if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આટલે સુધી જ્ઞાનની વાત કહીને ભગવાન કહે છે, કે હે અર્જુન, હવે તને યોગબુદ્ધિ વિશે કહું છું તે સાંભળ. આ બુદ્ધિથી શો લાભ થશે ? ભગવાન ઉત્તર આપે છે કે તેથી કર્મના બંઘનનો નાશ થશે. આટલું તો કહ્યું, પણ કર્મબંધનનો નાશ કરનારી યોગબુદ્ધિનું સાંગોપાંગ વર્ણન કરવાને બદલે તે આ લોક ને પરલોકના સુખવૈભવ કે ભોગવિલાસની ઈચ્છાવાળા માણસો જે જાતનાં કર્મો કરે છે તેની જરા વાત કરે છે. આ વાત પણ મહત્વની હોવાથી આપણે તેનો ઉડતો ઉલ્લેખ કરી જઈશું.

આ સંસારમાં માનવસમાજનો એક વર્ગ એવો છે કે જે આ સંસારમાં વધારે ને વધારે ભોગ મેળવવાની ઈચ્છા રાખે છે, ને આ જીવન દરમ્યાન જ સ્વર્ગ જેવા કોઈ સુખમય લોકમાં-રેલ્વેમાં સીટ રીઝર્વ થાય છે તેમ-પોતાનું સ્થાન રીઝર્વ થાય તેવી ઈચ્છા રાખે છે ને તે ઈચ્છા પૂરી કરવા યજ્ઞ જેવાં વેદમાં કહેલા કર્મ પણ કરે છે. ગીતાએ આવા માણસોને ઉત્તમ કોટિના નથી માન્યા. ગીતાની દૃષ્ટિએ તેવા માણસો કૃપણ છે, ટૂંકી દૃષ્ટિના છે. માણસને બાંધનારી બેડી લોઢાની હોય કે સોનાની પણ તે બેડી છે જ, ને તેને બાંધવાનું કામ કરે છે, વળી ઝેર પિત્તળના પ્યાલામાં પીવામાં આવે કે ચાંદીના પ્યાલામાં, તે ઘાતક નીવડે છે એ નક્કી છે. તે જ પ્રમાણે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવાનું જ બરાબર છે. સંસાર ને સ્વર્ગના વિનાશી પદાર્થોની લાલસા રાખી અનેક જાતના કર્મ કરવામાં અજ્ઞાન જ રહેલું છે.

જો ઈચ્છા રાખવી જ છે તો જે વિનાશી છે તેની શા માટે રાખવી ? એક બાજુ દમડી પડી હોય ને બીજી બાજુ મુદ્રામણિ કે પારસ હોય, તો દમડીની ચાહના કોણ કરે ? પણ જેને કોઈ પ્રકારની ચાહના કે કામના નથી, તેને પારસ પત્થ્થરનું પણ શું કામ ? એ માટે માણસે પરમાત્માનું શરણ લેવું જોઈએ, વિનાશી વસ્તુઓનું નહિ. ઉપનિષદ્ માં નચિકેતાની વાત આવે છે. નચિકેતા બાળક હતા. પરંતુ સંસાર ને સ્વર્ગનાં બધાં સુખોને સાધારણ ને ચંચલ માનીને તેણે પરમાત્માની જ ઈચ્છા કરી. તેમ માણસે પરમાત્મામાં જ પ્રીતિ કરવી જોઈએ, ને પરમાત્માની ચાહના કરવી જોઈએ. પરમાત્મા સિવાય બીજા ક્ષુદ્ર પદાર્થોની ચાહનામાં મૂર્ખતા રહેલી છે.

