ભગવાનના આ શબ્દો ખૂબ ધ્યાનમાં રાખવાના છે. માણસે તેમાંથી પ્રેરણા મેળવીને ભગવાનમાં અનન્ય પ્રેમ ઉત્પન્ન કરવાનો છે, ભક્તિ કોઈ રમત નથી. તે તો એક મહાન કલા છે. તેનો આધાર લઈને ભગવાનની કૃપા મેળવીને પોતાનો ઉદ્ધાર કરવા માણસે તૈયાર થવાનું છે. જ્ઞાન, ભક્તિ અથવા વિવેક ને પ્રેમનો તેણે હસ્તમેળાપ કરવાનો છે. જ્ઞાન કે સમજ વિનાની ભક્તિ ખાસ ફળ નહિ આપી શકે. તે પ્રમાણે ભક્તિ કે પ્રેમ વિનાનું જ્ઞાન પણ નીરસ થશે, ભારરૂપ બનશે; ને માણસ જો પૂરતો સાવધ નહિ હોય તો તેને ભગવાનના દરબારમાં નહિ પહોંચાડી શકે. માટે વિવેક ને પ્રેમ કે જ્ઞાન કે ભક્તિનો સમન્વય કરતાં શીખવાનું છે. બંને વચ્ચે મિત્રતા કરી દેવાની છે. આ જીવન એક મહાન પ્રયોગશાળા છે. તેમાં માણસ નવા નવા પ્રયોગો કર્યા જ કરે છે. તે પ્રમાણે પ્રયોગ કરતાં ને સાચી વસ્તુ શીખતાં શીખતાં કોઈ એક જીવનમાં તે આવો મહાન જ્ઞાની ભક્ત થઈ શકે છે, ને ભગવાનનું દર્શન કરી ભગવાનની પૂર્ણ કૃપા મેળવી લે છે. એટલે જ ગીતામાતાએ ‘ઘણા જન્મો પછી’ (बहूना जन्मनामते) એવો પ્રયોગ કર્યો છે. ભગવાનની પૂર્ણ કૃપા મેળવ્યા પછી તેની દશા કેવી થઈ જાય છે તે કોણ કહી શકે ? એ દશા વધારે ભાગે ચર્ચા કે વિચારણા કરવાની નહિ, પણ અનુભવની છે. અનુભવ કરવાથી જ એનો સાચો ખ્યાલ આવી શકે છે. તો પણ આપણે એટલું કહીશું કે ભગવાનની કૃપાથી તે ભક્તને આખું જગત ભગવાનમય લાગે છે; ભગવાન વિના બીજું કૈં જ નથી એમ તે અનુભવે છે; જયાં જુઓ ત્યાં તેને ભગવાન જ દેખાય છે.
તમને વિચાર થશે કે એટલી બધી ઊંચી દશાએ પહોંચેલા મહાત્મા, ભક્ત કે સંત કેટલા હશે ? તમારો વિચાર પારખીને ગીતામાતાએ પહેલેથી જ કહી દીધું છે કે મારાં પ્યારાં બાળકો એવા સંત, ભક્ત કે મહાત્મા દુર્લભ જ નહિ, પણ અત્યંત દુર્લભ છે. પ્રભુની કૃપા થઈ હોય, ને તમારા પોતાનાં પુણ્ય ઉઘડ્યાં હોય, તો તેમનું દર્શન થઈ શકે છે, તેમની સાથે વાતચીત કરી શકાય છે, ને વધારે કે ઓછા વખત સુધી તેમની સાથે રહેવાનો લ્હાવો પણ ત્યારે જ મળે. એવા સંતો કાંઈ હજારોની સંખ્યામાં નથી, તે તો બહુ ઓછા છે.
દરેક કાળમાં પંડિત કે જ્ઞાની મળી શકે, દાતા પણ મળી શકે, વીર ને ભક્ત કે યોગી પણ મળી શકે, ને સાધારણ કે અસાધારણ એવા સાધુ ને તપસ્વી પણ મળી શકે, પણ ઈશ્વરનું દર્શન કરી ચૂકેલા ને સંસારમાં બધે ઈશ્વરનું દર્શન કરનારા સંત કે જ્ઞાની ભક્તનું મળવું મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ છે. તે તો ભાગ્યે જ મળી શકે.
પણ તેથી નિરાશ થવાની કે હિંમત હારવાની જરૂર નથી. તમારી તીવ્ર ઈચ્છા હશે તો તેવા સંતનું દર્શન તમને થઈ શકશે, ને જ્યાં હશો ત્યાં તમને તેની કૃપાનો લાભ મળી શકશે. તેવા પુરૂષો સંસારમાં સદાયે જીવ્યા કરે છે, ને સંસારનું અનેક રીતે કલ્યાણ કરે છે. તમે પોતે પણ પરમાત્મામય જ છો એટલે તો તમને મહાન, અજ ને અવિનાશી, પરમાત્માના પ્યારા તથા અમૃતમય કહેવામાં આવે છે. તમારી એ યોગ્યતાને ભૂલી જઈને તમે તેથી ભ્રષ્ટ થયા છો એટલું જ. તે ભૂલને સુધારો ને તમારા મહિમાને ઓળખી લો, તો તમે પણ પ્રભુની કૃપા મેળવીને તેવા મહાન સંત બની શકશો.
