Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રમત્ત પવનની પીઠ પર પ્રવાસ કરતો હોંઉ એમ, જોતજોતામાં તો હું એક શહેરમાં જઈ ચઢ્યો. કોઈની મારફત માહિતી મળી કે ત્યાં, તે દિવસે કવિતાદેવીનો સ્વયંવર હતો.

ફૂલોની ફોરમથી, ફોરમવંતા મંડપમાં હું પહોંચી ગયો ત્યારે, ત્યાં કેટલાય કવિવરો બેઠા હતા. કવિતાદેવી સૌની પાસેથી પસાર થતી હતી. તેને વરવાની સૌ કોઈની કામના હતી. પણ એ તો આગળ જ વધ્યે જતી હતી.

મેઘધનુ જેવી સુશોભિત સપ્તરંગી હતી એની સાડી. માધુર્યના મંડપ જેવું મુખ. અમૃતના આગાર જેવી આંખ. શરીરમાંથી સંગીતની સૂરાવલિ છૂટતી; ફૂલની ફોરમ ફૂટતી.

કવિ બધા પ્રખ્યાત હતા. કોઈનામાં ઉપમા અલંકારની ખૂબી હતી, તો કોઈની અંદર હતું ભાષા પરનું પરમ એવું પ્રભુત્વ. કોઈ મનાતું હતું કલ્પનાની કળામાં કુશળ.

સૌને પસાર કરતી દેવી મારી પાસે આવી પહોંચી. મારા શરીરમાં વીજળી દોડી. મેં કહ્યું, સુંદરી, મારી પાસે નથી ઉપમા, અલંકાર, છંદ કે શબ્દની સાધના. છે ફક્ત અનુભવવાની કળા કે લાગણી. જેનું પ્રદર્શન હું નથી કરી શકું તેમ. હું તારી શી સેવા કરી શકીશ?

હું એની જ શોધમાં છું, મારા સ્વામી, હું તારી પ્રિયતમા થઈશ. મારે જોઈએ છે દિલ, લાગણી, પ્રીતિ. તારી સાથે એક થઈને હું પોતે તો બડભાગી બનીશ જ, પણ સમસ્ત સંસારને સંજીવન ધરીશ.

એણે મને વરમાળા ધરી. એ જ વખતે મારી તંદ્રા પૂરી થઈ.

(૨૨-૪-૧૯૬૦, શુક્રવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)