કોક કરે બડભાગ
પ્રીતિ કોક કરે બડભાગ.
કરોડમાં કોઈના દિલમાં લાગી જાયે લ્હાય,
તમારે જ માટે જીવે તે કુરબાન કરે કાય;
અંતરમાં અંગે અણુઅણુમાં કરે તમારો રાગ ... કોક કરે
બાહ્ય વિષયથી મનને વાળી ધ્યાન ધરે દિનરાત,
સ્તવે તમોને ઝંખે તેમજ કરવા ચાહે વાત;
તોડી બીજેથી એક કરે તમારામહીં રાગ ... કોક કરે
પ્રલોભનો ભયસ્થાનો આવે, ચિંતાનો ના પાર;
ડગલે પગલે પડે ચેતવું કરી વિવેક વિચાર;
અંધકારમાંયે તેનો તો પ્રકટી રહે ચિરાગ ... કોક કરે
ધન્યતા મળે તેને તેમજ નવો સાંપડે સ્વાદ,
નવજીવનનું પ્રભાત પ્રકટે, પ્રકટે વીણાનાદ;
દુર્ગંધમહીં બની જાય એ 'પાગલ' પરમ પરાગ ... કોક કરે
- શ્રી યોગેશ્વરજી