if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશમાં અમારી પાસે એક દંડી સંન્યાસી આવતા હતા. તે વસ્તીમાં ભિક્ષા માગતા હતા. અમારી પાસે આવતા ત્યારે કહેતા કે હું ભિક્ષા લેવા આવતો નથી. તમારા જેવા તપસ્વી અહીં વાસ કરે છે તેમની કુશળતા જોવા આવું છું. હું ઉત્તર આપતો કે જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રેમપૂર્વક આવવું. તે ઊભા ઊભા જ વાતો કરતા ને પછી વિદાય થતા.

એક દિવસ તેમણે આવીને થોડીક આડીઅવળી વાત કર્યા પછી કહ્યું કે સાધુ સંન્યાસી ઘર પર આવે તો તેમને ખાલી હાથે પાછા ના જવા દેવા જોઈએ. છેવટે કાંઈ ન મળે તો પાણી ને ગોળની ગાંગડી પણ આપવી જોઈએ.

તેમની ઈચ્છા મુજબ અમે તેમને તે દિવસે ગોળની ગાંગડી આપી ને તે ચાલતા થયાં.

પણ પછી તો તેમનો આવવાનો ક્રમ જરા ટૂંકો થયો. પહેલા મહિનામાં એકાદવાર ભાગ્યે આવતા. તેને બદલે હવે દસબાર દિવસે આવવા માંડ્યા. અમે તેમનો સત્કાર કરવા તેમને એકાદ ફૂલ આપતા. એક દિવસ તે કહેવા માંડ્યા કે ગુજરાતી ખીચડી ખૂબ સરસ બને છે. મને ખાવાની ઈચ્છા થઈ છે.

મેં કહ્યું : ભલે અમારી રસોઈ જરા મોડી બને છે. પણ કાલે જરા વહેલી બનાવીશું. ગામમાંથી ભિક્ષા લઈને કુટિયા પર જવાનું થાય ત્યારે આવી જજો. ખીચડીની ભિક્ષા જરૂર તૈયાર રાખીશું.

બીજે દિવસે લાંબા વખત લગી રાહ જોઈ, પણ તે આવ્યા જ નહિ. આખરે અમે જમ્યાં ને વધેલી ખીચડી ગાયને નાખી દીધી. બે ત્રણ દિવસ પછી સ્વામીજી પાછા આવ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તે દિવસે અહીં આવવાની વાત તો હું ભૂલી જ ગયો ! જો કોઈ જમવાનું આમંત્રણ આપે તો તે યાદ રહે છે, બાકી છૂટક ભિક્ષા લેવા જવાનું યાદ નથી રહેતું. મને આ ખુલાસો જરા વિચિત્ર લાગ્યો. છેવટે એક દિવસ તે રસોઈ બની ગઈ ત્યારે આવી પહોંચ્યા. એટલે અમે તેમને રસોઈમાંથી પણ ભિક્ષા આપી. જો કે વધારે ભાગે તો ફલ આપવાની જ પદ્ધતિ રાખી હતી.

અમારી બાજુના મકાનમાં એક સંન્યાસી રહેતા હતા. તેમની સાથે તેમની પુત્રી પણ રહેતી. એટલે તેમની રસોઈ ઘેર જ બનતી. થોડા વખતમાં તે સંન્યાસી મહારાજનું શરીર છૂટી ગયું. એટલે તેમની પુત્રી એકલી પડી. તે ખૂબ શોકમગ્ન રહેતી. દંડી સ્વામી શરૂઆતમાં તો કહેતા કે જે ખૂબ આનંદમાં હોય ને જે શોકમાં હોય તેની ભિક્ષા હું નથી લેતો, પણ પછી તો માગીને પણ ભિક્ષા લેવા માંડ્યા. એકવાર તે બેન જરા શોકમાં હતી. પિતાજીના મૃત્યુનું દુઃખ તાજુ હોવાથી તે કેટલીકવાર રસોઈ પણ બનાવતી ન હતી. એવે એક દિવસે દંડી સ્વામી જઈ ચઢ્યા પણ ભિક્ષા ન મળી એટલે તરત પાછા ફર્યા. મારી પાસે આવીને કહેવા માંડ્યા કે પહેલાંના લોકો તો બરાબર વિચાર કરતા કે કયે વખતે કોણ ભિક્ષા લેવા આવશે ને કોને માટે રસોઈ તૈયાર રાખવી જોઈએ. હવે તો વખત ફરી ગયો છે.

