if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : સ્થિતપ્રજ્ઞ પુરૂષ કોને કહી શકાય ?
ઉત્તર : ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ પુરૂષનો ઉલ્લેખ આવે છે તે પ્રમાણે જેની બુદ્ધિ સ્થિર થઈ હોય અને જેનું મન સંકલ્પવિકલ્પથી રહિત બનીને પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરી ચૂક્યું હોય, તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. ગીતામાં એવા પુરૂષને માટે ગુણાતીત શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે.

પ્રશ્ન : એવા પુરૂષને ઓળખવાનાં કોઈ બાહ્ય લક્ષણો ખરાં ?
ઉત્તર : બાહ્ય લક્ષણોનો અર્થ જો તમે બાહ્ય દેખાવ કરતા હો, તો મારે કહેવું જોઈએ કે બાહ્ય દેખાવની બાબતમાં સ્થિતપ્રજ્ઞ પુરૂષોની દુનિયામાં કોઈ એકસરખો નિયમ નથી પ્રવર્તતો. કેટલાંક લોકો માને છે કે સ્થિતપ્રજ્ઞ પુરૂષ અમુક જ જાતનો વેશ રાખે. અને અમુક રીતે જ રહેતો હોય, પરંતુ તે માન્યતા બધા સંજોગોમાં બરાબર નથી. બાહ્ય દેખાવની દુનિયામાં સ્થિતપ્રજ્ઞ પુરૂષ પોતાની ઈચ્છા, રુચિ કે પસંદગી પ્રમાણે વર્તે છે. એ કોઈ નક્કી કરેલા નિયમ કે બંધનને આધીન નથી. એના પરથી એનું મૂલ્યાંકન ના કરી શકાય કે એની ગુણવત્તા પણ ના આંકી શકાય. એવી રીતે એની ગુણવત્તા આંકવા જઈએ તો ખોટા ઠરીએ. છતાં પણ, એવા પુરૂષને ઓળખવા માટેના કેટલાંક અંતરંગ લક્ષણો છે જેમનો પડઘો બહારની દુનિયામાં, અથવા તો એના બહારના જીવનવ્યવહારમાં પડતો હોય છે. એવાં લક્ષણો પરથી એને ઓળખવામાં મદદ મળી શકે ખરી.

પ્રશ્ન : એવાં લક્ષણોનો ઊડતો ચિતાર આપી શકશો ?
ઉત્તર : જરૂર. સ્થિતપ્રજ્ઞ કે ગુણાતીત અથવા તો સાક્ષાત્કારી પુરૂષનું સૌથી મોટું અને મહત્વનું લક્ષણ તો એની અંદર અને બહાર પ્રવર્તતી પરમશાંતિ છે. પરમાત્માના પ્રત્યક્ષ પરિચયને પરિણામે એને જે પરમશાંતિની પ્રાપ્તિ થઈ છે, તે શાંતિ એના વદન પર, એની આંખમાં, વાણીમાં અને એના હલનચલનમાં દેખાઈ આવે છે. એની સંનિધિમાં પહોંચતા વેંત જ આપણને એ શાંતિનો પરિચય થાય છે. ગમે તેવા સ્થળ કે કાળમાં પણ એ શાંતિનો પ્રવાહ એવો જ અબાધિત રહે છે. મનુષ્યમાત્ર એવી અખંડ કે સનાતન શાંતિની ઈચ્છા કરે છે. તેને માટે પરિશ્રમ કરે છે. પરંતુ એ શાંતિ એના ભાગ્યમાં નથી હોતી કારણ કે એ શાંતિ કેવળ મનબુદ્ધિની પર જવાથી, અથવા તો અતીન્દ્રિય પ્રદેશમાં પ્રવેશ કરવાથી જ મળી શકે છે. એના માટે આત્મિક સાધનાનું આલંબન લેવું જોઈએ, અને એ સાધનામાં સફળ ના થવાય ત્યાં સુધી ખંત ને ચીવટપૂર્વક આગળ વધવું જોઈએ. એ માર્ગે બહુ જ ઓછા પુરૂષો પ્રયાણ કરે છે એટલે બહુ જ ઓછા પુરૂષો એ શાંતિની પ્રાપ્તિ કરી શકે છે. એ દુનિયાનું નિરીક્ષણ કરતાં આપણે જોઈ શકીએ છીએ.

પ્રશ્ન : શાંતિની પ્રાપ્તિને માટે આત્મિક સાધનાનો આધાર લેવો જ જોઈએ કે બીજી કોઈ રીતે પણ તેની પ્રાપ્તિ થઈ શકે ?
ઉત્તર : બીજી કોઈ રીતે એટલે ?

પ્રશ્ન : દુન્વયી સુખોપભોગથી પણ શાંતિ તો મળી શકે છે !
ઉત્તર : પરંતુ એ શાંતિ કેટલી બધી અસ્થાયી હોય છે અને ઉપરછલ્લી કે અધૂરી, તે તમે સહેલાઈથી સમજી શકો છો. જેવી રીતે વરસાદની ઋતુમાં ચમકીને વિલીન થઈ જનારી વીજળીના કાયમી અસ્તિત્વની કોઈ બાંયધરી નથી આપી શકતું, તેવી રીતે દુન્વયી વિષયો કે સાંસારિક સુખોપભોગથી પ્રાપ્ત થનારી એ શાંતિની શાશ્વતતાનો શિલાલેખ પણ લખી નથી શકાતો. એ શાંતિ બહારના પદાર્થો અને સંજોગો પર આધાર રાખતી હોઈને, એ પદાર્થો ને સંજોગો દૂર થતાં કે વિપરિત બનતા, ઊડી જાય છે. અને એવે વખતે માણસ અત્યંત અશાંત બની જાય છે. પરંતુ સ્થિતપ્રજ્ઞ પુરૂષની શાંતિ તો મનથી નિર્મળતા, સ્થિરતા અને પરમાત્માના સાક્ષાત્કારને પરિણામે, પોતાના આત્મામાંથી સ્વતઃ કે સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થયેલી હોય છે. એટલે એનો કદી પણ નાશ નથી થતો. કોઈ બાહ્ય વસ્તુ કે પરિસ્થિતિ પર એનો આધાર પણ નથી રાખવો પડતો. આ મોટો ને મહત્વનો ભેદ તમે સમજી શકો છો ?
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.