Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરુજીના શરણમાં શાંતિ મળી, (2)

ગુરુના ચરણે ગંગાયમુના; (2)
સ્નાન કરીને ભ્રાન્તિ ટળી...ગુરુજીના...

ગુરુના ચરણે અડસઠ તીરથ; (2)
દર્શનથી કૃતકૃત્ય બની...ગુરુજીના...

ગુરુના ચરણે સઘળાં શાસ્ત્રો; (2)
વેદપુરાણની ઝાંખી મળી...ગુરુજીના...

ગુરુમાં બ્રહ્મા, ગુરુમાં વિષ્ણુ; (2)
શિવ અને શક્તિ સ્વરૂપ મહીં...ગુરુજીના...

ગુરુકૃપાની અમૃતધારા; (2)
પામીને જીવનમુક્તિ મળી...ગુરુજીના...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાચા સદગુરુનાં શ્રીચરણે વિશ્વનું સમસ્ત ઐશ્વર્ય મળી જાય છે. પૂર્ણ શ્રદ્ધાભક્તિથી શરણ લેનારા શિષ્યને પરમશાંતિ શ્રીગુરુનાં શ્રીચરણે જ મળી જાય છે. પછી બીજા કોઈનોય આશ્રય લેવાની જરૂર જ ક્યાં છે ? અરે, ગંગાસ્નાન માટે તીર્થોમાં પણ જવાની જરૂર નથી રહેતી. ગુરુની જ્ઞાન ગંગામાં સાધક સ્નાન કરીને મનની બધી જ શંકાઓ, ભ્રમણાઓને દૂર કરી શકે છે.

સર્વતીર્થ દર્શન શ્રીગુરુના દર્શનમાં જ સમાઈ જાય છે. વેદપુરાણ, ઉપનિષદો પણ વાંચવાની જરૂર રહેતી નથી. સર્વશાસ્ત્રોનો સાર સદગુરુના ઉપદેશમાં મળી જાય છે. સાચા સદગુરુનું જીવન જ સાચું શાસ્ત્ર છે.

સર્વદેવોનું દર્શન પણ ગુરુદર્શનમાં થઈ જાય છે. સાધકને માટે સદગુરુ તો સદવિચારોના સર્જક બ્રહ્મા જ છે. સાધકના મન-અંતરમાં જાગેલા સદવિચારોનું પોષણ સદગુરુ વિષ્ણુ બનીને કરે છે. સદગુરુ શિવ બનીને કુવિચારોની ગંદકી દૂર કરીને પરમમંગલમય સૃષ્ટિનું સર્જન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સ્વયં સદગુરુ જ છે. પરમજ્ઞાની, આત્મસાક્ષાત્કારી સદગુરુની કૃપાવર્ષામાં સ્નાન કરીને સાધક જીવનમુક્ત બની જાય છે. શ્રી ગુરુનાં શ્રીચરણે શું જોવા મળ્યું તેનું વર્ણન આ પદમાં થયું છે.
 

Add comment

Submit