if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ પછી જિજ્ઞાસુ ભક્તનો વારો આવે છે. જિજ્ઞાસુ ભક્ત કેવો હોય છે તે જાણો છો ? ભગવાન ને ભગવાનની સૃષ્ટિના સંબંધમાં વધારે ને વધારે જ્ઞાન મેળવવામાં તેને આનંદ આવે છે. તે માટે શાસ્ત્રોને ઉથલાવે છે, સંતો તથા વિદ્વાનોની પાસે જાય છે, ને વધારે ને વધારે જ્ઞાન મેળવે છે. તીર્થોમાં ફરીને પણ તે ભગવાનના રૂપ ને ગુણની તથા ભગવાનની શક્તિની માહિતી મેળવતાં ધરાતો જ નથી. એ માહિતી મેળવવાથી છેવટે તેના દિલમાં શ્રદ્ધા જાગે છે ને તે ભગવાનનો પ્રેમી બની જાય છે. ભગવાનનું દર્શન કરીને પણ ભગવાન વિશે વધારે ને વધારે માહિતી મેળવવામાં જ તેને આનંદ આવે છે. આવા ભક્તોને કેવલ પંડિત કે પોથીપરાયણ ના સમજતા. પંડિત કે પોથીના પૂજારી કરતાં તેમની કિંમત વધારે છે. કેમ કે તે પવિત્ર છે, ભક્ત છે, ને ભગવાનની કૃપા મેળવવા માટે પ્રયાસ કરે છે. કહો કે તે ભગવાનની પરમ કૃપાના ઉમેદવાર છે. તેમનું જ્ઞાન સૂકું નથી હોતું.

જિજ્ઞાસુ ભક્ત ભગવાનના મહિમાને જાણે છે, ને ભગવાનમાં પ્રેમ જોડે છે. સુખમાં ને દુઃખમાં, સારી કે નરસી દશામાં તે ભગવાનને વળગી રહે છે, ને ભગવાનને જ મેળવવાનો નિશ્ચય કરે છે. તેની શરૂઆતની જિજ્ઞાસા કુતૂહલમાંથી પ્રેમમાં ને છેવટે આસક્તિમાં ફેરવાઈ જાય છે. ભગવાનનું જ્ઞાન મેળવીને તેનું મન ભગવાનમાં લાગી જાય છે, ને તેને ભગવાનનું જ ધ્યાન લાગે છે. પ્રેમ પાકો થાય છે તેમ તેને ભગવાનના વિના ચેન જ પડતું નથી. ભગવાનને જ વરવાનો નિશ્ચય કરીને તે ભગવાનની પૂજા કે આરાધનામાં લાગી જાય છે. ભગવાન વિના પોતાના પ્રિયતમ તરીકે તે કોઈનેય પસંદ કરતો નથી. ભગવાનની કૃપા તેને જરૂર મળી જાય છે. આ વાત સમજાઈને ? સમજાઈ હોય તો તેને ભૂલશો નહિ ને તમે પણ ભગવાનને વરવા ને ભગવાનના પ્યારા ભક્ત થવા માટે તૈયાર થજો. બીજી બધી જ વાતોમાંથી મન હટાવી લઈને એક ભગવાનમાં જ તેને સ્થિર કરજો. પરિણામે તમે ભગવાનનો પ્રેમ જરૂર મેળવશો ને તમારૂં જીવન સફળ, સુખી ને ધન્ય બનશે. જીવનનો સાચો આનંદ ત્યારે મળી શકશે.

આર્ત ભક્ત

જ્ઞાની, અર્થાર્થી ને જિજ્ઞાસુ ભક્તની વાત કર્યા પછી હવે આર્ત ભક્તની વાત આવે છે. આર્ત ભક્ત કેવો હોય છે તે જાણો છો ? પોતાનું દુઃખ દૂર થાય તે માટે તે ખૂબ આતુર ને દુઃખી થઈને ભગવાનને ભજે છે. ભગવાનની કૃપા માટે રડે છે ને પ્રાર્થે છે. હૃદયના ઊંડાણમાંથી પોકાર પણ પાડે છે. એ પોકાર એવો જબરો હોય છે, પ્રબળ હોય છે કે ભગવાન તેને સાંભળ્યા વિના ને તેનો ઉત્તર આપ્યા વિના રહી શકતા નથી.

