if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન :  કેટલાક લોકો કહે છે કે, દેવીને પશુનું બલિદાન દેવાથી દેવી પ્રસન્ન થાય છે. કોઈ કોઈ પંડિતો પણ એવું કહેતા સાંભળવામાં આવે છે કે શાસ્ત્રોમાં પશુના બલિદાનનું સમર્થન કરવામાં આવ્યું છે. તો તેમનું કથન સાચું માનવું કે ખોટું ? દેવીની પ્રસન્નતાને માટે શું પશુનું બલિદાન અનિવાર્ય અથવા આવશ્યક છે ?
ઉત્તર : દેવીની પ્રસન્નતાને માટે પશુનું બલિદાન અનિવાર્ય અથવા આવશ્યક બિલકુલ નથી. દેવીની પ્રસન્નતાને માટે જે અનિવાર્ય અથવા તો અત્યંત આવશ્યક છે તે તો દેવીને માટેનો  સાચા દીલનો ઉત્કટ કે પ્રખર પ્રેમ છે. મનની નિર્મળતા વિના એવો પ્રેમ નથી પ્રકટી શકતો. એ પ્રકટે છે એટલે અંતર દેવીના દર્શનને માટે તલસવા માંડે છે અને આકુળવ્યાકુળ બની જાય છે. એવા તલસાટ અને એવી વ્યાકુળતા વિના દેવી દેવતા, ઈષ્ટદેવ કે ઈશ્વરનું દર્શન નથી થઈ શકતું.

પ્રશ્ન : તો પછી પશુના બલિદાનની વાત શું વ્યર્થ છે ?
ઉત્તર : વ્યર્થ છે એમ જ કહેવું પડે છે. જો ન્યાય, નીતિ ને સત્યના પક્ષે રહીને વિચારો તો તમને કે બીજા કોઈને પણ એ વ્યર્થ કે નિરર્થક જ લાગશે. જે મહાન ભારતીય સંસ્કૃતિ, ધર્મ કે તત્વજ્ઞાને ‘અહિંસા પરમ ધર્મ છે’ એવો ઉપદેશ આપ્યો છે, ચરાચરમાં પરમાત્માના પાવન પ્રકાશની ઝાંખી કરીને સૌના પ્રત્યે પ્રેમ કેળવવાની તેમજ સૌનાયે હિતમાં રત રહેવાની સૂચના કરી છે, અને મન વચન તથા કાયાથી કોઈનું કિંચિત પણ કુડું ના કરવાની ભલામણ કરી છે, તે સંસ્કૃતિ, ધર્મ કે તત્વજ્ઞાન દેવી કે દેવતાની પ્રસન્નતાને ખાતર પણ જીવ-હત્યાની ભલામણ કેવી રીતે કરી શકે ? દેવી કે દેવતાની પ્રસન્નતાને માટે એ ધર્મ, તત્વજ્ઞાન તથા સંસ્કૃતિએ છેક જ સહેલી રીત શોધી કાઢી છે, ને સરળ ઉપાયોનું અવલંબન લેવાનું કહ્યું છે. તે પ્રમાણે ચપટી ચોખા મુકવાથી, નાળિયેર કે સોપારી મુકવાથી, અને કશું જ ના મુકવું હોય તો બે હાથ જોડી મસ્તક નમાવીને પગે લાગવાથી, પ્રેમથી ભરેલું એકાદ ગીત ગાવાથી કે પ્રાર્થના કરવાથી દેવી કે દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે છે. તેવા સરળ, સીધા ને નિષ્કલંક માર્ગનો ત્યાગ કરીને હિંસાના અનૈતિક માર્ગનો આધાર શા માટે લેવો છે, અને તે પણ શાસ્ત્રોના નામે ?

પ્રશ્ન : ત્યારે પંડિતોના કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં પશુનું બલિદાન દેવાનો ઉલ્લેખ આવે છે તેનું સ્પષ્ટીકરણ કેવી રીતે કરી શકશો ? તે ઉલ્લેખ શું ખોટો છે ? તમે જે ખુલાસો કરો છો તે મુજબ તો તે ખોટો જ ગણાય.
ઉત્તર : શાસ્ત્રોમાં પશુના બલિદાનની જે વાત આવે છે તે વાત ખોટી નથી, પરંતુ એનો અર્થ જરા જુદો છે. એનો શબ્દાર્થ નથી લેવાનો પરંતુ ભાવાર્થ લેવાનો છે. જે ગેરસમજ ફેલાઈ છે તે એનો શબ્દાર્થ કરવાને લીધે જ ફેલાઈ છે.

પ્રશ્ન : પશુબલિનો વળી કેવોક ભાવાર્થ થાય છે ?
ઉત્તર : પશુ શબ્દનો અર્થ પશુભાવ, પશુતા, અજ્ઞાન અથવા તો અહંકારથી યુક્ત જીવભાવ થાય છે. એને લીધે જ માનવને દેવી, દેવતા, ઈષ્ટ કે ઈશ્વરનું દર્શન નથી થઈ શકતું. શાસ્ત્રોએ દેવી દેવતા ઈષ્ટ કે ઈશ્વરની પ્રસન્નતાને માટે તેનું બલિદાન આપવાનું અથવા તો તેનાથી મુક્તિ મેળવવાનું કહેલું છે. એ પશુતા, અજ્ઞાન અથવા અહંકારને લીધે જ જીવ શિવથી દૂર છે, અને શિવનું સાન્નિધ્ય નથી મેળવી શકતો. એમાંથી મુક્તિ મેળવીને દેવી, દેવ કે ઈશ્વરના ચરણોમાં પોતાનું સર્વસમર્પણ કરવાની જરૂર છે. પશુબલિનો અર્થ આવો ઊંડો અને આધ્યાત્મિક છે. પરંતુ બીજી કેટલીય વાતોના સંબંધમાં બન્યું છે તેમ વખતના વીતવાની સાથે એ ભાવાર્થ પણ ભુલાઈ ગયો. અને દેવીની પ્રસન્નતાને નામે જ્યાં-ત્યાં પશુઓની ઘોર હત્યા થવા માંડી. યજ્ઞોમાં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું. ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા મહાપુરૂષોએ એ પ્રથાની સામે વિરોધ પણ ઊઠાવ્યો. વર્તમાનકાળમાં વેદોના મહાન અભ્યાસી અને આલોચક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ સ્થૂલ બલિદાનની એ પ્રથાને ખોટી ઠરાવી. એટલે પશુબલિની એ પદ્ધતિ લેશ પણ આવકારદાયક નથી એ સમજી લેવું જોઈએ.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.