if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગયા અધ્યાયમાં આપણે વિચારી ચૂક્યા કે ઈશ્વરના શરણ ને અનુગ્રહ વિના શાંતિ મળવી અશક્ય છે, તે માટે હૃદયશુદ્ધિ જરૂરી છે. જ્યાં સુધી દંભ પાખંડ ને અજ્ઞાનમાં માણસને આનંદ આવે છે, ત્યાં સુધી તેના પર ઈશ્વરનો અનુગ્રહ ભાગ્યે જ થઈ શકે છે, માટે માણસે દંભ, પાખંડ ને કપટ છોડી અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે પ્રયાસ કરવો જોઈએ. જે માણસ દંભ કે પાખંડનો આધાર લઈને બીજાને છેતરવાનું કામ કરે છે, તેનો ઉદ્ધાર કદી પણ થઈ શકતો નથી. છતાં ખેદની વાત છે કે માણસ દંભ ને પાખંડનો આધાર લે છે, સાધારણ માણસો જ નહિ, પણ જે અસાધારણ કહેવાય છે તેવા શાસ્ત્રી ને પંડિતો પણ દંભ ને પાખંડનો તથા અજ્ઞાનના અસુરનો આશ્રય લેતા હોય છે. વિદ્વાનો પણ મોહમાં પડે છે, ને ધનની લિપ્સામાં પડીને અવનવા કીમિયા કર્યા કરે છે.

વિચાર ને વર્તનમાં માણસે સાફ થવું જોઈએ, પવિત્ર રહેવું ને પ્રામાણિક બનવું જોઈએ. આત્મિક વિકાસમાં આ વાત ખૂબ મહત્વની છે ને અભણ કે સાધારણ માણસોએ જ નહિ, પણ વિદ્વાનોએ પણ તેનું મનન ને પાલન કરવાનું છે.

પવિત્ર આચારવિચાર, પ્રેમ, સમતા ને પ્રભુપરાયણતાના સર્વોચ્ચ શિખર પર પહોંચવાથી જ માણસ સંત, મહાત્મા, વિરક્ત કે સંન્યાસી થઈ શકે છે. એ યાદ રાખવા જેવું છે. યાદ રાખીને બેસી રહેવાનું નથી, પણ તેનો અમલ કરવા તૈયાર થવાનું છે. તો જ જીવનની ઉન્નતિ થઈ શકે. સંસારમાં જે જે સંતપુરૂષો થયા છે, તે વિચાર ને વર્તનનો મેળ કરવાથી જ થયા છે. માટે મહાન થવા ઈચ્છનારે વિચાર, વર્તન ને પવિત્રતાથી જીવનને શોભાવવું જોઈએ.

યાદ રાખો કે કેવલ ઘરબારનો ત્યાગ કરવાથી તેમજ કપડાં ને નામ બદલવાથી જ કોઈ મહાત્મા, સંન્યાસી કે યોગી બની જવાતું નથી. કાગડાની પાંખને રંગી દઈએ ને ધોળી કરીએ તેથી કાગડો શું હંસ બની જાય છે કે ? માણસો કોઈ કારણથી ઘરબારનો ત્યાગ કરે છે, ને નામરૂપને બદલી સાધુનો સ્વાંગ સજીને ફરતા ફરે છે. પણ ત્યાગ કરીને ઉત્તમ સાધુ કે યોગી થવા માટે સાધના કરતા નથી. અશાંતિ ને અલ્પતાને દૂર કરવા ને પરમાત્માનું દર્શન કરવા પુરૂષાર્થ કરતા નથી, તેમજ ત્યાગી જીવન શાને માટે છે તેનો વિચાર પણ કરતા નથી. પોતાના અમૂલ્ય જીવનનો સદુપયોગ કરીને તે મહાન ને મુક્ત બની શક્યા હોત પણ અજ્ઞાન, અનાધિકાર ને આળસને લીધે જીવનને ભારરૂપ બનાવી તથા બરબાદ કરીને તે કોઈ સલામત સ્થળમાં બેસી રહે છે કે આમતેમ ફરતા ફરે છે. આવા માણસો ધર્મપરાયણ મનાતા આ દેશમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે. દેશનો ઉડતો પ્રવાસ કરનારા પુરૂષો આ વાતને સહેજે સમજી શકશે. અધુરા, અનાધિકારી ને અજ્ઞાની માણસો સાધુસમાજની ગંદકીરૂપ છે તે ગંદકી આપણા દેશની આધ્યાત્મિક મિલ્કતને શોભારૂપ નથી. તેનો ઈલાજ કરવાની જરૂર છે.

ગીતા કહે છે કે આળસુ બનીને તન કે મનથી કોઈયે કામ કર્યા વિના બેસી રહેવાથી કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતું નથી. અગ્નિને ના અડવાથી પણ કોઈ ત્યાગી કે સંન્યાસી બની શકતું નથી. સંન્યાસીએ અગ્નિને ના અડવું એ નિયમ ઘડવાનું મુખ્ય કારણ તેને રસોઈ બનાવવાની ક્રિયામાંથી મુક્ત કરવાનું છે. સંન્યાસી જો હાથે રસોઈ બનાવે, તો રસોઈનાં સાધનો પણ તેને એકઠાં કરવા પડે. તેને માટે બીજા પર આધાર રાખવો પડે. તેનો ઘણો સમય રસોઈ કરવામાં ને રસોઈની આગળ પાછળની ક્રિયા કરવામાં જ જતો રહે. વળી તે ઈચ્છા પ્રમાણેની ને જુદી જુદી વાનગીઓ બનાવે એટલે સ્વાદજય કરવાનું કામ પણ તેને માટે મુશ્કેલ બને. એટલે સંન્યાસીએ અગ્નિને અડવું નહિ અથવા પોતાને હાથે રસોઈ ના બનાવવી એવું કહેવામાં આવ્યું છે. રસોઈનો પ્રશ્ન હલ કરવા માટે શાસ્ત્રોએ તેને ભિક્ષાનો માર્ગ બતાવ્યો છે. ભિક્ષા માગીને તે જીવે, ને તે ભિક્ષા પણ માગીને ના લેવી; જે વખતે જે ભિક્ષા મળે તેનો બડબડાટ વિના સ્વીકાર કરવો એ શાસ્ત્રની આજ્ઞા છે. કેટલાક સંન્યાસી માંગીને ભિક્ષા લે છે; તો કેટલાક એક જ સ્થળે રોજ કે વારંવાર જાય છે ને કોઈવાર ઈચ્છા પ્રમાણે ભિક્ષા ના મળતાં ક્રોધે ભરાય છે ને શાપ આપવા પણ તૈયાર થાય છે. એ પદ્ધતિ બરાબર નથી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.