આર્ત ભક્તની પ્રાર્થના કે અરજ સાંભળીને ભગવાન પ્રકટ થાય છે, કૃપા કરે છે, ને તેનાં બધાં દુઃખ દૂર કરે છે. દુઃખમાં ડૂબેલો ને સંકટમાં સપડાયેલો જીવ રૂદન કરતાં ગાઈ ઊઠે છે કે હે પ્રભુ પધારો ! તમારા વિના મારે કોઈ જ આધાર નથી. હે પ્રભુ, મારી રક્ષા કરો. મને દુઃખમાંથી મુક્ત કરો. હવે જરા પણ વાર ન લગાડો. બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે જલદી પધારો. સંસારના સઘળા પદાર્થોમાંથી મનને પાછું વાળી લઈને તે ભગવાનની કૃપા માટે આતુર બને છે. ભગવાનની કૃપાનો ભિખારી બને છે. ‘માત તાત સગાં સહોદર જે કહું તે આપ મારે’ એવી ભાવના અનુભવતાં એક ઈશ્વર પર આધાર રાખીને તે બેસી રહે છે. ચાતક જેમ મેઘના બિંદુ માટે આતુર થઈને બેસે છે, તેમ ભગવાનની કૃપા માટે તે આતુર થાય છે.

જેમ કામના પૂરી થઈ જાય એટલે અર્થાર્થી કે કામનાવાળા ભક્તની ભાવભક્તિ શમી જાય તેવો સંભવ રહે છે, તેમ આર્ત ભક્તનું દુઃખ દૂર થતાં તેની ભક્તિ પણ શાંત થઈ જાય એવું બની શકે છે. તેની સાથે સાથે તેની ભક્તિ વધવાનો કે ચાલુ રહેવાનો સંભવ પણ રહે છે. કેટલીકવાર એવું બને છે કે દુઃખી માણસ ભગવાનને ભજે છે, ને ભગવાનની વધારે ઓછી કૃપા મેળવે છે. પછી તે સુખ આવે તો પણ ભગવાનને ભૂલી શકતા નથી. આમ થાય તે ઈચ્છવા જેવું છે. કેવલ દુઃખમાં નહીં, સુખમાં પણ ભગવાનને યાદ કરવા જોઈએ. દુઃખ પડે છે ત્યારે માણસ ભગવાનને યાદ કરે છે પણ જો સુખમાં તે ભગવાનની યાદ ચાલુ રાખે, ને ભગવાનને ભાવથી ભજે, તો દુઃખ પડવાનો સંભવ જ રહે નહિ.

દ્રૌપદીના વસ્ત્રને ભરસભામાં ખેંચવામાં આવ્યું, ત્યારે પહેલાં તો તેણે પોતાની લાજ રાખવા બને તેટલો પ્રયાસ કર્યો. પણ કાંઈ જ વળ્યું નહિ, ત્યારે છેવટે તેણે ભગવાનને કરૂણ સ્વરે પોકાર કર્યો : હે પ્રભુ, હવે મને ઉગારી લો, દુઃશાસનને હાથે ભરસભામાં મારી લાજ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે તમે મને ઉગારો. મારી લાજ રાખો–લજ્જા મોરી રાખો શ્યામ હરિ.

દ્રૌપદીનો પ્રેમપોકાર સાંભળીને ભગવાન કૃપા કરવા દોડી આવ્યા. દ્રૌપદીની સાડી તેમણે અનંત કરી દીધી ને પોતાના પર શ્રદ્ધા રાખનારની લાજ રાખી. એટલે તો કહેવાય છે, આજે પણ ગવાય છે કે :

‘દ્રૌપદીકી લાજ રાખી તુમ બઢાયો ચીર.’

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.