if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : કેટલાક યોગીઓ જમીનમાં ખાડા ખોદાવીને દટાય છે. અથવા તો અગાઉથી નક્કી કરેલા દિવસો પ્રમાણે સમાધિ લે છે, તો તેવી સમાધિ લેવાનું શું શક્ય છે ખરું ? જો શક્ય હોય તો કેવી રીતે ?
ઉત્તર : એવી રીતે સમાધિ લેવાનું શક્ય છે. પ્રાણાયામના અભ્યાસમાં આગળ વધેલો યોગી પોતાની ઈચ્છા મુજબ લાંબા વખત લગી પ્રાણવાયુને રોકીને જમીનમાં બેસી શકે છે અથવા સમાધિ લઈ શકે છે. એ માટે ઘણો ઊંડો અભ્યાસ જોઈએ. અભ્યાસમાં જરાક પણ ખામી આવતાં કે ભૂલ થતાં મરણ ને શરણ થવું પડે છે અને એવે વખતે કોઈ કોઈ સાધકોનાં શરીર જમીનમાં ગંધાઈ ઊઠે છે પણ ખરા. કેટલાક લેભાગુ સાધુઓ ભોંયરામાં હવા આવવાનું સાધન રાખી લોકોને ઠગવા માટે પણ સમાધિ લે છે. તે ભોંયરામાં આરામ કરે છે ને શિષ્યો તેમને જરૂરી પેય પદાર્થો પહોંચાડી તેમની સંભાળ પણ રાખતા હોય છે. છતાં પણ, યોગી સાચી રીતે સમાધિ લઈ શકે છે એવું માનવા છતાં પણ એવી સમાધિ લોકરંજન કે પ્રદર્શનનો વિષય ના બનવી જોઈએ એવું મને લાગ્યા કરે છે. સમાધિ- પછી તે જમીનની અંદરની હોય કે જમીનની બહારની, વ્યક્તિગત વિકાસની વસ્તુ છે, ને પ્રદર્શન તથા તે દ્વારા ધનસંચય કે પ્રતિષ્ઠા ને લાલસાનો વિષય ના બનવી જોઈએ. એ આત્મદર્શન અને આત્મશાંતિના શુભ હેતુથી પ્રેરાઈને એકાંતમાં કેવળ ઈશ્વરની હાજરી વચ્ચે જ થાય એ જરૂરી છે.

પ્રશ્ન : એવી સમાધિ ઉપયોગી થાય ખરી ?
ઉત્તર : સમાધિના પ્રત્યક્ષ અનુભવની ઈચ્છાવાળા માણસોને એવી સમાધિ સંતોષ આપે અને વધારે શ્રદ્ધાળુ બનાવે એવું બને ખરું, પરંતુ એ સમાધિ આત્મજ્ઞાન કે આત્માનુભવ વગરની જડ સમાધિ જ હશે, તથા એમાંથી જાગ્યા પછી પણ જો એનો આધાર લેનારની અંદર અહંકાર, મમતા, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આસક્તિ કે ભેદભાવ કાયમ રહેશે અને જો એવી સમાધિને પરિણામે મનના મેલ મટી જઈને પરમાત્માનો પ્રેમ નહિ પ્રકટે, તો એ સમાધિ શાંતિ નહિ આપી શકે. એનાથી કદાચ સિદ્ધિઓ મળશે પરંતુ બંધનોની નિવૃત્તિ કે જીવનનું કલ્યાણ નહિ થઈ શકે. જે સાધના માણસને સાચા અર્થમાં માણસ ના બનાવે ને પરમાત્માની પાસે ના પહોંચાડે તે ગમે તેવી અસાધારણ કે આશ્ચર્યચક્તિ કરનારી હોય તો પણ શું કામની ?

પ્રશ્ન : લય ને સમાધિ એક જ છે કે જુદાં જુદાં ?
ઉત્તર : બંને એક જ છે. બંનેમાં શરીરનું ભાન ભૂલાઈ જાય છે, ને સુખનો અનુભવ થાય છે. બંનેના નામ જુદાં છે પરંતુ તેમનો સાર એક જ છે.

પ્રશ્ન : લય અને આત્મદર્શન અથવા આત્મસાક્ષાત્કાર એક છે કે એમાં કાંઈ ફેર છે ?
ઉત્તર : એ બંનેમાં ફેર છે. એ ફેર સ્વાનુભવ વગર સમજાય તેવો નથી. લયની દશા છે ઘણી જ ઊંચી ને કિંમતી, છતાં પણ દરેક પ્રકારના લયમાં સાધકને આત્માનો સાક્ષાત્કાર નથી થતો. આત્માનો અનુભવ કરાવનારો લય તો કોઈ ધન્ય ક્ષણે જ થતો હોય છે. એવા લય પછી સાધકનું મન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે અને જાગૃત દશામાં આવ્યા પછી પણ તેને જડચેતનમાં બધે જ પરમાત્માની અનુભૂતિ થવા માંડે છે. એવો વિશેષ પ્રકારનો લય જીવનને કૃતાર્થ કરનારો હોય છે. એને નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે અથવા તો અસંપ્રજ્ઞાત સમાધિના નામથી પણ ઓળખવામાં આવે છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.