સરોવરના પંકે સમીપવર્તી પંકને કહ્યું,
આ તે કાંઈ જીવન છે ?
આપણને કાંઈ જીવનનો ઉમંગ છે ?
સરિતા ને સમુદ્રની રેતી તો બડભાગી કહેવાય.
ત્યાં તો મન થાય તે જાય,
બધાં જ મળે, રમે અને આનંદ કરે.
સરિતા ને સમુદ્રની રેતી પર રમનારાં
પ્રેમીજનોની વાત તો ઠીક
બાળકો પણ પડી જવાની બીકે
આપણી પાસે નથી આવતાં.
સમીપસ્થ પંકે કહ્યું,
તારી વાત સાચી છે.
આપણી ત્રુટિઓ અનેક છે
અને આપણા અસંતોષનોય અંત નથી
કિન્તુ આપણું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય એ છે
કે આપણા અંદર
કમનીયતા તથા સરસતાની સૃષ્ટિ જેવું
કમળ ઊગે છે ને ખીલે છે.
એ એક જ અસાધારણ સૌભાગ્યને સારુ
સંસારના સમસ્ત અસંતોષ, દુઃખ
ને પરિતાપને સહવા પડતા હોય
તો સસ્મિત સહવા જોઈએ.
પંકનો પીડાભાર સહેજ હળવો થયો.
- શ્રી યોગેશ્વરજી

