હું તને પ્રેમી નહિ કહું :
તારા મુખ ઉપર નિરાશા ને વિષાદ છે, તને પ્રેમી નહિ કહું.
પ્રભાતના પ્રથમ પ્રહર જેવા પ્રફુલ્લ તારા વદન ઉપર
શાંતિ કે પ્રસન્નતાનો પ્રકાશ નથી.
ચિંતા તથા શોકની પ્રગાઢ પ્રતિછાયા ફરી વળી છે.
હું તને પ્રેમી નહિ કહું :
તારા મુખ ઉપર નિરાશા ને વિષાદ છે, તને પ્રેમી નહિ કહું.
રસની મસ્તીથી મઢેલાં ઝરણાં કેવા વહી જાય છે.
એમના પ્રાદુર્ભાવથી પ્રસન્ન પૃથ્વી કેવી પુલકિત થાય છે ?
પ્રેમની પવિત્રતમ ઊર્મિના આલાપથી
તારું અંતર એવી રીતે પુલકિત નથી થતું;
પ્રસન્નતાનું ગીત પણ નથી બનતું.
હું તને પ્રેમી નહિ કહું :
તારા મુખ ઉપર નિરાશા ને વિષાદ છે, તને પ્રેમી નહિ કહું.
ફૂલ જેવા ફોરમવંતા ને પ્રફુલ્લ હોય છે;
આકાશનો વૈભવ જેવો અનંત, એવો જ અનંત ભક્તનો ભાવદરિયો,
એવું જ સુવાસિત પ્રેમીનું જીવન હોય છે.
ઈશ્વર જેમ મધુમય કે મંગલ, સત્ય કે સુંદર છે
તેમ પ્રેમી પણ અમંગલ અને અસત્યથી દૂર હોય છે.
માટે જ તને પ્રેમી નહિ કહું :
તારા મુખ ઉપર નિરાશા ને વિષાદ છે, તને પ્રેમી નહિ કહું.
- શ્રી યોગેશ્વરજી