કર્મની કુશળતામાં યોગ રહેલો છે. એકલું કર્મ યોગમય બનતું નથી, પણ તે કુશળતાપૂર્વક કરાય તો યોગમય બની જાય છે, ને કર્મયોગની તે સાધના માણસને બંધનથી મુક્ત કરીને તારી દે છે. કર્મયોગની એ સાધનાનાં બે ઉપયોગી અંગો પર ભગવાને અહીં પ્રકાશ ફેંક્યો છે. તેમાં પહેલું અંગ આલોક ને પરલોકની સુખની ઈચ્છાનો ત્યાગ કરીને ઈશ્વરપરાયણ બનીને કર્મ કરવાનું છે. એટલે કે માણસે પોતાની બુદ્ધિ ને કર્મનો સંબંધ ભગવાનની સાથે જોડી દેવાનો છે. આ વિશે વિસ્તારથી ઉલ્લેખ આગળ પર કરીશું. અહીં તો એક બીજો વિચાર કરીએ. માણસે આ લોક ને પરલોકના સુખની લાલસા રાખવાની નથી, તેમ આ લોક કે પરલોકના દુઃખથી ડગી જઈ કે ભયભીત થઈને તેણે કર્તવ્યનો રાહ છોડવાનો પણ નથી. સાચું સુખ તેની અંદર છે. તે સુખના અક્ષયવિગ્રહ જેવા પરમાત્મા પણ તેની અંદર વાસ કરે છે. તે પરમાત્માને પામી લેવાથી કે ઓળખવાથી તેને અક્ષય આનંદની પ્રાપ્તિ થશે, ને તેનું જીવન સફળ થશે.

કેટલાક માણસો કહે છે કે ગીતાએ કર્મ કરવાનું કહ્યું છે, પણ ફળની ઈચ્છા ના રાખવી એમ ઉપદેશ આપ્યો છે, તે બરાબર છે ? તો પછી કોઈ માણસ ઈશ્વરની ઈચ્છા રાખી કર્મ કરે તો તે શું બરાબર છે ? ભગવાનના દર્શનની ઈચ્છા રાખવામાં પણ તે રીતે તો ત્રુટિ રહેલી છે એમ નથી લાગતું ? આ વિશે આપનો શો અભિપ્રાય છે ?

વાત એમ છે કે આ વિશેનો મારો અભિપ્રાય જાહેર કરવા મેં એક સ્વતંત્ર લેખ આ અગાઉ લખ્યો છે. છતાં અહીં થોડી ચર્ચા કરી લઈએ. ફળની ઈચ્છા રાખીને માણસ કર્મ કરે, તેમાં કાંઈ હરકત નથી. મારી સમજ પ્રમાણે ગીતા તેનો વિરોધ નથી કરતી. ગીતાને કહેવાની વાત જરા જુદી છે. માણસ ફળની ઈચ્છા રાખીને કર્મ કરે છે, પણ ફળની અસર તેના પર થયા કરે છે. ધારો કે કોઈ વિદ્યાર્થી છે તે વિદ્યા મેળવવાને માટે નિશાળે જતો હોય. પરીક્ષાનો વખત આવ્યો, વિદ્યાર્થી ધારો કે પરીક્ષામાં નાપાસ થયો તો તેની અસર તેના પર કેટલી બધી ભારે થાય છે ! જીવનની મોટી બાજી હારી બેઠો હોય તેવી નિરાશાનો તે અનુભવ કરે છે, ને મિત્રો તથા વડીલોથી દૂર ને દૂર સંતાતો ફરે છે. મિત્રો ને વડીલો પણ શું કરે છે ? આવે વખતે શાંતિના બે શબ્દ કહીને ઉત્સાહ ને આશ્વાસન આપનારા મિત્રો ને વડીલો ઓછા હોય છે, પરિણામે તેની નિરાશામાં વધારો થાય છે. પરીક્ષાના પરિણામથી નાસીપાસ થયેલા કેટલાક વિદ્યાર્થી મગજ પરનો કાબુ ખોઈ બેસે છે, ઘર છોડીને નાસી જાય છે, ને આપઘાત કરવાની તૈયારી કરે છે. મુંબઈમાં રાજાબાઈ ટાવરનું મકાન સૌથી ઊંચું ગણાય છે. પણ નિશાળની ને જીવનની પરીક્ષામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓએ તે મકાન પરથી પડતું મૂકી જીવનનો અંત આણવાનો કેટલીકવાર પ્રયાસ કર્યો છે. આવા પ્રયાસને વખોડી કાઢવો જોઈએ. નિશાળની કે જીવનની જુદી જુદી પરીક્ષામાં નાપાસ થવાય તેથી શું ? નાહિંમત કે નિરાશ બનવાને બદલે તેણે હિંમત ને આશાથી સજ્જ થઈને ફરીવાર પુરૂષાર્થ કરવા માટે તૈયાર થવું જેઈએ.

