Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાનની સાધનામાં આગળ વધ્યા છીએ એવું ક્યારે કહી શકાય ?
ઉત્તર : ધ્યાન કરતાં મન બહારના પદાર્થોમાં દોડવાનું કે વિહરવાનું મૂકી દઈને જ્યારે બીજું બધું જ ભૂલી જાય ને ધ્યાન વસ્તુમાં લીન બની જાય, અને એવી લીનતાની દશા ક્ષણ બે ક્ષણ સુધી નહિ પરંતુ કલાકો લગી અનવરત અથવા તો અભંગપણે રહે ત્યારે તમે ધ્યાનની સાધનામાં આગળ વધ્યા છો એવું કહી શકાય. ધ્યાનમાં બેસશો કે તરત જ તમારું મન એકાગ્રતાના અમૃતમય પ્રવાહમાં વિના પરિશ્રમે, સ્વાભાવિક રીતે જ વહેવા માંડશે. બીજું કશું સ્મરણ નહિ રહે.

પ્રશ્ન : ધ્યાન ક્યાં કરવું જોઈએ ?
ઉત્તર : કોઈ પણ મંત્રમાં, ઈષ્ટમાં, શરીરના કોઈ પણ કેન્દ્રમાં, જ્યાં ઠીક લાગે ત્યાં ધ્યાન કરી શકાય છે. અને એમાંથી ક્યાં પણ ઠીક ના લાગે તો, કોઈ યે પ્રકારના પ્રતીકમાં મન લગાડ્યા વિના, ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહ્યા પ્રમાણે સંકલ્પ-વિકલ્પની નિવૃત્તિવાળી શાંત દશામાં બેસીને પણ ધ્યાન કરી શકાય છે. જેવી તમારી રૂચિ, પસંદગી ને યોગ્યતા. જો સ્થાન વિશે પૂછવા માગતા હો તો કોલાહલરહિત, શાંત અને એકાંત સ્થાન ધ્યાનની સાધના માટે અત્યંત ઉપયોગી છે. એવું સ્થાન ના મળે તો ઘરમાં જ અનુકૂળ જગા, કે સમય શોધીને એ માટેની અનુકૂળતા કરી શકો છો.

પ્રશ્ન : શરીરના કયા કેન્દ્રમાં ધ્યાન કરવાનું વધારે અનુકૂળ રહે છે ?
ઉત્તર : હૃદયપ્રદેશમાં અથવા તો બંને ભ્રમરની મધ્યમાં વધારે અનુકૂળ રહે છે. ભક્તિ-ભાવથી ભરેલા સાધકો ખાસ કરીને હૃદયપ્રદેશને પસંદ કરે છે, ને જ્ઞાન કે યોગમયી પ્રકૃતિવાળા સાધકો ભ્રમરની મધ્યના ભાગને પસંદ કરે છે. તમે ગમે તે એક કેન્દ્રની પસંદગી કરી શકો છો. ભ્રમરની મધ્યમાંનો ભાગ વધારે યોગ્ય હશે.

પ્રશ્ન : ધ્યાન કરવાથી ઊંચી કોટિના સિદ્ધ પુરૂષોનું દર્શન થાય છે. એ વાત શું સાચી છે ?
ઉત્તર : તદ્દન સાચી છે. ધ્યાનની સાધનામાં ઊંડે ડૂબકી મારીને તમે એ વાતનો અનુભવ કરી શકો છો. એવો અનુભવ કોઈ પણ કરી શકે છે. થોડા કે વધારે સાધનથી સફળ મનોરથ ન થાય તો નિરાશ ના બનતા, ને સાધનામાં અંતરંગ અનુભવોને મિથ્યા માનવાનો ઉતાવળિયો અભિપ્રાય પણ ના બાંધી બેસતા. મહર્ષિ પતંજલિએ યોગદર્શનના વિભૂતિપાદમાં કહ્યું છે કે બંને ભ્રમરના મધ્યભાગમાં એટલે કે આજ્ઞાચક્રમાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવાથી સિદ્ધ પુરૂષોનાં દર્શન થાય છે, એ વાત સાચી છે. પરંતુ તેના અનુભવને માટે મન મૂકીને ધ્યાનની સાધના કરવી પડશે. અને એ પણ ધીરજ, શ્રદ્ધા, હિંમત ને લગનથી મનને નિર્મળ કરતા રહીને.

પ્રશ્ન : એ સિદ્ધ પુરૂષો મદદરૂપ થાય છે ખરા ?
ઉત્તર : અવશ્ય મદદરૂપ થાય છે. તે દિક્ષા આપે છે. મંત્ર આપે છે, ઉત્સાહ તથા સલાહસૂચન આપે છે, અને સાધકના માર્ગદર્શક થાય છે. તે ઉપરાંત બીજી પણ કીંમતી સહાય કરતા રહે છે. એ તો તમે પોતે જ્યારે સ્વાનુભવના આધાર પર એમના સંપર્કમાં આવશો ત્યારે જ સમજી શકશો. ત્યાં સુધી મારી વાતમાં વિશ્વાસ રાખો અને આગળ વધો.