if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ભગવાન શ્રીકૃષ્ણના દર્શનની ઈચ્છા મને કેટલાય વખતથી થયા કરે છે. તો તે ઈચ્છા પૂરી થઈ શકશે ખરી ?
ઉત્તર : શા માટે નહિ થઈ શકે ? એકલા શ્રીકૃષ્ણના જ દર્શનની ઈચ્છા શા માટે ? બીજા કોઈ પણ દર્શનની ઈચ્છા કોઈના પણ જીવનમાં પૂરી થઈ શકે છે. એમાં કોઈ પ્રકારની શંકા કરવાની જરૂર નથી. આજ સુધી ભક્તિમાર્ગના કેટલાય સાધકોને ભગવાનના દર્શન ભિન્ન ભિન્ન સ્વરૂપે થયેલા છે તેવી જ રીતે તમને પણ થઈ શકે છે. ફક્ત તેને માટે આવશ્યક યોગ્યતા તરીકે તમારા દિલમાં પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ.

પ્રશ્ન : પ્રેમ અને વિશ્વાસ તો છે જ. આથી વધારે પ્રેમ કેવો ?
ઉત્તર : એ તો કેવી રીતે કહી શકાય ? પ્રેમ છે તેની ના નહિ. પ્રેમ છે માટે તો તમને ઈશ્વરના દર્શનની ઈચ્છા થાય છે. તેના વિના ઈશ્વરના દર્શનની ઈચ્છા થાય જ નહિ. પરંતુ આજે જે પ્રેમ છે તે બરાબર નથી. તે પર્યાપ્ત માત્રામાં છે એવું માની લેવામાં ભૂલ થાય છે. તમે તેને પર્યાપ્ત માત્રામાં છે એમ માનતા હશો. છતાં પણ તેવું નથી.

પ્રશ્ન : કેમ ? મારા પ્રેમમાં કશી કમી છે ?
ઉત્તર : કમીની વાત હું નથી કરતો. તે તમારે જોવાનું કે શોધી કાઢવાનું છે. પરંતુ જો તમારા હૃદયમાં ઈશ્વરને માટેના પરમ પ્રેમનો ઉદય થયો હોત, તો તમે ઈશ્વરથી દૂર રહી શકત નહિ. અથવા તો એમ કહો કે ઈશ્વર તમારાથી દૂર રહી શકત જ નહિ. તમને ઈશ્વરનું ધન્ય દર્શન ક્યારનુંય થઈ ગયું હોત. અને તમે જે પ્રશ્ન પ્રારંભમાં પૂછ્યો છે તે પ્રશ્ન પણ પૂછવાનો ના રહેત. ધારો કે ઉત્કટ પ્રેમનો ઉદય થવા છતાં કોઈ કારણથી તમને ઈશ્વરનું દર્શન થવામાં વિલંબ થાત તો પણ, તે દર્શન થશે એવી શ્રદ્ધા તો તમને જરૂર રહેત. એ વિશે લેશમાત્ર પણ આશંકા ના થાત. અને તમારા ચિહ્નો પણ બદલાઈ જાત.

પ્રશ્ન : ચિહ્નો પણ બદલાઈ જાત એટલે શું થાય તે કહી બતાવશો.
ઉત્તર : ચિહ્નો પણ બદલાઈ જાત એટલે તમારી આખી દિનચર્યા જ ફરી જાત. આજે તમને સંસારના વ્યવહારમાં જે થોડોક પણ રસ છે તે રસ પછી ઊડી જાત. તમારો રહ્યોસહ્યો સઘળો જ રસ સંસારના કોઈ પદાર્થ કે સંસારની કોઈ પ્રવૃત્તિમાં નહિ, પરંતુ ઈશ્વરમાં જ રહેત. ઈશ્વર જ તમારા જીવનનું મધ્યબિંદુ બની જાત. પછી તમે દિવસ અને રાત ઈશ્વરનું જ સ્મરણ કર્યા કરત, ઈશ્વરના જ ચિંતન મનનમાં મગ્ન બનીને બેસી રહેત. ઈશ્વરને માટે પળેપળે પ્રાર્થત. અને અંતરના અંતરતમમાંથી ઈશ્વરને માટે આક્રંદ કરત. ઈશ્વર સિવાય તમને કાંઈ ગમે નહિ એ દશાની કલ્પના તમે કરી શકો છો ? હજી એ ધન્ય દશાની પ્રાપ્તિ તમને નથી થઈ. માટે તો તમારૂં મન સંપૂર્ણપણે ઈશ્વર પરાયણ નથી રહેતું. અલબત્ત, તમારી સાધનામાં આગળ ને આગળ વધતા રહેશો તો છેવટે એ દશાની પ્રાપ્તિ જરૂર થશે.

પ્રશ્ન : હૃદયમાં ઈશ્વરને માટેનો પ્રેમ હોય, ત્યાગ હોય, ને વૈરાગ્ય હોય તો પણ ઈશ્વરના દર્શન થવામાં વિલંબ થાય છે ખરો ?
ઉત્તર : કોઈ વાર વિલંબ થતો હોય છે અને એનું કારણ જરૂરી સમયનો અભાવ હોય છે. યોગ્ય સમય પાકતાં લગી પ્રેમ હોવા છતાં ભક્તને પ્રતીક્ષા કરવી પડે છે. એવે વખતે નિરાશ થવાની જરૂર નથી. કર્મસંસ્કારના અંતરાય પૂરા થતા માર્ગ સાફ થશે, ને ઈશ્વર દર્શન અવશ્ય થઈ રહેશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.