Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પરમાત્મા પોતાની પાસે છે, ને પોતે પણ પરમાત્માસ્વરૂપ છે. છતાં માણસ એ વાત ભૂલી ગયો છે; ને તેથી દુઃખી, દરિદ્ર થઈ ફર્યા કરે છે. આ કેટલી બધી નવાઈ ઉપજાવે તેવી વાત છે, તેનો જરાક વિચાર તો કરો. કોઈ માણસના ગજવામાં અપાર ધન હોય. છતાં તે વાતને ભૂલી જઈને તે દરિદ્ર થઈને ફર્યા કરે ને માગણ બને, તો કેટલું આશ્ચર્ય લાગે ? કેટલાંક માણસો ગાંઠે પૈસા બાંધીને કોઈ વસ્તુ ખરીદવા બજારમાં નીકળી પડે છે. પણ બજારમાં જઈને પૈસાની વાત વિસરી જાય છે, ને પૈસા વિના વસ્તુ લીધા વિના ઘેર પાછાં ફરે છે. તપાસ કરે છે ત્યારે કેટલેય વખતે તેમને યાદ આવે છે કે પૈસા તો તેમની ગાંઠે જ બાંધેલા છે. માણસની દશા પણ તેવી જ છે. ગાંઠે બાંધેલા રતનની જેમ પરમાત્મા તેની પાસે જ છે, પ્રાણ કરતાં પણ વધારે પાસે છે છતાં તે વાતને તે વિસરી ગયો છે ને સંસારના સુખશાંતિ ને સમૃદ્ધિના બજારમાં આમતેમ ફર્યા કરે છે. પોતાને દીન ને હીન માનીને રડે છે, ને દુઃખી થાય છે. તેનું કારણ શું ? સંસારનો રસ, વિષયોનું સુખ, અજ્ઞાન ને લાંબા વખત લગી તેમાં રમવા કે ભમવાથી થયેલી ભ્રાંતિ. તેને માયા પણ કહે છે. તેમાં ફસાઈને માણસ ભગવાનને ભૂલી જાય છે, ને જે ખોટું છે તેને સાચું ને સાચાને ખોટું માની બેસે છે. માયાનો પડદો જેના પર પડી ગયો છે. તેને પાસેમાં પાસે રહેલા પરમાત્માનું દર્શન પણ થઈ શકતું નથી. માયાનો પ્રભાવ જ એવો છે. વ્યવહારમાં ડૂબેલા સાંસારિક માણસો જ નહિ પણ મોટા મોટા મુનિ, યોગી, જ્ઞાની ને તપસ્વી પણ તેની જાળમાં સપડાય છે. પોતાની સુંદરતાથી જે સૌને મોહિત કરે છે, તે પણ આ નટખટ માયાના મોહમાં પડીને સૂધબૂધ ભૂલી જાય છે. કીડીથી કુંજર ને રજથી માંડીને ગજ સુધીના સઘળા પ્રાણી ને પદાર્થો માયાવતી દેવીની આંખના ઈશારા પ્રમાણે ચાલી ને નાચી રહ્યા છે. ભગવાનની જેમ તેમની શક્તિ જેવી માયા પણ સર્વવ્યાપક હોય તેમ બધે જ ફેલાયલી છે. માનવ તો શું, દેવો પણ તેની અસર નીચે આવી જાય છે. તેની આણ બધે જ પ્રવર્તે છે.

ભગવાન પોતે કહે છે કે હે અર્જુન, મારી માયા દૈવી શક્તિથી ભરેલી છે. ત્રણ જાતના ગુણથી ભરેલી છે, ને તરવી મુશ્કેલ છે. પેસિફિક કે એટલાન્ટિક મહાસાગરને તરી જવાય, સુએઝની નહેર ને સંસારના બધા જ દરિયાને કદાચ તરી જવાય, પણ માયાને તરવાનું કામ એથીયે મુશ્કેલ છે. પોતાના સ્વભાવમાં રહેલાં તમોગુણ ને રજોગુણને જીતીને સત્વગુણી બનવું ને છેવટે ઈશ્વરનું દર્શન કરી ત્રણે ગુણોથી પર થવું એથીયે કપરૂં છે. લોઢાના ચણા ચાવવા જેવું છે. ભલભલા પહેલવાનો, મલ્લો ને કુસ્તીબાજો પણ એ કામમાં સફળ થઈ શકતા નથી. માયા તેમને પણ-આંખ બંધ કરીને ઉઘાડે એથી પણ ઓછા વખતમાં-ગુલાંટ ખવડાવી દે છે ને મહાત કરે છે. એ માયા મહામસ્તાની છે. મોટામોટા મુનિ ને પંડિત પણ તેની મસ્તીમાં મોહાઈ જાય છે. ભગવાન કહે છે કે તેના મોહમાંથી છૂટવાનું કામ કઠિન છે.

- શ્રી યોગેશ્વરજી