મા, માતૃભૂમિ અને મહીમંડળના મંગલમય રૂપમાં તમે જ છો:
તમારી જ એમાં અભિવ્યક્તિ છે :
એવી અપરોક્ષાનુભૂતિથી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ,
મારી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ.
પહેલાં હું મંદિરમાં પ્રવેશ કરતો, તીર્થોમાં ફરતો રહેતો :
તમારી ઝાંખીને માટે રડતો કે વ્યથિત બનતો :
પત્રે પત્રે, પુષ્પે પુષ્પે, ને વિટપે વિટપે ફરી વળતો :
પરંતુ એ ધન્ય દિવસે તમારી મંગલમૂર્તિ મને મળી ગઈ,
અને ખાતરી થઈ કે
મહીમંડળમાં જે મધુ છે તે તમારા જ મુખમાંથી ઢોળાયેલું છે,
જે સુખ છે તે તમારી જ પ્રતિછાયાના પરિણામરૂપ છે;
રસ, શાંતિ અથવા આનંદ છે તે તમારા જ અક્ષય અબ્ધિના આલાસરૂપ છે.
ત્યારથી મને નવી દૃષ્ટિ લાધી ગઈ, મારામાં નવી ચેતના જાગી ગઈ.
મા, માતૃભૂમિ અને મહીમંડળના મંગલમય રૂપમાં તમે જ છો:
તમારી એમાં અભિવ્યક્તિ છે:
એવી અપરોક્ષાનુભૂતિથી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ,
મારી બધીયે ભ્રાંતિ ભાંગી ગઈ.
- શ્રી યોગેશ્વરજી

