Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સ્વર્ગમાંથી ઉતરનારી અલૌકિક અપ્સરા જેવી
શરદઋતુનું સ્વાગત હો !

સરિતાઓને એ નિર્મળ કરીને તથા નવા નેહે ભરીને,
પોતાના પ્રિયતમ પ્રતિ વહાલપૂર્વક વહેતી કરે છે :
એમને વિષાદનાં વાદળ વિનાનું વિશદ,
અવનીને માટેના અપાર અનુરાગથી અલંકૃત કરે છે :
ચંદ્ર તથા સાગરને સ્નેહસંગીતની નવી સુરાવલિ ધરે છે :
કમળને કાંતિ, ભ્રમરપંક્તિને ભ્રાંતિ તથા
એમના હૃદય પર રાસ રમાડીને શાંતિ ધરે છે :
ફૂલોમાં ફોરમ ફેલાવીને મધમાખીને મધસંચય માટે ઉદ્યત કરે છે.

સારસપક્ષીમાં સ્નેહનું સામ્રાજ્ય શરૂ કરી,
સવિતાના શાંત તટપ્રદેશ પર રંગાયેલી રમતો રમાડે છે :
ભાવથી ભરેલાં દંપતીને ભાવતાં ભોજન જમાડે છે; વળી પાછાં ક્ષુધાતુર કરે છે :
હિમાલયના ઠંડા પવનની અસરથી આખી અવનીને ઠંડી કરે છે;
યોગીઓને યોગસાધનાની સિદ્ધિ, તથા ભોગીઓને ભોગ ધરે છે :
સંયોગી એના આગમનને આશીર્વાદ ગણે છે;
વિયોગીને માટે જે વિષાદનું કારણ, વ્યથા, વિષ બને છે.

જે રસ ધરે છે, આનંદ આપે છે, પુરુષાર્થમાં પ્રેરિત કરે છે, જડતા કે ક્લેશ કાપે છે;
મોટામોટા મુનિ, કામી કે મહારથીનાં પણ મનોબળ માપે છે :
એ શરદઋતુનું સ્વાગત હો !

સ્વર્ગલોકમાંથી ઉતરનારી, અલૌકિક અભિસારિકા, અપ્સરા જેવી
શરદઋતુનું સ્વાગત હો !

- શ્રી યોગેશ્વરજી