ઉકળાટનો પાર નથી. ચારેકોર, જ્યાં જુઓ ત્યાં, તાપ જ તાપ. બધે દાવાનલ સળગી રહ્યો હોય એવો દેખાવ થઈ રહ્યો છે. બધાં બળુબળુ થઈ રહ્યાં છે. માનવ, પશુ ને પંખી તો ઠીક, નદી, નાળાં ને ઝાડ પણ બળીને કલ્પાંત કરી રહ્યાં છે.
ત્યાં તો, જેઠના એ બળતા બપોરે, એકાએક અંધારપટ પથરાયો. વાદળ ઉમટી પડ્યાં. ચપલાના ચમકાર ને વાદળના ગંભીર ગગડાટ થયા. થોડીવારમાં તો મૂશળધાર વરસાદ વરસી રહ્યો.
જીવનમાં પણ ઉકળાટ ઊઠે ને તપે તેનો વાંધો નથી...જો એને અંતે આવો સિદ્ધિ, શાંતિ, સુખનો વહાલ ભરેલો વરસાદ વરસતો હોય તો !
અંતર એ બધું નિહાળીને નેહમાં નાહવા ને ગાવા લાગ્યું.
(૩-૬-૧૯૬૦, શુક્રવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

