if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, કોઈ માણસ બાર વરસ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે તો તેનામાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે, જેનાથી તે ઈશ્વરનો રસ્તો સહેલાઈથી જાણી શકે છે. તો તે શક્તિ કેવી હશે તેની સમજ પાડી શકશો ?
ઉત્તર : શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન પુરૂષે જે કહ્યું છે તેમાં શંકા કરવાનું કોઈ કારણ નથી દેખાતું. લાંબા વખતના એકધારા બ્રહ્મચર્યપાલનથી કેવી વિરાટ શક્તિનું નિર્માણ થાય છે તેની કલ્પના તમે નથી કરી શકતા ? તે શક્તિ સંયમની તથા પવિત્રતાની હોય છે. બ્રહ્મચર્યનું ચીવટપૂર્વક પાલન કરવાથી શરીર તો નિરોગી અને સ્વસ્થ રહે છે જ, પરંતુ સાથે સાથે મન પણ મજબૂત, નિર્મળ અને સ્થિર તથા શાંત બને છે. એવું મન ધ્યાન તથા જપ જેવી આત્મવિકાસની અંતરંગ સાધનામાં સહેલાઈથી એકાગ્ર થઈ શકે છે અને એને લીધે ઈશ્વરને જલદી ઓળખી પણ લે છે. એ ઉપરાંત, બ્રહ્મચર્યના પાલનથી જે ઓજસ પેદા થાય છે તેથી જ્ઞાન-વિજ્ઞાનના ઊંડાણ, રહસ્યોનું ચિંતન મનન કરવાની શક્તિ વધે છે, તથા એક જાતના અનેરા, અસાધારણ આત્મબળનો આવિર્ભાવ થાય છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ તથા મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષો એવા આત્મબળના મૂર્તિમંત સ્વરૂપ હતા. કોઈ માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી વિલાસી જીવન જીવતો રહ્યો હોય અને ઈશ્વરને પણ ઓળખી શક્યો હોય એવું આજ સુધી તો નથી બન્યું. ઈશ્વરને ઓળખવા માટે સંયમ કે બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે.

પ્રશ્ન : સંસારમાં રહીને ઘરઆંગણે અનેક જાતની મુસીબતોમાં રહેવા છતાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને જીવનને ધન્ય કરવાનું કેવી રીતે શક્ય બની શકે ?
ઉત્તર : ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને જીવનને ધન્ય કરનારા કેટલાક સાધકો તમારી જેમ સંસારમાં ઘરઆંગણે અનેક જાતની મુસીબતો તથા વિરોધી વાતાવરણની વચ્ચે જ વાસ કરતા હતા. તેમનો વિકાસમાર્ગ ધાર્યા જેટલો સરળ ન હતો. છતાં પણ એ આગળ વધી શક્યા. તેવી રીતે તમે પણ આગળ વધી શકો છો. કેટલીક ખાસ વાતોને યાદ રાખો તો તમારા વિકાસનો રસ્તો જરૂર બની શકશે.

પ્રશ્ન : ઈશ્વરના સાક્ષાત્કારને માટે મુખ્ય સાધન કયા છે ?
ઉત્તર : રામાયણમાં સંત તુલસીદાસે કહ્યું જ છે કે 'જાકે જાપર સત્ય સનેહુ, સો તેહિ મિલત ન કછુ સંદેહુ.’ એટલે કે જેને જેના પર સાચો સ્નેહ હોય છે તે તેને જરૂર મળે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. તુલસીદાસના એ વચનનો ઉલ્લેખ અહીં એટલા માટે કરી રહ્યો છું કે તેમાં તમારા પ્રશ્નનો ઉત્તર સમાયેલો છે. એ વચન ઈશ્વરના સાક્ષાત્કારના સંબંધમાં પણ એવું જ લાગું પડે છે. ઈશ્વરના સાક્ષાત્કારનું એક મુખ્ય સાધન ઈશ્વરને માટેનો સાચો સ્નેહ કે પ્રેમ છે. એના સિવાય ઈશ્વરનો સાક્ષાત્કાર થવો મુશ્કેલ છે. ગમે તેટલા જપ કરવામાં આવે, તપ કરવામાં આવે, જ્ઞાનના ગ્રંથોનો આધાર લેવામાં આવે, કે ગમે તેટલું દેવદર્શન, કથાશ્રવણ કે તીર્થાટન થાય, તો પણ જો ઈશ્વરને માટેનો પવિત્ર પ્રામાણિક કે પ્રખર પ્રેમ ન પ્રકટે ને ઈશ્વરના દર્શનની ભૂખ ના લાગે કે ઉત્કટતા ન જાગે તો ઈશ્વરનો સાક્ષાત્કાર ન જ થઈ શકે. પ્રેમ સૌના મૂળમાં છે ને જુદાં જુદાં સાધનોનો આધાર લઈને એને જગાડવાની તથા વધારવાની જરૂર છે. એ પ્રેમ પોતાની પરાકાષ્ટાએ પહોંચતાં ઈશ્વરના દર્શનને માટે અંતર અધીરું બનશે, અંગેઅંગમાં ઈશ્વરનો નાદ લાગશે, પ્રાણ ઈશ્વરને માટે પોકાર પાડશે, અને આગળનું કામ પછી સહેલું બનશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.