if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : શરીરમાં આત્માનું સ્થાન ક્યાં છે ?
ઉત્તર : ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે, અંતઃશરીરે જ્યોતિર્મયોહિ શુભ્રો, યં પશ્યન્તિ યતયઃ ક્ષીણદોષાઃ - એટલે કે શરીરના મધ્ય ભાગમાં પવિત્ર તથા પ્રકાશમય આત્માનું અસ્તિત્વ છે, ને એનું દર્શન જેમના દોષો દૂર થયા છે તેવા તપસ્વી પુરૂષો કરી શકે છે. ઉપનિષદમાં બીજે ઠેકાણે આત્માનો ઉલ્લેખ કરતાં 'મધ્ય આત્મની તિષ્ઠતી’ એવો ઉલ્લેખ પણ કરેલો છે. એ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આત્મા શરીરની મધ્યમાં કે હૃદયમાં વાસ કરે છે.
ગીતા પણ કહે છે કે 'ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદેશેઙર્જુન તિષ્ઠતી’ અર્થાત્ હે અર્જુન, ઈશ્વર સૌના હૃદય પ્રદેશમાં રહેલાં છે. કોઈ પુરૂષ પોતાની જાત વિશે કાંઈક કહેવા કે પોતાનો પરિચય આપવા માગે છે ત્યારે પણ શરીરના બીજા ભાગ પર હાથ મૂકવાને બદલે, કોઈક કુદરતી વૃત્તિથી પ્રેરાઈને છાતી પર જ હાથ મુકે છે. તે પણ સૂચવે છે કે આત્માનું સ્થાન ત્યાં જ છે. શ્રી રમણ મહર્ષિ જેવા સ્વાનુભવસંપન્ન સંતપુરૂષનો અભિપ્રાય પણ આ બાબત જાણવા જેવો છે. તેમણે કહ્યું છે કે આત્માનું સ્થાન હૃદયમાં અને એ પણ જમણી તરફના હૃદયમાં છે. કોઈ કોઈ લોકો એવું પણ માને છે કે આત્માનું સ્થાન મસ્તિષ્કમાં છે. પરંતુ એ માન્યતાને કોઈ નોંધપાત્ર સમર્થન નથી મળતું. ડાબી કે જમણી બાજુની વાત જવા દઈએ તો પણ, આત્માનું મુખ્ય નિવાસસ્થાન હૃદય છે એ વાત સાથે લગભગ સૌ કોઈ સંમત છે.

પ્રશ્ન : યોગની સાધનાની મદદથી પણ ઈશ્વરના સાકાર દર્શનની ઈચ્છા હોય તો તે ઈચ્છા પૂરી થઈ શકે ખરી ?
ઉત્તર : યોગની સાધનાની મદદથી ઈશ્વરના સાકાર દર્શનની ઈચ્છા જરૂર પૂરી થઈ શકે, પરંતુ શરત એટલી જ છે કે તેને માટે ભક્તનું હૃદય હોવું જોઈએ અથવા તો ભક્તિયોગનો આધાર લેવો જોઈએ. ઈશ્વરનું સાકાર દર્શન જાગૃતિમાં તથા સમાધિ દશામાં બંને પ્રકારે થઈ શકે છે. યોગની સાધનાથી ખાસ કરીને સમાધિ દશામાં એવું દર્શન થઈ શકે. હૃદય જ્યાં સુધી ભાવવિભોર અથવા પ્રેમથી પરિપ્લાવિત ના બને, ઈશ્વરને માટે રડવા, પ્રાર્થવા કે પોકારવા ના માંડે અને ઈશ્વરના દર્શનને માટે આકુળ-વ્યાકુળ બનીને અનવરત રીતે આક્રંદ ના કરી ઊઠે, ત્યાં સુધી ઈશ્વરદર્શનની શક્યતા નથી હોતી.

પ્રશ્ન : યોગના ગંભીર સાધકમાં ભક્તનું એવું ભાવમય હૃદય પ્રકટી શકે ખરું ?
ઉત્તર : જરૂર પ્રકટી શકે. અને ના પ્રકટતું હોય તો સાવધાની અને સમજપૂર્વક ક્રમે ક્રમે પ્રકટાવવું જોઈએ. ઈશ્વરના સાકાર દર્શનની ઈચ્છાની પૂર્તિ માટે એટલું કામ અવશ્ય કરવું જોઈએ. એમાં અસંભવ જેવું કશું જ નથી. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ યોગસાધનામાં રસ લેતાં છતાં પણ એમનું ભક્ત હૃદય મર્યું ન હતું. સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ જેવા બીજા સંતપુરૂષોના ઉદાહરણ પણ એ સંબંધમાં આપી શકાય. એવી બેવડી વિશેષતાથી વિભૂષિત બનવાનો માર્ગ બીજા કોઈપણ માનવને માટે ઉઘાડો છે. ભાવમયતા તથા ગંભીરતા પરસ્પર વિરોધી છે એવું નથી સમજવાનું. બંને એક સાથે રહી શકે છે અને પોતપોતાનો સાધનાત્મક ભાગ પણ ભજવી શકે છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.