नीहारधूमार्कानिलानलानां खद्योतविद्युत्स्फटिकशशीनाम् ।
एतानि रूपाणि पुरःसराणि ब्रह्मण्यभिव्यक्तिकराणि योगे ॥११॥
nihara dhumark anilan alanam
khadyota vidyut sphatika sasinam ।
etani rupani purahsarani
brahmanyabhivyaktikarani yoge ॥ 11॥
ધ્યાનની પ્રગતિનાં ચિહ્ન
પ્રભુપ્રાપ્તિના ધ્યાનકાળમાં અનેક દૃશ્ય જણાયે છે,
વીજ, આગિયા, ચંદ્ર, સ્ફટિકમણિ જેવાં દૃશ્ય જણાયે છે;
સૂર્ય, વાયુ ને અગ્નિ, ધૂમ્ર ને તેજપૂંજ પણ ભાસે છે,
આ દૃશ્યોથી ધ્યાન સફળ છે, યોગી એમ પ્રમાણે છે. ॥૧૧॥
અર્થઃ
બ્રહ્મણિ યોગે - પરમાત્માના સાક્ષાત્કારને માટે કરાતા યોગમાં
નીહારધૂમાર્કાનિલાનલાનામ્ - ધુમ્મસ, ધુમાડો, સૂર્ય, વાયુ, અગ્નિનાં જેવા (તથા)
ખદ્યોત્ વિદ્યુત્ સ્ફટિકશશીનામ્ - આગિયા, વિજળી, સ્ફટિકમણિ અને ચંદ્ર જેવાં
રૂપાણિ - દૃશ્યો
પુરઃસરાણિ (ભવન્તિ) - યોગીની આગળ આવિર્ભાવ પામે છે.
એતાનિ - એ સઘળાં
અભિવ્યકતિકરાણિ - સાધનાની સફળતાની સૂચના આપે છે.
ભાવાર્થઃ
ધ્યાનની સાધના મુખ્યત્વે તો પરમાત્માની પ્રાપ્તિને માટે છે. છતાં પણ એનો આધાર લઇ એમાં આગળ વધનારા સાધકને ધ્યાનાવસ્થા દરમ્યાન કેટલાંક અસાધારણ દૃશ્યો દેખાય છે. કોઇવાર ધુમ્મસ દેખાય છે તો કોઇવાર ધુમાડો. કોઇવાર સૂર્યનું દર્શન થાય છે તો કોઇવાર ચંદ્રનું. કોઇવાર જ્યોતિનું, વાયુનું તો કોઇવાર વીજળીનું. કોઇવાર આગિયાનું તથા સ્ફટિકમણિનું દર્શન થાય છે. એ અલૌકિક દૃશ્યો પરથી અનુમાન કરી શકાય કે ધ્યાનની સાધના સફળતા સહિત આગળ વધી રહી છે. મનની એકાગ્રતા વગર એવાં દૃશ્યો દેખાતાં નથી, એ અને એવાં બીજાં દૃશ્યો સાધકના ઉત્સાહને વધારે છે અને એને શાંતિ, પ્રેરણા અને આનંદ આપે છે.

