જે દીનહીન છે બંધનમાં બંધાયેલાં,
તે સર્વ કાજ હો મારા અંતરમાં પીડા;
જે વ્યથિત પતિત અંધારામાં અથડાયેલાં,
જોતાં વેંત જ વાગી રહો મહારી વીણા.
જે આશ્રયહીન અપંગ, મૂક, દુ:ખને સહેતાં,
હો સાથ તેમની સ્થાન મારું, આ અવનીમાં;
જે દયા માગતાં આંસુ સારતાં તે સૌની,
હો હૃદય મહારા હૃદય સાથ ગાતાં ગીતા.
તે સર્વ કાજ હો સાધન મારાં સર્વ અહા,
તે માનવ માટે ઈશ્વરના અવતાર સમાં;
છો થઈ મહારી શક્તિ બધીયે જાવ ફના,
ગુરૂભાર સહેતાં દુ:ખનો એવા માનવના.
યુગયુગ મધ્યે અવતાર હજો મારો અહીંયાં,
એ પવિત્ર પ્રેમ લઈ વસતાં સૌની વચમાં;
જે પ્રકાશ માટે મથતાં મંગલને ચહતાં,
તે સર્વકાજ મારે જીવવું સ્મિત સાચવતાં.
જે દીનહીન છે બંધનમાં બંધાયેલાં,
તે સર્વકાજ હો મારા અંતરમાં પીડા;
જે વ્યથિત પતિત અંધારામાં અથડાયેલાં,
જોતાં વેંત જ વાગી રહો મહારી વીણા.
- શ્રી યોગેશ્વરજી

