જગતમાં કોઇ નથી કોઇતણું.
અજ્ઞ માનવ જેહની મમતા કરે
મોહ ને આસક્તિ જેનામાં ધરે
એ અનિત્ય વિનાશશીલ જગે ખરે
ચાલવાનો સમય આવે એટલે
ચાલવું છોડી સ્વજનસન્મિત્રને
દેહને પણ આખરે પ્રિય આ પડે
વ્યર્થ માનવ ક્લેશનાં કૂપે પડે.
જગતમાં કોઇ નથી કોઇતણું
એક ઇશ્વરના વિના કોઇ નથી
સ્વજન કોઇનુંય કોઇ છેવટે,
તમે અનુભવનું વચન અંતે કહ્યું.
મન રહ્યું ના તમારું ક્યાંયે અહીં;
ગયું પંખી મૂળ નિજ માળામહીં.
મળ્યાં સૌને થયાં કોઇનાં નહીં,
ભળ્યાં સૌમાં થતાં લિપ્ત બન્યાં નહીં,
વહ્યાં નિર્ઝરશાં સદા નિર્મળ રહી
અમોને સંતુષ્ટિ એ જોઇને મળી.
- શ્રી યોગેશ્વરજી

