Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અધિક માસમાં જાણીતા તીર્થમાં એક ધર્મસમારંભની યોજના થઈ રહી હતી. મોટાં મોટાં તીર્થોના સંતો ને મહંતો ત્યાં ભેગા થયા હતા. કોઈ ગીતા પર, કોઈ ભાગવત ને રામાયણ પર તો કોઈ યોગ-વસિષ્ઠ પર કથા કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકો તે સાંભળતા હતા. તેમાં સાધુ પણ સારી સંખ્યામાં હતા.

એક દિવસ એક નવા શ્રોતાએ સમારંભના કથાકારને કહ્યું: ‘ગીતા ને યોગવસિષ્ઠ જેવા ગ્રંથોનો સાર શું છે?’

કથાકાર સાધુએ કહ્યું: ‘એમાં પૂછવા જેવું શું છે? નાના બાળકને પણ ખબર છે કે તે ગ્રંથો સ્વધર્મના પાલન પર ભાર મૂકે છે.’

શ્રોતાએ કહ્યું: ‘ત્યારે મને આશ્ચર્ય થાય છે કે વક્તા ને શ્રોતામાંથી વધારે ભાગના માણસો એ સાર ભૂલી ગયા છે.’

સાધુએ કહ્યું: ‘કેમ?’

‘કેમ કે વક્તા ને શ્રોતામાં સાધુ સંખ્યા વધારે છે. તેમાંના કોઈએ માતાપિતા તરફના ને કોઈએ સ્ત્રી ને સંતાન તરફના સ્વધર્મની અવગણના કરી છે, એમ તમને નથી લાગતું? ઈશ્વરની પ્રાપ્તિના ધર્મને પણ ભૂલી ગયા છે. સ્વધર્મના પાલનનું વ્રત લઈને જો તે આત્માની ઉન્નતિ કરવાનો પુરૂષાર્થ કરશે તો આ સમારંભ સફળ થશે.’

શ્રોતાએ પોતાની વાતનો ખુલાસો કર્યો તે સાંભળીને સાધુને જરા રોષ થયો, પણ ઉત્તર ના મળ્યો.

- શ્રી યોગેશ્વરજી