if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ટી. બી. હાઈસ્કુલ, ભાદરણ.
તા. ૧૦ એપ્રિલ, ૧૯૪૧

નારાયણ,

નમસ્કાર. ઋષીકેશથી આવ્યા પછી તરત જ મને અહીં ખાલી જગા હોવાથી નોકરી મળી છે. તેથી ઘેર બેસી રહેવા કરતાં આ સારું એમ માનીને અહીં આવ્યો છું. આવતી તા. ૨૬ મીએ હુકમ પૂરો થાય છે. પછી જે કરવાનું છે તે થતું રહેશે. થશે તેમ તેમ જણાશે.

આનંદ-સુખ-શાંતિ-કલ્યાણ રાજસિંહાસન પર બેસનારા રાજાને જે સુખ નહિ સાંપડતું હોય તે સુખ અહિંયા છડી પોકારી રહ્યું છે. ધન ને વૈભવમાં મહાલનારને જે નહિ મળતો હોય તે આનંદ અહિંયા આનંદી રહ્યો છે. ચારે બાજુ કલ્યાણ ફરી વળ્યું છે. ખરી રીતે જોઈએ તો આપણી આજુબાજુ આનંદ ને કલ્યાણનો સાગર ઊછળી રહ્યો છે. બહુ જ ઓછા પુરુષો એને ઓળખી શકે છે ને તેથી પણ ઓછાં એમાં અહર્નિશ આનંદે છે. એ સાગરને ઓળખવાથી જ ને તેમાં હંમેશાં સ્નાન કરવાથી જ માણસ મુક્ત થાય છે, સાચા સુખની પ્રાપ્તિ કરે છે.

અહીં આવ્યે વીસેક દિવસ થયા. દરમ્યાન દિવસો બહુ આનંદમાં પસાર થઈ રહ્યા છે. મને હવે કશાનો શોક નથી. શાનો શોક હોય ? મારા વિના વિશ્વમાં બીજું કોઈ તત્વ જ નથી. મારામાં શોક ને નિરાશા જેવા દુન્યવી તત્વો પ્રવેશી શકે તેમ નથી. હું ગુણથી પર છું છતાં કહો કે સચ્ચિદાનંદ છું. જન્મ ને મરણનાં બંધનોને લાત મારીને બહાર નીકળેલો છું. હૃદયમાં વહી રહેલો આનંદ અંગઅંગમાં વહી રહ્યો છે.

અહીં સ્કૂલના બોર્ડીંગ છે ત્યાં રહું છું. નાની ઓરડી છે. પરંતુ તે વિદ્યાર્થીઓથી ભરાઈ જાય છે. વિદ્યાર્થીઓનો પ્રેમ ખૂબ છે. તેઓ પ્રભુની પ્રતિમાઓ છે. તેમની આંખમાં, તેમની વાણીમાં, તેમના હલનચલનમાં-બધામાં, ઈશ્વર નહિ તો બીજું શું છે ? તેમની વાણી મીઠી છે, તેમનું હૃદય પ્રેમાળ છે, તેમની આંખમાં ઈશ્વરનો ચમકાર છે; ઈશ્વરે જ કહ્યું છે - હું ત્યાં છું જ્યાં જ્યાં સૌન્દર્યનો ઝબકાર છે, જ્યાં આનંદનો વાસ છે, બુદ્ધિનો ચમકાર છે. ગમે તેમ, પણ વિદ્યાર્થીઓનો પ્રેમ ખૂબ છે. દિવસમાં કેટલીયવાર તેઓ આવે છે ને ‘વાત કહો’ ભજન કહો’ કહીને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક મેટ્રિકના છે, એક બે માસ્તર છે, બીજા છઠ્ઠા કે પાંચમા ધોરણના છે. અત્યાર સુધી પીંજરમાં પુરાયેલા પંખીને એના સ્વાભાવિક એવા પ્રદેશમાં ગીત સંભળાવનાર કોઈક મળે અને એ પંખીમાં જે ભાવ જાગે, એવું જ કાંઈક અહીં થયું છે.

આનો શોક પણ છે, આનંદ પણ છે. આનંદ એટલા માટે કે આવી ભાવનામાં સ્નાન કરવું બહુ દુર્લભ છે. ને શોક એટલા માટે કે આપણા શિક્ષણે આપણને ક્યાં મૂક્યા છે ! આપણે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના ! જીવનની સાચી દિશા બતાવે, જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણો માર્ગ અજવાળે, દૃઢ મુદ્દાથી આગળ ને આગળ વધવા પ્રેરે, આત્મજ્ઞાનનું ગૌરવ જગાવે, આવું સાહિત્ય આપણને શીખવવામાં આવ્યું જ નથી. આપણને હસતાં આવડતું જ નથી. રડવાનું પણ આપણે પૂરેપૂરું જાણતા નથી. આપણે માત્ર નકલ કરીએ છીએ ! આ આપણો આનંદ ! આનંદને આપણે વિસારી દીધો છે. એ તો આપણો જન્મસિદ્ધ હક છે. ભવ્ય ભારતનાં આ બાળકો ! તેમને યોગ્ય દિશા સૂચવવી હોય તો તેમના સ્વરૂપનું જ્ઞાન આપવાની પણ જરૂર છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.