if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન :  આ સંસારમાં મેળવવા જેવી વસ્તુ કઈ છે ?
ઉત્તર : એક ઈશ્વર જ મેળવવા યોગ્ય છે. સ્વરૂપનું દર્શન જ કરવા જેવું છે, તે જ જીવનનું પરમ ને આવશ્યક ધ્યેય છે.

પ્રશ્ન : તે કેવી રીતે મળે ?
ઉત્તર : દ્રઢ નિશ્ચય કરીને તેને માટે જરૂરી પુરૂષાર્થ કરવાથી

પ્રશ્ન : પણ ખાવાપીવાની ને બીજી ચિંતા ?
ઉત્તર : ઈશ્વરને શરણે જવાથી તમારે કોઈ ચિંતા કરવાની રહેશે નહીં. તમે એક ઈશ્વરની ચિંતા કરો. ઈશ્વરને માટે તલસો. જુઓ, તે તમારી બીજી બધી જ ચિંતા ઉપાડી લેશે. બાળક જેમ 'મા મા’ કરે છે, તેમ તમે પણ તે જગજ્જનની 'મા'નો-તે પ્રભુનો આશ્રય લો, ને તેને માટે પુકારો. તે તમારી બધી જ સંભાળ લેશે.

પ્રશ્ન : ત્યાગ કરવો સારો કે નહિ ?
ઉત્તર : ત્યાગનો અર્થ જો કામ ક્રોધ જેવી ખોટી વસ્તુઓનો ત્યાગ હોય, મનની ચંચલતા, અહંતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખૂબ સારું છે. એની ઉપયોગિતા વિશે કહેવાનું હોય જ નહિ. પરંતુ ત્યાગનો અર્થ બાહ્ય ત્યાગ એવો હોય તો તે સારો નીવડશે કે ખોટો તે ત્યાગ કરનારની યોગ્યતા પર આધાર રાખે છે.
ત્યાગની સૌથી મહત્વની આવશ્યકતા વૈરાગ્ય છે. વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકતો નથી. ને થાય તો તે ટકતો નથી. વિવેક દ્વારા માણસ જાણે છે કે આ સંસારમાં એક ઈશ્વર જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ને ઈશ્વરને મેળવવાથી જ જીવનમાં શાંતિસુખ મળી શકે છે. આ પછી ઈશ્વરમાં જ તેની પ્રીતિ થાય છે, ને દુન્યવી પદાર્થો પરથી આસક્તિ કે મમતા ઉઠતી જાય છે. આનું નામ વૈરાગ્ય. ઈન્દ્રિયોના વિષયો ને સંસારના પદાર્થોમાં તમને મમતા કે રસવૃત્તિ હોય ત્યાં લગી વૈરાગ્યથી તમે હજારો ગાઉ દૂર છે એ નક્કી માની લેજો. વૈરાગ્ય થશે એટલે ઈશ્વરને મેળવવા તમને આતુરતા થશે. સંસારના પદાર્થો પ્યારા નહિ લાગે ને એકાંતમાં આરાધના કરવાનું મન થશે. જ્ઞાનીને માટે પણ આ જ દશા છે. આ થશે એટલે ત્યાગ પણ થઈ જશે. આવો ક્રમિક ત્યાગ ઉત્તમ છે. તેથી લાભ થાય પણ જે ત્યાગ વૈરાગ્ય વિના ને દેખાદેખીથી કે કોઈ બીજા કારણથી થાય છે, તેને ઉત્તમ ત્યાગ કહી શકાય નહીં. તેને વખાણી પણ શકાય નહીં.

દેવપ્રયાગમાં મારી પાસે એક સંન્યાસી આવ્યા.
મને કહે, તમારી પાસે રહીને સેવા કરવાની ઈચ્છા છે.
મેં કહ્યું, તમારાથી અહીં રહેવાનું નહિ બને, ને મારું માનો તો ઘેર જઈ લગ્ન કરી ધંધો કરતાં આનંદ કરો. તમારાથી સંન્યાસ સચવાય તેમ મને લાગતું નથી.
મારી વાત સાંભળીને તેને માઠું લાગ્યું. પણ બીજે જ દિવસે મને કહ્યા વિના તે ક્યાંય ચાલ્યા ગયા.
આ પછી ત્રણ-ચાર મહિને એક વાર હું સંગમ પર ફરવા ગયો. ત્યાં એક યુવાને મને ચરણમાં પડી નમસ્કાર કર્યા. કોટપાટલુનમાં સજ્જ તે યુવાનને મેં તરત ઓળખી કાઢ્યો.
મેં કહ્યું, કેમ ? હવે આનંદ છે ને ?
આ યુવાન પેલા સંન્યાસી જ હતા.
તેણે કહ્યું, હવે સારું લાગે છે. ઘેર રહું છું ને મજા કરૂં છું. યાત્રીઓને લઈ અત્યારે બદરીનાથ જઈ રહ્યો છું. પછી દર્શન કરવા આશ્રમ પર આવીશ.
મેં કહ્યું, મને બહુ આનંદ થયો. મન થાય કે તરત ત્યાગ કરીને ભગવું પહેરી લેવાની જરૂર નથી. ખૂબ વિચાર ને લાંબા અનુભવ પછી જ માણસે ત્યાગ કરવો જોઈએ. ને આવો ત્યાગ કર્યો એટલે ગંગા નાહ્યા એમ માનીને બેસી જવાનું પણ નથી. ત્યાગી તરીકે અણીશુદ્ધ જીવન જીવાય તે માટે જાગૃત રહેવાનું છે. તે ઉપરાંત, જે હેતુથી ત્યાગ કર્યો હોય તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ મન લગાડી પુરૂષાર્થ કરવાનો છે. જીવનનો આદર્શ ત્યાગ નહિ પણ ઈશ્વર પ્રાપ્તિ છે એ યાદ રાખીને ત્યાગનો ઉપયોગ બીજા પ્રપંચમાં નહિ પણ ઈશ્વર પ્રાપ્તિમાં થાય તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવું મનોબળ ના આવે ત્યાં લગી બાહ્ય ત્યાગ કરવાને બદલે સંસાર વ્યવહારમાં રહીને અંદરનો ત્યાગ કરવા તરફ લક્ષ આપવું જોઈએ.
આ પછી તે યુવાને વિદાય લીધી.

એટલે સમજ્યા વિના જે ત્યાગ થાય છે તે ટકતો નથી. ત્યાગ સમજપૂર્વક થાય તે સારું છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.