્યવી, વિષયલોલુપ આત્માઓ સાથે સંબંધ બાંધવાથી કોઈ ખાસ લાભ કે કલ્યાણ ના થઈ શકે, પરંતુ એ સંબંધ કોઈક અસામાન્ય આધ્યાત્મિક અથવા સંતકોટિના આત્માની સાથેનો હોય તો આત્મવિકાસમાં કલ્યાણકારક બને. આત્મોન્નતિની નવી પ્રેરણા ભરે ને જીવનની જડતાને દૂર કરીને જીવનને વિશુધ્ધ કરવાની સામગ્રી પૂરી પાડીને ચોક્કસ શક્તિસંચાર કરે. તેવા સંબંધ જ કલ્યાણકારક બની શકે છે, ને આશીર્વાદરૂપ ઠરે છે. તેવા સંબંધની પાછળ લગાડેલી શક્તિ સાર્થક ઠરે છે, ને તેને માટેના પ્રયોગોનો સમય પણ સફળ થાય છે. મનુષ્યની રુચી કે રસવૃત્તિ એના જીવનના મૂળભૂત મહાન ધ્યેયનું વિસ્મરણ કરાવે અને એને ભાન ભુલાવે તેવી ના હોવી જોઈએ. અધ્યાત્મમાર્ગના સાધકોએ એ વાત ખાસ યાદ રાખવાની છે.

પ્રશ્ન : ત્યારે સૂક્ષ્મ શરીરમાં રહેનારા સામાન્ય આત્માઓની સાથે સંબંધ બાંધવાથી કોઈ લાભ નથી થતો ?

ઉત્તર : જે લાભ થાય છે તે એટલો મોટો ને મહત્વનો નથી, અને એમની સાથે સંબંધ ના બાંધવાથી કોઈ નુકસાન તો નથી જ. સંબંધ જો બાંધી જ શકાતો હોય તો ઊંચી કોટીના દૈવી આત્માઓ કે સંતોની સાથે શા માટે ના બાંધવો ?

પ્રશ્ન : સૂક્ષ્મ શરીરમાં રહેતા એવા આત્માઓ કે સંતો આધ્યાત્મિક દોરવણી આપી શકે ?

ઉત્તર : આપણી અને એમની ઈચ્છા હોય તો જરૂર આપી શકે.

પ્રશ્ન : એ કોઈને મંત્ર કે દિક્ષા આપી શકે ?

ઉત્તર : આપી શકે.

પ્રશ્ન : એમના દર્શનની ઈચ્છા હોય તો ?

ઉત્તર : એ ઈચ્છે તો એમના અનુગ્રહથી દર્શન પણ આપી શકે ને બીજી અનેક રીતે મદદરૂપ થઈ શકે.

પ્રશ્ન : એમના એવા અનુભવો કોઈને થયા છે ?

ઉત્તર : આજ સુધી અસંખ્ય સાધકોને થયા છે. પરંતુ એવી વાત શા માટે કરો છો ? તમારી સાચી ને ઉત્કટ ઈચ્છા હશે તો એમના અનુગ્રહને પરિણામે પ્રાપ્ત થનારા એવા અનુભવો તમને પણ થઈ શકશે. એમને માટે સંકલ્પ કરો ને પ્રયત્નો કરવા મંડી પડો એટલી જ વાર છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.