એક બીજી વાત પણ સમજવા જેવી છે. નિષ્ફળતાથી નાહિંમત ન થવાય તે ધ્યાનમાં રાખવાનું જેમ જરૂરી છે, તેમ સફળતાથી અતિશય હરખઘેલા ને છેવટે અભિમાની કે ઉન્મત્ત બની જઈને પોતાનો માર્ગ ચુકી ના જવાય, તે માટે જાગ્રત રહેવાનું છે વિજય ને પરાજય બંનેની વધારે પડતી અસરથી માણસે મુક્ત રહેવાનું છે. માણસે કર્મ કરવાં, કર્મના ફલની ઈચ્છા પણ રાખવી પણ પોતાની ઈચ્છા પ્રમાણે ફલ મળે ના મળે તો પણ મનની સ્થિરતાનો ભંગ થવા દેવો નહિ. આનું નામ કર્મની કુશળતા. એટલે ભગવાનને ભજનાર ભક્ત ભગવાનના દર્શનની ઈચ્છા રાખે તેમાં કાંઈ જ ખોટું નથી. પાંચ વરસના બાળક ધ્રુવજી મધુવનમાં તપ કરવા માંડ્યા, તે શું ભગવાનના દર્શનની ઈચ્છા વિના કે ? વાલ્મિકી ને તુલસી તથા સમર્થ રામદાસની તપશ્ચર્યા ભગવાન શ્રી રામના દર્શનને માટે નહોતી કરાઈ ? સૂરદાસ ને મીરાંના દિલમાં શ્રીકૃષ્ણને માટે લગની નહોતી લાગી, ને કૃષ્ણને માટે જ તેમણે સાધના નહોતી કરી ? ઈશ્વર કહો કે આત્મિક ઉન્નતિ કે શાંતિ કહો, સાધનાનું લક્ષ્ય તે જ છે. તેને માટે જ સાધના કરાય છે, ને તે લક્ષ્ય પૂરું ના થાય ત્યાં સુધી સાધના પૂરી થતી નથી એટલે સાધનાની સિદ્ધિ કે ભગવાનના દર્શનનું ફલ નિરંતર નજર સામે રાખીને સાધના કરવામાં કોઈ જાતનો દોષ નથી. ભગવાનનાં દર્શન કે સાધનાની સિદ્ધિમાં વિલંબ લાગે તો હિંમત હારી બેસવામાં ને પ્રયાસ મૂકી દેવામાં દોષ છે.

કર્મના ફલનો ત્યાગ કરવાનો ઉપદેશ આપીને ગીતા આ પ્રમાણે કર્મના ફલની સારી ને માઠી અસરનો ત્યાગ કરવાનું શીખવે છે. અથવા કર્મના ફલથી અલિપ્ત રહેવાનો પાઠ આપે છે. બાકી કર્મના ફલની ઈચ્છા ના રાખવાથી શું વળશે ? માણસ ફલની ઈચ્છા નહિ રાખે તો ફલ તેને મળશે જ. કર્મના ફલમાંથી મુક્તિ મેળવવાનું કામ અસંભવ જેવું છે. ફલની ઈચ્છા રાખીને કર્મ કરવાથી માણસ પોતાની સમગ્ર શક્તિને પોતાના ધ્યેયને સિદ્ધિ કરવાના કામમાં લગાવી શકશે એ લાભ થશે તે નફામાં.

કર્મના ફલનો ત્યાગ કરવાનો બીજો અર્થ પણ લઈ શકાય છે. કર્મના ફલની ઈચ્છાનો ત્યાગ કરવાનો નથી પણ ફલનો ત્યાગ કરવો એટલે જે ફલ મળે તે ભગવાનનું માની ભગવાનને અર્પણ કરી દેવું. ભગવાનનાં ચરણોમાં તેનો ત્યાગ કરવો એટલે કે ભગવાનને માટે ને ભગવાનની સૃષ્ટિને માટે તેનો ઉપયોગ કરવો. પોતાનું જ્ઞાન, પોતાને મળતું ધન ને બલ તથા ઐશ્વર્ય માણસે પોતાની જ સુખાકારી માટે નહિ, પણ બીજાના હિત માટે પણ વાપરવું. તે પર પોતાનો જ નહિ, પણ ભગવાનનો ને ભગવાનની સમગ્ર સૃષ્ટિનો હક્ક સ્વીકારવો. આમ કર્મફળનો ત્યાગ ખરેખર માનસિક છે, ભાવનાની દૃષ્ટિએ ત્યાગ છે; ને વસ્તુઃ પદાર્થનો ત્યાગ નથી એ સૌએ સમજી લેવાની જરૂર છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.