if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાનમાં બેસું છું ત્યારે કેટલીક વાર મન શાંત થવાને લીધે પ્રકાશનું દર્શન થાય છે. તો તે શું હશે ? પ્રકાશના એવા દર્શનથી આનંદ તો આવે છે, પરંતુ કોઈકવાર એવી શંકા પણ થઈ આવે છે કે હું ખોટે માર્ગે તો નથી જઈ રહ્યો ને ? મારા જેવા બીજા અભ્યાસીઓને પણ આવો અનુભવ થતો હશે કે નહિ તે હું નથી જાણતો. તો એ સંબંધી માર્ગદર્શનની આશા રાખું છું.
ઉત્તર : તમારો પ્રશ્ન સારો ને કામનો છે. ધ્યાનમાં બેસો છો ત્યારે તમને પ્રકાશનું દર્શન થાય છે તે અનુભવ ઘણો સારો છે એમ કહી શકાય. ધ્યાનની પ્રક્રિયામાં તમે ઠીક ઠીક પ્રગતિ કરી છે કે આગળ વધ્યા છો એની એ સાબિતી છે. પરંતુ એ સંબંધી તમારે કોઈ ભળતી શંકા કરીને તમારી પોતાની જ અંદર અથવા તો તમારી સાધનામાં અશ્રદ્ધા જગાવવાની જરૂર નથી. ધ્યાનની શાંત દશા દરમિયાન થનારું પ્રકાશદર્શન કેટલાય અભ્યાસીઓને થતું હોય છે, અને એ એક સારું ચિન્હ છે. એથી કોઈ પ્રકારના મિથ્યા સંશયમાં પડવાને બદલે, ઉત્સાહિત થઈને આગળ વધવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીનું જીવન વાંચશો તો જણાશે કે પ્રકાશદર્શનનો અનુભવ એમને પણ થયો હતો.

પ્રશ્ન : એવો અનુભવ બધા અભ્યાસીઓને થાય છે ?
ઉત્તર : ના, પ્રકાશદર્શનનો અનુભવ સારો ને સાચો છે, છતાં પણ બધા અભ્યાસીઓને નથી થતો. ધ્યાનમાર્ગના બધા પ્રવાસીઓને એક સરખા વચગાળાના અનુભવો થતા નથી એ ખાસ યાદ રાખવાનું છે. જુદા જુદા અભ્યાસીઓને જુદા જુદા અનુભવો થતા હોય છે. એટલે એક અભ્યાસીનો અનુભવ બીજાની સાથે ન મળતો હોય એવું પણ બને છે. એટલા પરથી જ કોઈએ એમ નથી માની લેવાનું કે પોતાને થતા અનુભવો મિથ્યા છે. સાધનની શ્રદ્ધાને પણ કોઈએ નથી ખોવાની. પોતાને થનારા અંગત અનુભવોનું મૂલ્ય પોતાને માટે હંમેશા હોય છે જ.

પ્રશ્ન : પ્રકાશદર્શનના અનુભવનો લાભ લઈને આગળ કેવી રીતે વધી શકાય ?
ઉત્તર : પ્રકાશદર્શનથી ઉત્સાહને દ્વિગુણિત કરીને ધ્યાનમાં વધારે ને વધારે આગળ વધો, તથા પ્રકાશની પણ પર પહોંચીને, જેનો પ્રકાશ છે તે પરમાત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ કરો. ત્યાં સુધી ધ્યાનનો અભ્યાસ કર્યા કરો. યાદ રાખો કે પરમાત્માનો સાક્ષાત્કાર જ તમારું ધ્રુવપદ છે, અને એની પ્રાપ્તિ સુધી બીજા વચગાળાના કોઈ યે અનુભવમાં ખોટી ઈતિકર્તવ્યતા માનીને અટકી ન પડો. નહિ તો તમારા વિકાસદ્વારને તમે તમારે હાથે જ બંધ કરી દેશો. પ્રકાશદર્શનનો અનુભવ તો એક સાધારણ અનુભવ છે. આગળ વધતાં બીજા કેટલાય ઉત્તમ કોટિના અનુભવો થતા રહેશે. કેટલીક વિશેષ શક્તિ કે સિદ્ધિ પણ મળશે. વિકાસના ક્રમમાં એ તો બધું સ્વાભાવિક રીતે આપોઆપ જ આવતું રહેશે. એ બધું તમને ઉત્સાહ આપે અને શ્રદ્ધા ભરપૂર બનાવી દે તો ભલે, પણ કેદ ન કરી દે, તેનું ધ્યાન રાખજો. પ્રકાશના પ્રકાશ, સિદ્ધિના સ્વામી પરમાત્મા જ તમારે માટે પ્રાપ્તવ્ય છે, એ વાતને કદી પણ ના ભૂલતા.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.