જીવનના વિકાસને માટે અથવા સાધનાના આનંદને માટે સતત તપની કે કર્મની જરૂર છે. એ વાત આપણે કહી ગયા. તેની સાથે એક બીજી વાત પણ યાદ રાખવાની છે. તે એ કે પરમાત્માના દર્શનથી જેને ધન્ય બનવું છે ને તે માટે જે સાધના કરે છે તેવા સાધકે શરૂઆતમાં હૃદયશુદ્ધિ પર ખૂબ ભાર મૂકવો જોઈએ. સત્વગુણી કે સદ્ ગુણી બનવા તરફ તેણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સદ્ ગુણી બનવાથી આગળની સાધનાનું કામ સહેલું થઈ જાય છે. દર્પણ જેટલું મેલું તેટલું જ તેમાં પડનારું પ્રતિબિંબ ઝાંખું પડવાનું. મેલી બુદ્ધિ ને મેલા મનના માણસને પરમાત્મદર્શનની સાધનામાં સફળતા મળવી મુશ્કેલ છે, એ તે દ્રષ્ટાંત પરથી સમજી લેવું. માટે બધા જ મહાપુરૂષો મન કે હૃદય શુદ્ધિ પર ભાર મૂકે છે. સંસારના જુદાં જુદાં કર્મો હૃદયની શુદ્ધિ કરવામાં મદદ કરે છે. સંસારના જુદાં જુદાં કર્મ કરનાર માણસ જો જાગૃત બને તો પોતાની શુદ્ધિ કરી શકે છે, ખરી રીતે તો વ્યવહારમાં રહીને જ હૃદયશુદ્ધિ થઈ શકે, ને વ્યવહારમાં જ તેની કસોટી થાય છે.
સાધનાની ક્રિયાઓ બે પ્રકારની છે : એક તો બહિરંગ ને બીજી અતરંગ. પૂજા, પાઠ, સ્તવન, જપ, આસન, પ્રણામ ને સ્વાધ્યાય જેવી ક્રિયાઓ બહારની છે ને ધ્યાન, સમાધિ, પ્રભુ માટેની ઉત્કટ ભક્તિ જેવી ક્રિયાઓ અંદરની ક્રિયાઓ કહેવાય છે. સાધનાની શરૂઆતમાં તો બહારની ક્રિયાઓ ખૂબ ઉપયોગી થાય છે પણ પછી અંદરની ક્રિયાઓનો આધાર લેવો પડે છે. સાધનાના સાચા આનંદને માટે તે જરૂરી છે. સાધનાના સિદ્ધિ પણ તે વિના થઈ શકતી નથી. અંદરની ક્રિયા કે સાધના મુખ્યત્વે માનસિક છે. તે દ્વારા મનને તાલીમ મળે છે, મનનો સંયમ થાય છે, ને મનની પાર પહોંચીને પરમાત્માનો અનુભવ કરાય છે. જેમ ફૂલ ને ફળ એકમેક પર આધાર રાખે છે ને બાલ્યાવસ્થા ને યૌવન એકમેક સાથે સંકળાયેલા છે, તેમ બહારની ને અંદરની સાધના સંકળાયેલી છે. પહેલાં બહારની સાધના, પછી અંદરની મહત્વની સાધનામાં સાધકે પ્રવેશ કરવો જ જોઈએ. તે વિના સાધનાની ઉચ્ચોચ્ચ ઈમારત પર ચઢીને તે જીવનની ધન્યતા મેળવી ના શકે. સાધનાની ઈમારત પર ચઢી ચૂકેલા માણસને ગીતામાતાએ યોગારૂઢ કહ્યો છે ને તેવા યોગારૂઢ થવા માટે મનની તાલીમ મેળવવા પર ભાર મૂક્યો છે.
સાધનામાં આગળ વધેલા કે યોગારૂઢ પુરૂષનાં બે મહત્વનાં લક્ષણ ભગવાને કહી બતાવ્યાં છે. શરીર, મન ને ઈન્દ્રિયોના કર્મોમાં તે પુરૂષને રાગ થતો નથી. તે કર્મો તેને બાંધી શકતાં નથી, કે લલચાવી શકતાં નથી આ વાત તદ્દન સાચી છે. તેમાં કરવા જેવું કશું જ નથી. અનુભવી પુરૂષો આ વાતને સહેલાઈથી સમજી શકશે. વળી જેમને અનુભવ નથી, તે વિચારની મદદથી પણ આ વાતનો સાર સમજી શકશે. માણસો પકવાન ખાય છે, ને હોંશે હોંશે ખાય છે. પણ વિષ્ટા ખાવાની ઈચ્છા થાય છે ખરી ? ડાહ્યા માણસો તરત બોલી ઊઠશે કે એ શું બોલ્યા ? વિષ્ટા તે કોઈ ખાવાની ચીજ છે ? તે ખાવાની ઈચ્છા કદી થાય નહિ ! જ્યાં ખાવાની ઈચ્છાનો જ અભાવ છે, ત્યાં આસક્ત થવાની તો વાત જ શી ? તે જ પ્રમાણે પ્રભુના કૃપાપાત્ર ભક્તો, જ્ઞાનીઓ ને યોગીઓ પણ કહે છે કે શરીર, મન ને ઈંદ્રિયોનાં કર્મોમાં કે સંસારના વિષયી પદાર્થોમાં છે જ શું ? તેની અંદર આસક્ત થવા જેવું છે જ શું ? આસક્ત થવું જ છે તો જે રસનો સાગર છે, આનંદ ને સુખનો મૂળ ખજાનો છે ને પ્રેમનો ભંડાર છે, તે પરમાત્મામાં જ શા માટે આસક્ત ના થવું ?
