if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાન કરતી વખતે કોઈ એક ચોકકસ પ્રકારના આસનમાં જ બેસવું જોઈએ કે પછી ગમે તે આસનમાં બેસી શકાય ? હું પ્રયત્ન તો પૂરતો કરું છું પરંતુ મારાથી પદ્માસનમાં નથી બેસી શકાતું. તો પદ્માસન વિના ચાલી શકે કે નહીં ?
ઉત્તર : પદ્માસન વિના ખુશીથી ચાલી શકે. ધ્યાનમાં બેસતી વખતે પદ્માસન, સ્વસ્તિકાસન, કે સિદ્ધાસનનો આધાર લેવો એવું યોગના ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. એ આસનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારાં છે તથા મનની એકાગ્રતામાં પણ મદદરૂપ થાય છે. છતાં પણ જે એમને સિદ્ધ ના કરી શકે તે એમના વિના ધ્યાન કરી જ ના શકે એમ નથી સમજવાનું. મહર્ષિ પતંજલીએ પોતાના યોગદર્શનમાં આસનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે સ્થિરતા તથા સુખનો અનુભવ કરાવે તે બેસવાની પદ્ધતિને આસન કહેવાય છે. એ દ્રષ્ટિએ જોતાં, પદ્માસન જેવા કોઈ વિશેષ આસનની તરફેણ તેમણે કરી નથી. તમારાથી પદ્માસનમાં બેસી શકાય તો સારું છે. પરંતુ ના જ બેસી શકાય તો સુખાસનમાં પણ બેસી શકાય છે. યાદ રાખો કે ધ્યાનમાં આસનનું મહત્વ એટલું બધું નથી જેટલું મહત્વ મનની સ્થિરતાનું અથવા તો એકાગ્રતાનું છે. એની સિદ્ધિ તરફ જ વધારે ધ્યાન રાખવું જોઈએ.

પ્રશ્ન : ધ્યાન કરવા ઉત્તમ સમય કયો કહેવાય ?
ઉત્તર : વહેલી સવારનો, સંધ્યાકાળનો અથવા તો મધ્યરાત્રિ પછીનો. તે વખતે વાતાવરણ તદ્દન શાંત હોય છે. એ વખતે ધ્યાનમાં મન સહેલાઈથી સ્થિર થઈ જાય છે. માટે એ સમયને ઉત્તમ કહ્યો છે. બાકી તો મનને શાંત કરવા માટેની સાધનામાં સહાયક થાય એવા કોઈ પણ અનુકૂળ સમય વખતે ધ્યાન કરી શકાય છે.

પ્રશ્ન : સગુણ ધ્યાન ઉત્તમ કે નિર્ગુણ ધ્યાન ?
ઉત્તર : બંને પ્રકારના ધ્યાન ઉત્તમ તથા ઉપકારક છે. મનુષ્યોની રૂચિને અનુલક્ષીને તે નક્કી થયા છે. એટલે ઉત્તમ કે અનુત્તમની ચર્ચામાં ના પડો. તમારી પ્રકૃતિ પ્રમાણે તમને જે અનુકૂળ લાગે એનો આધાર લઈને આગળ વધો. એ જ ઉચિત છે.

પ્રશ્ન : ધ્યાન કે જપ કરતી વખતે ઊંઘ આવે છે. તેનું કારણ ?
ઉત્તર : કોઈવાર તેના કારણમાં પૂરતા આરામનો અભાવ હોય છે, તો કોઈવાર વધારે પડતા ખોરાકને લીધે પણ ઊંઘ અથવા આળસ આવતી હોય છે. કોઈવાર મનની નબળાઈ પણ તેમાં ભાગ ભજવતી હોય છે. પરંતુ ધ્યાન કે જપને માટે એ કોઈ આશીર્વાદરૂપ અવસ્થા તો નથી જ. એટલે એમાંથી મુક્તિ મેળવવા માટે પૂરતી નિંદ્રા લીધા પછી જ ધ્યાન કે જપ કરવા બેસવું. રાતે વહેલું તથા સૂક્ષ્મ ભોજન લેવું અને જ્યારે સુસ્તી, આળસ કે નિંદ્રાની અસર જેવું લાગે ત્યારે મોં ધોઈને થોડી વાર આંટા મારવા, ને પછી થોડો વખત ઉઘાડી આંખ રાખીને જપ કે ધ્યાન કરવા બેસવું. એ પ્રમાણે તકેદારી રાખવાથી ઊંઘની ફરિયાદ ક્રમે ક્રમે દૂર થઈ જશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.