if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દ્રૌપદીનું ઉદાહરણ આર્તભક્તિનું ઉદાહરણ છે. આજે તો તેને વરસો વીતી ગયાં છે. પણ ઈશ્વરના જગતના નિયમો દેશ ને કાળથી પર છે. બધા જ સમયને માટે તે સરખા લાગુ પડે છે એટલે આજે પણ જે આતુર બનીને ઈશ્વરની મદદ માટે પોકાર પાડશે, તે મદદ જરૂર મેળવી શકશે. ઈશ્વરની કૃપાથી તેનું દુઃખ જરૂર દૂર થશે ને તેને ઈશ્વરની અદ્ ભુત શક્તિનો પરિચય મળશે. આજે ધર્મ ને ભક્તિ ઓસરતાં જાય છે ને માણસોનાં મન વધારે ભાગે સંસારના સુખમાં ડૂબતાં જાય છે, ત્યારે પણ ભગવાનની શક્તિમાં શ્રદ્ધા રાખનાર ને દુઃખના પ્રસંગે ભગવાનને પોકાર કરી કૃપા મેળવનારાં કોઈ કોઈ માણસો થતાં જાય છે એ ઓછા આનંદની વાત નથી.

આર્તભક્તનું બીજુ ઉદાહરણ ગજેન્દ્રનું છે. તે ખૂબ જાણીતું છે. ગજેન્દ્ર મહાપરાક્રમી હતો. એકવાર તે પોતાની સ્ત્રી ને સંતતિ સાથે ફરવા નીકળ્યો હતો. ફરતાં ફરતાં તે એક સુંદર સરોવર પાસે આવી પહોંચ્યો. સરોવરને જોઈને તે ખૂબ આનંદ પામ્યો, ને પોતાની સ્ત્રીઓ સાથે તેમાં જળક્રીડા કરવા ઉતર્યો. ઉન્મત બનીને તે આનંદ કરી રહ્યો હતો. એટલામાં એક મગરે તેનો પગ પકડ્યો. તેથી ગજેન્દ્ર ગભરાયો ને અકળાયો. બહાર આવવાના તેના બધા જ પ્રયાસો નકામા ગયા. મગર તેને પાણીમાં આગળ ને આગળ ખેંચતો ગયો. છેવટે ગજેન્દ્રની શક્તિ ખૂટી ગઈ. ત્યારે તેણે ભગવાનને યાદ કર્યા. પૂર્વજન્મના કોઈ મહાન સંસ્કારને લીધે તેને ભગવાન યાદ આવ્યા. તેણે પોકાર કર્યો કે : હે પ્રભુ, સંકટ વખતે તમે જ બધાના બેલી છો. હે સર્વવ્યાપક પરમાત્મા, હું તમને પ્રણામ કરું છું. હું અજ્ઞાનના આવરણમાં ઢંકાયેલો છું. મને તેમાંથી મુક્ત કરો ને ભય તેમજ મૃત્યુમાંથી છોડાવો. હે કરુણાના સાગર, હે દયાના ભંડાર, તમે મારી મદદે આવો ને મારો ઉદ્ધાર કરો. તમારી શક્તિ અનંત છે. તમે સૌથી શ્રેષ્ઠ ને શરણાગતવત્સલ છો. તમારો મહિમા અપાર છે. તમારી માયાનો પાર કોઈ પણ પામી શકે તેમ નથી. હું તમારે શરણે આવ્યો છું. તમે મારો ઉદ્ધાર કરો.

સાચા હૃદયની પ્રાર્થના ભગવાને ક્યારે નથી સાંભળી ? ગજની પ્રાર્થના સાંભળીને તે દોડી આવ્યા ને સુદર્શન ચક્રથી મગરનો નાશ કરી, ગજને તેમણે છૂટો કર્યો. જે સાચા હૃદયથી પોકાર કરે છે, તેની વ્હારે ભગવાન જરૂર પધારે છે, એમાં શંકા નથી. ગજની આ વાત શ્રીમદ્ ભાગવતના આઠમાં સ્કંધમાં વિસ્તારથી આપેલી છે, જેને તે વાંચવી હોય તે વાંચી શકે છે. અહીં તો તેનો સાર જ આપ્યો છે કેમ કે વિસ્તાર કરવાની અહીં જરૂર નથી. આર્તભક્તિની આવી બીજી વાતો તમે પણ જાણતા હશો પણ બહુ વાતોના ચક્કરમાં ન પડશો. તેનો સાર લઈને તમે પણ પ્રભુને ભજતાં ને પોકારતાં શીખજો. તો જ જીવનનો આનંદ મેળવી શકશો ને પ્રભુના પ્યારા પણ ત્યારે જ બની શકશો.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.