મેં કહ્યું : વાત સાચી છે. પણ પહેલાંના સાધુસંન્યાસી પણ કેવા હતા ? કયે વખતે ને ક્યાં ભિક્ષા લેવા જવું જોઈએ તેનો તે સંપૂર્ણ ખ્યાલ રાખતા. બેન પોતે સંન્યાસી જેવી છે. એ કાંઈ સંસારી નથી. બીજાની દયા પર તે જીવે છે. કેટલીકવાર તો ખાતી પણ નથી. તેની પાસે ભિક્ષા માગવાનું શું સારું છે ? ગામમાં ભિક્ષા આપનારા ઘણા છે તે ઉપરાત અહીં તો અન્નક્ષેત્ર પણ છે. ભિક્ષાની ક્યાં કમી છે ?

સંન્યાસી મહારાજને મારી વાત કેવી લાગી તે તો તે જ જાણે પરંતુ વાત સાંભળીને તે તરત વિદાય થયા. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે ત્યાગી કે સંન્યાસીએ કેટલા સત્યશીલ ને સાવધ રહેવાની જરૂર છે તેનો ખ્યાલ આવે. માણસ કયા પ્રદેશમાં રહે છે તે બહુ મહત્વનું નથી પણ તે શું કરે છે, ને તેનું ચારિત્ર્ય ને જીવન કેવું છે તે જ મહત્વનું છે.

ભિક્ષા માગવા આવનાર પેલા દંડી સ્વામીની વાત મેં આગળ લખી છે. તે પરથી કોઈ એમ ના સમજે કે હિમાલયમાં બધા જ સાધુઓ એવા હોય છે. વિવેકી સાધુઓ કોઈ નથી. ભિક્ષા માટે ફરનારા કોઈ કોઈ સાધુ સંન્યાસી વિવેકી પણ હોય છે. ઋષિકેશમાં અમારે ત્યાં એક બીજા સંન્યાસી આવતા હતા. અમારા નિયમ પ્રમાણે અમે તેમને પણ એક ફલ આપ્યું. એકવાર ફલ મળવાથી તે વારંવાર આવવા માંડ્યા. મકાન પાસે આવીને નારાયણ હરિ કરીને તે ઊભા રહેતા ને એકાદ મિનિટ રાહ જોઈને ચાલવા માંડતા. એક દિવસ અમારી પાસે ફલ પણ ન હતું એટલે અમે તેમને કાંઈ ના આપ્યું. તેમને ભિક્ષા સારા પ્રમાણમાં મળતી એટલે કાંઈ હરકત જેવું પણ ન હતું. બીજીવાર તે આવ્યા ત્યારે અમારી રસોઈ તૈયાર હતી એટલે અમે તેમને તૈયાર ભિક્ષા આપી. પાછા તે એકાદ દિવસ પછી આવ્યા. તે વખતે હું કોઈની સાથે વાર્તાલાપ કરતો હતો. તે પરથી તે સમજી ગયા કે હું પણ ત્યાગી છું, ને તેમની જેમ બીજા પર જીવું છું. માતાજી તેમને ભિક્ષા આપવા ગયાં. એટલે તરત જ બોલી ઊઠ્યા કે શું તમે ત્યાગી છો, સાધુ છો ?
મેં જવાબ આપ્યો કે લગભગ એવું જ જીવન જીવું છું.

આ સાંભળીને તેમને ઘણું દુઃખ થયું. તેમણે કહ્યું : મને તો એમ કે તમે આ મંદિરના કોઈ કર્મચારી છો. આવી ખબર હોત તો હું અહીં ભિક્ષા લેવા ના આવત. ત્યાગી પુરૂષે ત્યાગીની પાસે ભિક્ષા લેવાની હોય નહિ. હવે હું ભિક્ષા લેવા નહિ આવું પણ કોઈ વાર તમારા દર્શન માટે આવીશ.

તેમનો વિવેક જોઈને મને આનંદ થયો. છતાં મેં કહ્યું કે જ્યારે ઈચ્છા થાય ત્યારે જરૂર આવવું. અતિથિ ને અભ્યાગતની સેવા ત્યાગી પુરૂષો પણ અનુકૂળતા પ્રમાણે કરી શકે છે. ભિક્ષા લેવા આવશો તો અનુકૂળતા પ્રમાણે ભિક્ષા આપીશું. નહિ તો આદરપૂર્વક હાથ જોડીશું.

પણ પછી તે સંન્યાસી મહારાજ દેખાયા નહિ. અમે પણ થોડા જ દિવસોમાં ઋષિકેશ છોડીને મુંબઈ જવા રવાના થયા.

સાર એ છે કે ત્યાગી કે સંન્યાસીએ સદાય જાગ્રત રહેવું જોઈએ, ને વિવેકી બનવું જોઈએ. સંન્યાસ લીધો તો ખરો, પણ પછી એવું વર્તન કરવું જોઈએ કે જેથી સંન્યાસ શોભે. તો જ સંન્યાસ સફળ થાય ને સંન્યાસનો આનંદ પણ મળી શકે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.