આ બઘી વાત કહીને અધ્યાયને અંતે ભગવાન કહે છે કે હે અર્જુન, તું યોગી થા. ભગવાનનો એ સંદેશ સૌએ સમજવાનો છે. કેવલ તપથી શાંતિ નહિ મળે; જ્ઞાન જો ફક્ત બોલવા પૂરતું હશે તો તેથી પણ શાંતિ નહિ મળે ને ઉપાસના તથા કર્મ પણ જો શુષ્ક ને પ્રભુપ્રેમથી રહિત હશે, તો તેથી પણ જીવનની ધન્યતા નહિ મળે. શાંતિ, મુક્તિ, પૂર્ણતા ને જીવનની ધન્યતા મેળવવા માટે તો માણસે યોગી થવું જોઈએ. એટલે કે પરમાત્માનું દર્શન કરવું જોઈએ. પોતાની અંદર ને બહાર બધે તેનું દર્શન કરવું જોઈએ. પરમાત્માનો વિયોગ દૂર કરવો જોઈએ તો જ તે પરમાનંદ પામી શકે ને અમૃતમય પણ ત્યારે જ તે બની શકે. શ્રદ્ધાભક્તિને વધારી ભગવાનનું દર્શન કરવા પ્રયાસ કરવો ને છેવટે ભગવાન સાથે એક થઈ જવું એ જ સાધનાનું રહસ્ય છે. યોગનું ફળ પણ તે જ છે. તે ફળ મેળવનાર જ સાચો યોગી છે ને તેવો યોગી જ ભગવાનને સૌથી પ્રિય ને શ્રેષ્ઠ લાગે છે. એવા યોગી થવા માટે આપણે તૈયાર થઈએ. આજે આપણે ક્યાં છીએ તેનો વિચાર કરીએ હવે ક્યાં જવું છે તેનો નકશો પણ નજર સામે રાખીએ ને કેવી રીતે ને કેટલા વખતમાં જવું છે તે પણ નક્કી કરીએ; પછી દૃઢ નિશ્ચય કરીને કામે લાગી જઈએ. જ્યાં જવાનું છે ત્યાં જરૂર પહોંચી શકીએ. આ સંસારમાં કોઈને માટે કશું જ અશક્ય નથી. એ વાતમાં વિશ્વાસ રાખીએ.
- શ્રી યોગેશ્વરજી

