if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન :  ભક્તિની સાધનાને સર્વોત્તમ કહેવામાં આવે છે તેનું કારણ શું છે ? જ્ઞાન અને યોગની સાધના કરતાં એનું સ્થાન શું ઊંચું છે ?
ઉત્તર : જ્ઞાન અને યોગની સાધના કરતાં ભક્તિની સાધનાનું સ્થાન ઊંચુ છે એવું તો કેવી રીતે કહી શકાય ? જ્ઞાન, ભક્તિ ને યોગ - ત્રણે પ્રકારની સાધના અંતે તો સાધના જ છે. એમાં કોઈ ઉત્તમ છે અને બીજી અધમ કે કોઈ અસાધારણ છે અને બીજી સાધારણ એવો પ્રશ્ન જ નથી. બધી જ એકસરખી ઉપયોગી છે તથા એકસરખી શક્તિ તેમજ શક્યતા ધરાવે છે. એટલે એ બધી જ સાધનાઓ તરફ એકસરખા આદરથી જોવાની જરૂર છે. ભક્તિની સાધનાને સર્વોત્તમ કહેવામાં આવે છે એ સાચું માનીએ તો પણ યોગીઓ યોગની સાધનાને અને જ્ઞાનીઓ જ્ઞાનની સાધનાને એવી જ રીતે સર્વોત્તમ માને છે. એનું કારણ એમનો એ સાધનાઓ પ્રત્યેનો પ્રેમ કે આદરભાવ છે. એ મુદ્દાને લઈને કોઈએ ઉચ્ચ-નીચના નાહક વાદવિવાદમાં નથી પડવાનું. સાધકે તો નહિ જ.

પ્રશ્ન : તો પછી ભક્તિ બધાં સાધનો કરતાં ઉત્તમ છે એવું કહેવાની પ્રથા કેમ પડી ગઈ છે ?
ઉત્તર : તેનું કારણ જરા જુદું છે. ભક્તિની અંદર યોગ કે જ્ઞાન જેવાં બીજા સાધનોની સરખામણીમાં જે કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે, તે જ તેમાં કારણભૂત છે. એ વિશેષતાઓને લક્ષમાં લઈને જ દેવર્ષિ નારદ જેવા મહાસમર્થ ઈશ્વરી કૃપાપાત્ર સંતે પોતાનાં ભક્તિસૂત્રોમાં सा तु ज्ञानयोगकर्मेभ्यो अधिकतरा । એટલે કે ભક્તિ જ્ઞાન, યોગ તથા કર્મ કરતાં પણ અધિક છે એમ કહીને ભક્તિની મહત્તા કહી બતાવી છે.

પ્રશ્ન : એ વિશેષતાઓનું વર્ણન કરી બતાવશો ?
ઉત્તર : જરૂર, એમનો ચિતાર સંક્ષેપમાં આપી શકાય ખરો. ભક્તિની સાધનાની સૌથી પહેલી નોંધપાત્ર વિશેષતા તો એ છે કે ભક્તિ સર્વસુલભ છે. આબાલવૃદ્ધ, બધાં જ એનો આધાર લઈ શકે છે. યોગની સાધના વધારે ભાગે યુવાનો માટે જ છે. તે ઉપરાંત, તેમાં નિરોગી લોકોનું કામ છે. આહાર અને વિહારના કેટલાય કડક નિયમોનું પાલન પણ તેમાં કરવું પડે છે. જ્ઞાનની સાધના પણ મોટે ભાગે ચિંતનમનનમાં કુશળ, મેઘાવી પુરૂષોને માટે જ છે. પરંતુ ભક્તિ સાધનાનાં મંગલ મંદિરનાં દ્વાર તો કુશાગ્ર બુદ્ધિવાળા ને સામાન્ય બુદ્ધિના, રોગી અને નિરોગી, સૌ કોઈને માટે ઉઘાડાં છે. એનો લાભ સૌ કોઈ લઈ શકે છે. આહાર વિહારના કડક નિયમોનું પાલન પણ એમાં નથી કરવું પડતું. એનો સાધનાનો અભ્યાસક્રમ પણ એટલો બધો અટપટો નથી. એ અભ્યાસક્રમ સરળ, સીધો અને સચોટ છે. વળી, એમાં બાહ્ય ત્યાગનું મહત્વ એટલું બધું નહિ હોવાથી, લૌકિક વ્યવહારની વચ્ચે રહીને, પોતાનાં કર્તવ્યો કરતાં કરતાં પણ માણસ એનો આધાર લઈ શકે છે. એ દ્રષ્ટિએ જોતાં, આજના કર્મપ્રધાન યુગને માટે એના જેવો અનુકૂળ સાધના માર્ગ બીજો એકે નથી. જ્ઞાન અને યોગનો સ્વાદ પણ એના અનુષ્ઠાનથી આપોઆપ મળી રહે છે એ ભાવાર્થમાં તમે ભક્તિને ઉત્તમ કહી શકો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.