यथैव बिंबं मृदयोपलिप्तं तेजोमयं भ्राजते तत् सुधान्तम् ।
तद्वाऽऽत्मतत्त्वं प्रसमीक्ष्य देही एकः कृतार्थो भवते वीतशोकः ॥१४॥
yathaiva bimbam mrdayopaliptam
tejomayam bhrajate tat sudhantam ।
tadva''tmatattvam prasamiksya dehi
ekah krtartho bhavate vitasokah ॥ 14॥
માટીમાં સંતાયું જેવું તેજોમય હો રત્ન પડ્યું,
ધોવાથી તે ખૂબ ચમકતું, પ્રકાશ ને સઘળે ધરતું;
જીવાત્માયે યોગ કરીને તેમ આત્મનું તત્વ લભે,
દુઃખરહિત ને અસંગ થાયે, પૂર્ણપણે કૃતકૃત્ય બને. ॥૧૪॥
અર્થઃ
યથા - જેવી રીતે
મૃદયા - માટીથી
ઉપલિપ્તમ્ - લિપ્ત થઇને મલિન બનેલું
તેજોમયમ્ - પ્રકાશમય
બિમ્બમ્ - રત્ન
તત્ એવ - તે જ
સુધાન્તમ્ - સારી રીતે ધોવાયા પછી
ભ્રાજતે - ચમકવા માંડે છે.
તત્ વા - એવી જ રીતે
દેહી - દેહધારી (જીવાત્મા)
આત્મતત્વમ્ - આત્મતત્વને
પ્રસમીક્ષ્ય - સારી રીતે પ્રત્યક્ષપણે અનુભવીને
એકઃ - એકાકી, કૈવલ્યાવસ્થા પ્રાપ્ત, ભેદરહિત
વીતશોકઃ - શોકરહિત
કૃતાર્થ - કૃતાર્થ
ભવતે - બની જાય છે.
ભાવાર્થઃ
માટીથી ભરેલું અથવા ખરડાયેલું રત્ન મલિનતાને લીધે એના મૂળ સ્વરૂપે પ્રકાશતું નથી. બહારથી જોતાં રત્ન જેવું પણ લાગતું નથી. એની અલૌકિકતા ઢંકાઇ જાય છે. પરંતુ એને સારી પેઠે સાફ કરીને, ધોઇને એના આવરણને દૂર કરવામાં આવે તો પૂર્ણપણે પ્રકાશવા માંડે છે. એવી જ રીતે અનંત જન્મોના કર્મસંસ્કારોથી અને મોહ-મમતા-વાસનાજન્ય ગાઢ અવિદ્યારૂપી આવરણથી વીંટળાયેલો જીવાત્મા યોગસાધનામાં પ્રવૃત થઇને નિર્મળ બને છે. એનું આવરણ દૂર થાય છે એટલે આત્મતત્વને અથવા પોતાના મૂળભૂત શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપને અનુભવીને શોક, ભેદ, અશાંતિ, કલેશ અને બંધનમાંથી મુક્તિ મેળવે છે. એનું શરીરધારણ સફળ બને છે. એની સાધના સાર્થક ઠરે છે. એ સર્વપ્રકારે સુખી, શાંત, પૂર્ણ, મુક્ત, સંતૃપ્ત, ધની, ધન્ય બને છે. એની કૃતકૃત્યતાનો પાર રહેતો નથી.