કેવો કિરતારનો ઉપકાર, માનવ-તન મળિયું આ;
આખી સૃષ્ટિમાં છે અજોડ, અલૌકિક કરિયું આ.
એનો મહિમા મંદિરથી મોટો, તીરથથી અદકો રે;
એ તો ઉત્તમ પદ ને ધામ,ગાઈ શકે ગુણ કો રે ?
એ તો મીઠી છે ફૂલવાડી, ફોરમ એની ભારે રહી;
એ તો ફળ છે સત્કર્મોતણું, વિદ્વાનોએ વાત કહી.
આવી સંપત્તિ સંસારે મળે નવ સહેજે રે;
આ તો અમૃતનો ભંડાર, જ્ઞાની એવું કહે છે રે.
એ તો અમુલખ આશીર્વાદ મળ્યો કેમે કરતા હા !
કોઈ પાવન એવું પ્રભાત,પુણ્યો જેમાં પ્રકટ્યાં હા !
આ તો પરમજ્યોતિનો પ્રકાશ,અગ્નિનો અંગારો રે;
એથી ટાળીને અંધાર, પથ કોના ઊજાળો રે.
એનો કરિયે સુંદર ઉપયોગ, દૈવી કરી દઈએ રે;
આપી શાંતિ કરોડોને, અંતે મૂકી જઈએ રે.
- શ્રી યોગેશ્વરજી