એક માણસને ધનવાન બનવાની ઈચ્છા છે. તેને માર્ગમાં જતાં ધારો કે એક પૈસો ને એક હીરો મળે. હવે તમે જ વિચાર કરી જુઓ કે ધનવાન થવા માટે તે પૈસાને લે કે હીરાને ? જો તે સમજદાર હશે તો હીરાને જ લઈ લેશે એ દેખીતું જ છે, તે જ પ્રમાણે આ જીવનની મહાયાત્રામાં નીકળેલાં માણસો ધની ને ધન્ય થવા ઈચ્છે છે. સુખ, શાંતિ ને સમૃદ્ધિની ઈચ્છાથી તે ફરી રહ્યાં છે, સંસારના રસ ને પરમાત્મા બંનેની વચ્ચે તેમણે પસંદગી કરવાની છે. તો તે કોને પસંદ કરશે ? ઝેર ને અમૃત એ બેમાંથી કોઈ એકની પસંદગી કરતી વખતે દેવ ને દાનવ બંનેએ અમૃતને જ પસંદ કર્યું હતું. તેમ વિવેકી માણસે પરમાત્માની જ પસંદગી કરવાની છે. એનો અર્થ એમ નથી કે સંસારના પદાર્થ કર્મ કે રસને વિવેકી માણસ ધિક્કારે છે. ધિક્કાર જેવો શબ્દ તો તેના શબ્દકોષમાં છે જ નહિ. સંસારના પદાર્થ, કર્મ ને રસની વચ્ચે રહીને પણ તે પરમાત્માને ભૂલતો નથી. એ તેનો સહજ સ્વભાવ થઈ જાય છે. બાળક જેમ માને ભૂલતું નથી; માનો પ્રેમ તેના હૃદયમાં ને રોમેરોમમાં વણાઈ ગયો હોય છે, તેવી રીતે તેના હૃદયમાં એક પરમાત્માની જ વીણા વાગી રહી હોય છે, ને તેના રોમેરોમમાં પરમાત્માનાં પ્રેમનો અખંડ રાસ રમાતો હોય છે. બાળક પોતાની રમત તથા રમકડાં રમવાના રસને તિરસ્કારતું નથી; તે રસ ને રસવાળાં પદાર્થો તેને આનંદ આપે છે. પણ તેને માની પાસેથી જે રસ ને આનંદ મળે છે, તેની આગળ તેને તેની કાંઈ વિસાત જણાતી નથી. વિવેકી પુરૂષની દશા પણ કૈંક અંશે તેવી જ છે. પરમાત્માના પરમ રસ આગળ બીજા પદાર્થોનો રસ તેને કાંઈ જ મહત્વનો લાગતો નથી. તેથી તે તેની અંદર આસક્ત પણ થતો નથી.
એવા મહાપુરૂષના મનમાં સાંસારિક પદાર્થોની પ્રાપ્તિના વિચાર તો હોય જ ક્યાંથી ? સંસારના સુખની તૃષ્ણા તેના દિલમાં હોતી નથી. બધી જ ઈચ્છા ને તૃષ્ણા પર તેણે પાણી ફેરવી વાળ્યું હોય છે. બધી કામનાને દૂર કરીને તે નિષ્કામ થયો હોય છે. ફક્ત એક જ ઈચ્છા, તૃષ્ણા કે કામના તેના દિલમાં રમી રહી હોય છે. તે કઈ કામના તે જાણો છો ? પરમાત્માને પ્રાપ્ત કરવાની–પરમાત્માની પરિપૂર્ણ કૃપા પામવાની કે પૂર્ણ થવાની. આ કામના કલ્યાણકારક છે, ને કોઈયે સંજોગોમાં છોડવા જેવી નથી. એ છૂટી ગઈ તો જીવનનો બધો આનંદ પણ છૂટી ગયો. જીવનનો રસ પણ જતો રહ્યો એ નક્કી સમજવું. તે કામનાના બીજમાંથી જ્યારે અંકુર ફૂટે છે, એટલે કે જ્યારે તે સફળ થાય છે ને પરમાત્માના પરમ દર્શનથી જીવન ધન્ય બને છે, ત્યારે તે કામના આપોઆપ દૂર થાય છે. પોતાનું કામ પૂરું કરીને તે શાંત થાય છે. સાધનાની છેવટની કક્ષાએ પહોંચેલો મહાપુરૂષ આ પ્રમાણે બધી જ કામનાથી મુક્તિ મેળવે છે. જીવનમાં તેને માટે ચાહવા જેવું કશું જ નથી રહેતું. આ દશાનું વર્ણન કરતાં ગીતા કહે છે કે તેવો મહાપુરૂષ સર્વે જાતના સંકલ્પનો ત્યાગ કરે છે, અથવા કહો કે સર્વસંકલ્પ સંન્યાસી બને છે.
- શ્રી યોગેશ્વરજી

