પીનારા જેમ ખાલી પ્યાલીને ભરી દે છે તેમ, મારા જીવનની પ્યાલીને તારી સુધાથી ભરી દે, કૃપાથી મઢી દે, તારાં અમીમય અધરે જડી દે.
વાંસળીને વહાલથી વાગતી કરીને ઉસ્તાદ કુદરતને કામણ કરે છે, ભાવથી ભરે છે. મારી વાંસળીને પણ વહાલથી ભરી દે, વગાડી લે; જડ ને ચેતનને એના અમીરસથી ભરી દે !
મારું સર્વકાંઈ તારું જ છે. સર્વસ્વનું દાન કરીને હું તારી પાસે આવી બેઠો છું. આપણા પ્રેમની પરમપવિત્ર પતિતપાવની પરબમાંથી પાણીની પ્યાલી પર પ્યાલી ભરી દે - મને પા ને તું પી લે.
સાંજનો સમય શરૂ થાય, પંખી પોતાના માળાને માર્ગે પાછાં જાય, દેવમંદિરના ઘંટ વાગે ને મૃદંગ ગાજી ઊઠે, તે પહેલાં પી લે !
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

