if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સારાં કે નઠારાં કર્મોનું ફળ અહીં ને અહીં મળે છે એવું થોડું છે ? કેટલીકવાર ફળ તરત જ મળે છે, ને કેટલીકવાર જન્માંતરમાં મળે છે. આને લીધે સાધારણ લોકો ધીરજ ખોઈ બેસે છે. સાધનાનું ફળ પણ તરત જ મળે છે એવું નથી. માણસના પુરૂષાર્થ ને સાધનાના પ્રકાર પર તેનો આધાર રહે છે, પણ ફળ મળે છે એ નક્કી છે. કેટલાક સાધકો ખૂબ શ્રદ્ધાવાળા હોઈ મનને વશ કરવા પ્રખર પ્રયાસ કરતા હોય. કોઈ કારણથી તેમનું મન સાધનામાંથી ચળી જાય–સાધનામાં જોડાઈ ના શકે, અથવા પ્રયાસ કર્યા છતાં પણ કેટલીક વાર સાધકને સિદ્ધિ ના મળે, તો તેવા સાધકોનું શું થાય ? તેમણે કરેલી સાધના શું નકામી જાય છે ? તેમની મહેનત બાતલ થાય છે ? અર્જુને આવો પ્રશ્ન ઊભો કર્યો છે.

તેના જવાબમાં ભગવાન કહે છે કે એવા સાધકનો પ્રયાસ નકામો જતો નથી. ધનુષ્યમાંથી છૂટેલું બાણ નક્કી સ્થળે પહોંચશે જ. તેવી રીતે કરેલું કર્મ ફળ આપશે જ, એ નિયમ અફર છે. તેમાં શંકા કરવાની જરૂર નથી. આ સંબંધમાં બાંહેધરી આપતાં તે કહે છે કે કલ્યાણનું કામ કરનારનું કદી પતન થયું નથી, તેમજ તેની દુર્ગતિ થતી નથી. આવી લેખિત બાંહેધરી ભગવાન વિના બીજું કોણ આપી શકે એમ છે ? જે પોતાનું કે બીજાનું કલ્યાણ કરવાની સાધના કરે છે, તેનું કલ્યાણ જ થાય છે. એવો દસ્તાવેજ ભગવાને કરી આપ્યો છે, માટે નિરાશ થયા વિના સાધના કરો. સાધનાનું ફળ એક જીવનમાં ના મળે તેથી શું થયું ? એક જન્મમાં સિદ્ધિ ના મળે તેથી પણ શું થયું ? જીવન તો અનંત છે. કરેલું કર્મ નકામું જતું નથી. સરકારને ધીરેલા પૈસા સરકાર બદલાય તોય પાછા મળે છે. તે ના મળે તો પણ કરેલું કર્મ તો નકામું જતું જ નથી. માટે હિંમત રાખીને પુરૂષાર્થ કરો; કલ્યાણનાં કર્મ કરતાં જ રહો; સાધનાને ને શ્રદ્ધાને કોઈપણ સંજોગોમાં ના મૂકો. જેમ પ્રવાસીઓનાં પોટલાં ગાડી બદલવા છતાં પ્રવાસીઓની સાથે જ રહે છે, તેમ શરીર બદલવું એ તો ગાડીના ડબ્બા બદલવા જેવું છે. તે બદલવા છતાં પુરૂષાર્થનું પોટલું સંસારની અનંતયાત્રાએ નીકળેલા પ્રવાસી માનવીની સાથે જ રહે છે. બીજા જીવોને માટે પણ આ સાચું છે. સાધકોએ ભગવાનના આ ઉત્તરમાંથી આશા, પ્રેરણા ને સમાધાન મેળવીને આગળ વધવાનું છે.

યોગભ્રષ્ટ પુરૂષનું શું થાય છે ? તે શરીર છૂટ્યા પછી ઉત્તમલોકમાં જાય છે. ત્યાં કેટલોક વખત રહે છે ને પછી પવિત્ર ને ગુણવાન માતાપિતાને ત્યાં જન્મે છે અથવા યોગીઓના કુળમાં જન્મે છે. જન્મમાં બાલપણથી જ તેનાં પહેલાંના સંસ્કાર જાગી ઊઠે છે ને પરમાત્માની પાસે પહોંચવાનો તે પ્રયાસ કરે છે. પછી થોડા જ વખતમાં તે પરમાત્માને ઓળખી લે છે ને મુક્તિ મેળવે છે.

વધારે ભાગના માણસો એમ માને છે કે જેનો યોગ કે જેની સાધના અધૂરી રહી હોય તેવા સાધકને માટે આ બધું કહેવામાં આવ્યું છે. પણ સાચી વાત તેવી નથી. જે સાધકોનું મન કોઈ કારણથી સાધનામાંથી ચલિત થઈ ગયું હોય, ને કોઈ વસ્તુના મોહમાં પડવાથી જે સાધનાને પૂરી કરી શક્યા ના હોય, તેવા યોગભ્રષ્ટ પુરૂષોને માટે જ આ વાતો કહેવામાં આવી છે. આવા પુરૂષ તરીકે જડભરતને લઈ શકાય. પુર્વજીવનમાં તે મહાન તપસ્વી હતા. પણ મૃગની મમતામાં અને તપમાં પ્રમાદ કરવાથી તેમને બીજા જન્મમાં મૃગ થવું પડ્યું ને તે પછી તે જડભરતરૂપે જન્મ્યા. તે જન્મમાં તેમનું જ્ઞાન સંપૂર્ણ થયું ને તે પૂર્ણતાની પ્રાપ્તિ કરી શક્યા. છતાં અધૂરી સાધનાવાળા સાધકોને માટે પણ ગીતાના આ શબ્દો લાગુ પડી શકાય છે. તેમાં નુકશાન કાંઈ જ નથી, લાભ જરૂર છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.