બધા માણસો એક ભગવાનને ભજતા નથી. કેટલાક માણસો જુદા જુદા દેવોને ભજે છે. જેની જેવી રૂચિ તે પ્રમાણે તે પોતાના દેવની પસંદગી કરે છે ને જુદી જુદી કામના પૂરી કરવા માટે તેમની ઉપાસના કરે છે. માણસો સંતાન મેળવવા, રોગ દૂર કરવા, વિદ્યાવાન થવા, પ્રભુતામાં પગલાં માંડવા ને એવી જુદી જુદી ઈચ્છા પૂરી કરવા જુદા જુદા દેવોનું શરણ લે છે ને બાધા રાખે છે. ઈચ્છા પૂરી થાય એટલે તેમની શ્રદ્ધા વધે છે. માણસો ઈચ્છા ને કામનાના દાસ છે તેથી દેવો પાસે પણ તે ઈચ્છા લઈને જ જાય છે. દેવોને તે કોઈ વેપારી માનતા લાગે છે. ચપટી ચોખા, ધન કે ઘરેણાંના બળથી તે દેવોની મારફત કામ કાઢી લેવા માગે છે. ભગવાન જુદા જુદા દેવો મારફત કેટલીક વાર ભક્તોના મનોરથ પૂરા કરે છે, પણ સાચા ભક્તો તો ભગવાનને જ ભજે છે. ભગવાનની શક્તિ તે જાણે છે. એટલે ભગવાનને છોડીને બીજા કોઈને શરણે જતા નથી. હીરા ને રતનને મૂકી દઈને કાંકરીની આશા કોણ કરે ? દેવો તો પ્રભુના દાસ છે. તેમની શક્તિ ને તેમનો વૈભવ પ્રભુની શક્તિ ને શ્રી પાસે તુચ્છ છે. ડાહ્યા માણસો તો સદા પ્રભુનું જ શરણ લે છે, ને પ્રભુની કૃપા વિનાની બીજી બધી જ કામનાનો તે ત્યાગ કરે છે. કેમ કે તેવી કામનાથી સુખ મળતું નથી. ઊલટું, તે કામનાઓ માણસને પોતાના મજબૂત બંધનથી બાંધે છે, સંકલ્પવિકલ્પથી ભરી દે છે, બેચેન બનાવે છે, ને જન્મ ને મરણ ને હર્ષ ને શોકના ચક્રમાં ફેરવ્યા કરે છે. તે કામનાઓથી તેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી, કે મુક્તિ પણ મળી શકતી નથી. કામનાના પ્રભાવથી તે મોહ ને મમતાના કાદવમાં વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય છે.
મોહ ને મમતાના શિકાર થયેલ માણસો જુદી જુદી ઈચ્છા રાખતાં સંસારમાં ફર્યા કરે છે. પરંતુ જેમનાં પુણ્યો ઉઘડ્યાં છે તેવા માણસોની વાત જુદી છે. મોહ ને મમતાથી પર થઈને તે ભગવાનને ભજે છે, ને મનને ભગવાનમાં જોડે છે એનો અર્થ એમ નથી કે પુણ્યશાળી માણસો જ ભગવાનને ભજે છે. માણસે પુણ્યના ઉદય માટે રાહ જોવાની નથી; પણ પોતે પુણ્યશાળી કે સદાચારી થવા પ્રયાસ કરવાનો છે. ને તેવો પ્રયાસ કરતાં કરતાં ભગવાનને યાદ કરતા રહેવાનું છે. આ જીવન કાંઈ જેમ તેમ જીવી કાઢવા કે વેડફી નાખવા માટે નથી. તેની પાછળ મહાન હેતુ રહેલો છે. તેનો સદુપયોગ કરીને ભગવાનનું દર્શન કરવાનું છે. ભગવાનની કૃપા મેળવવાની છે; ને સર્વ પ્રકારનાં બંધનમાંથી છૂટવાનું છે. આ માટે જે મહેનત કરે છે તે જ વીર છે, પંડિત છે, જ્ઞાની ને વિવેકી છે ને મહાપુરૂષ પણ તે જ છે. આ માટે મહેનત કરીને જેણે ભગવાનની કૃપા મેળવી લીધી છે, તેને આપણાં પ્રણામ છે. આપણે તે માટે પ્રેરણા ને પ્રકાશ આપે.
- શ્રી યોગેશ્વરજી

