if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : મને લાંબા વખતથી એક પ્રશ્ન થાય છે કે દેશમાં ભૂતકાળમાં એકેકથી ચઢિયાતા એવા સમર્થ પુરૂષો થઈ ગયા છે, અને આજે પણ એવા સાક્ષાત્કારી શક્તિશાળી સંતપુરૂષો હાજર છે, તો પણ દેશની દશા સુધરતી કેમ નથી ? દેશમાં આટલું બધું દુઃખ દર્દ, છળકપટ ને લાંચરૂશ્વત, અનીતિ અને ગરીબીનું જોર છે, છતાં પણ એવા મહાપુરૂષો કેમ કાંઈ કરતા નથી ?
ઉત્તર : ભૂતકાળમાં થયેલા ને વર્તમાનકાળમાં શ્વાસ લેનારા સંતપુરૂષો પણ બે પ્રકારના છે. કેટલાંક સંતપુરૂષો તેમની પ્રકૃતિ ને સમજ પ્રમાણે કેવળ આત્મવિકાસ અને એને માટેની સાધનામાં જ આનંદ માને છે અથવા તો ઈતિકર્તવ્યતા સમજે છે, ને જગતને માટે કશું જ સક્રિય કરવા નથી માગતાં. જ્યારે બીજા પ્રકારના પુરૂષો બીજાની સક્રિય સેવામાં માને છે, એટલું જ નહીં પરંતુ બીજાની યથાશક્તિ યથાશક્ય સેવા કરવા તત્પર રહે છે. સંતપુરૂષોના આ બે ભેદને સમજી લો તો તમારા પ્રશ્નને વધારે સારી રીતે સમજી શકશો.

પ્રશ્ન : એ ભેદ તો સારી પેઠે સમજી ગયો. પરંતુ એના અનુસંધાનમાં જ હું પૂછવા માગું છું કે બીજા પ્રકારના સેવાભાવી, સેવાપરાયણ સંતપુરૂષો શું સંસારના આજના વિકૃત વાતાવરણમાં પલટો ના લાવી શકે ? સંસારને એ વધારે સુખમય કે શાંતિસભર ના કરી શકે ? તો પછી એમ કરવાને બદલે એ સરિતાના તટ પર કે પર્વતોની પ્રશાંત કંદરાઓમાં કેમ બેસી રહ્યાં છે ?
ઉત્તર : જે રીતે તમે વિચારો છો તે જ રીતે વિચારીએ તો તો સર્વસમર્થ ઈશ્વરને માટે પણ એ જ પ્રશ્નો પૂછવા પડે છતાં પણ સંતપુરૂષોની મર્યાદાને વફાદાર રહીને તો કહી શકાય કે બધા સેવાભાવી સંતો કાંઈ સરિતાના તટ પર કે શાંત પર્વત કંદરાઓમાં નથી રહેતા. તે વસતીમાં આપણી વચ્ચે પણ વસતા હોય છે. તેવા પુરૂષો સંસારને વધારે સુખશાંતિમય બનાવવા માટે વધારે ને વધારે પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા છે. સંસારના વિકૃત વાતાવરણમાં પલટો લાવવાની એમની આકાંક્ષા છે, પરંતુ એ આકાંક્ષાની પૂર્તિ કાંઈ એમ ને એમ થઈ શકવાની છે કે ? એ માટે તો બે હાથે તાળી પાડવી જોઈશે.

પ્રશ્ન : એટલે ?
ઉત્તર : એટલે આપણે પણ પ્રયાસ કરવો રહેશે. મહાન પુરૂષોની પૂજાસેવા કરીને કે એમનાં ગુણગાન ગાઈને બેસી રહેવાને બદલે એમના સંદેશને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થવું પડશે. એમની પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે જેના પ્રયોગથી જગતને તે ક્ષણમાત્રમાં ફેરવી શકે. તે તો માર્ગ બતાવે છે. પણ એ માર્ગ પર ચાલવાનું કામ આપણું છે. આપણા વ્યાસથી માંડીને આજ સુધીના અસંખ્ય સંતો આદર્શ જીવનનો ઉપદેશ આપી ગયા છે. પરંતુ સંસારે એ ઉપદેશનો ભાગ્યે જ અમલ કર્યો છે. એટલે ત્રુટી સંતોના ઉપદેશ કે પ્રયાસની નથી, પરંતુ એને પ્રામાણિકપણે ઝીલવાની છે. આચારની સંહિતા આજે ભુલાતી જાય છે. એટલે પ્રજાનાં દુઃખ વધ્યાં અને અનીતિ તથા અશાંતિ પણ વધતાં જાય છે. સૃષ્ટિને સુખમય કરવા માટે તો આવો, સંતપુરૂષોમાં રહેલા પ્રકાશને જીવનમાં ઝીલીએ. જીવન ને જગતની જડતા એથી દૂર થશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.