અમે ધારીએ તો આસમાનને અડી શકીએ,
ધરતીને ધ્રૂજાવી શકીયે;
પર્વતોને પાર કરીયે,
નદીઓને નાથી લઈએ,
ગ્રહનક્ષત્રોમાં ઘૂમી વળીએ;
રણમાં રાજપ્રાસાદ રચીયે
અને રાજપ્રાસાદમાં રણ ભરીયે.
ભરદરિયે ડોલન કરીએ.
ધારીએ તો અમે શું ના કરીયે ?
ત્યાં તો પળવારમાં પૂર આવ્યું,
સરિતા મદોન્મત્ત બની, હિલોળે ચઢી,
આજુબાજુ બધે જ ફરી વળી.
વાતે વળગેલા દોસ્તોએ દોટ મૂકી
કિન્તુ મારગ ના મળ્યો;
સરિતા એમને આરોગીને અટ્ટહાસ્ય કરવા લાગી.
- શ્રી યોગેશ્વરજી