Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટલીકવાર મને સાધકો તરફથી પૂછવામાં આવે છે કે જપ કે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે મન સ્થિર કેમ રહેતું નથી ? જપ ને ધ્યાનમાં આનંદ કેમ નથી આવતો ? તેના ઉત્તરમાં મારે કહેવું પડે છે કે મન સ્થિર રહેતું નથી, ને આનંદ આવતો નથી તેનું મુખ્ય કારણ પાયાનો અભાવ છે. જેમ મજબૂત મકાનને માટે મજબૂત પાયાની જરૂર છે, તેમ સ્થિરતાપૂર્વકની સંગીન સાધનાને માટે સંગીન તૈયારીની જરૂર છે. માણસોમાં વધારે ભાગે એવી તૈયારીનો અભાવ હોય છે, એટલે આગળનું કામ નીરસ જેવું થઈ પડે છે. પહેલા ધોરણને પાસ કરીને કોઈ વિદ્યાર્થી સીધો સાતમા ધોરણમાં બેસી જાય ને પછી ફરિયાદ કરે કે સાતમા ધોરણની વાતોમાં મારૂં મન લાગતું નથી તો તેની ફરિયાદના જવાબમાં શું કહીશું ? આપણે તરત જ કહીશું કે ભાઈ, મન ના લાગે તેમાં નવાઈ જેવું કાંઈ જ નથી. જો ક્રમવાર અભ્યાસ કર્યો હોત તો આવી ફરિયાદ રહેત જ નહિ.

તે પ્રમાણે સાધકોને પણ આપણે કહીશું કે તમે પાયાને મજબૂત કર્યો નથી એટલે કે દૈવી સંપત્તિને મેળવી નથી, સદાચાર ને સદ્ ગુણોથી સુશોભિત થવા પાછળ બરાબર ધ્યાન આપ્યું નથી; મનની ને સ્વભાવની મલિનતાને દૂર કરવા પૂરો પ્રયાસ કર્યો નથી; તેમજ સંસારના વિષયોના રસને ઓછો કરી પરમાત્માના પ્રેમરસને પીવા માટે આતુરતા જગાવી નથી એટલે મન સ્થિર થતું નથી, જપ તથા ધ્યાનમાં આનંદ આવતો નથી. છતાં નિરાશ થવાની જરૂર નથી. આવી મુશ્કેલીઓનો સામનો સૌને કરવો પડે છે. આવી ફરિયાદો બધા જ સાધકો કરે છે. તેવી ફરિયાદોથી નાહિંમત થવાની જરૂર નથી. આગળ વધેલા માણસોને પણ આવી મુશ્કેલી સતાવે છે. તેથી હતાશ થયા વિના કામ ચાલુ જ રાખવું. મન જો સ્થિર થઈ જશે ને આનંદ આવવા માંડશે તો પછી બાકી શું રહેશે ? પછી તો પરમાત્માની પૂર્ણ કૃપા જ બાકી રહેશે. તે તો છેવટની દશા છે. ને તેને આવતાં સમય લાગશે આ તો વચગાળાની દશા છે. તેને સંભાળપૂર્વક પસાર કરો, ને સાધના કરતાં જ રહો. સાધનાના પ્રભાવથી આવી ફરિયાદો આપોઆપ દૂર થઈ જશે.

- શ્રી યોગેશ્વરજી