if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: જીવનમુક્તિ એટલે શું ? મુક્તિ શબ્દ તો સારી પેઠે પ્રચલિત છે. એ શબ્દનો અર્થ પણ જાણીતો છે. પરંતુ જીવનમુક્તિ શબ્દ જરા નવા જેવો છે. એનો અર્થ સમજાવશો ?

ઉત્તર: જીવનમુક્તિ શબ્દ વઘારે ભાગે જ્ઞાનમાર્ગના ગ્રંથોમાં વપરાયેલો છે અને એનો અર્થ જીવતાં જ મુક્તિ અથવા તો જીવન દરમ્યાન મુક્તિ એવો થાય છે. એવી રીતે જે પુરુષાર્થ કરીને, પોતાના જીવન દરમ્યાન, અથવા તો શરીરમાં જ મુક્તિનો આનંદ મેળવી લે છે, તેને જીવનમુક્તિ કહેવામાં આવે છે. જીવનમુક્તિ એટલે જીવન હોવા છતાં, જીવનના બંધનમાંથી મુક્ત.

પ્રશ્ન: જીવનનાં બંધન કોને સમજવાં ?

ઉત્તર: દેહાધ્યાસ, રાગ, દ્વેષ, અહંકાર, કામક્રોધાદિ વૃત્તિઓ, આસક્તિ અને મમતા, એ બધા બંધન છે. જીવ એમાં બંધાયેલો છે અને એ બંધનોને લીધે સુખીદુ:ખી થયા કરે છે. જન્મ ને મરણ, અથવા તો આવાગમનનું કારણ પણ એ બંધનો જ છે. એ બંધનો અજ્ઞાનને લીધે જ પેદા થાય છે, વધે છે કે પરિપુષ્ટ બને છે. જ્ઞાનનો ઉદય થતાં એમનો અંત આવે છે. એ જ્ઞાન એટલે બીજું કોઈ ભળતું જ્ઞાન નહિ, પરંતુ આત્મજ્ઞાન, સ્વરૂપનું દર્શન, અથવા પરમાત્માનો સાક્ષાત્કાર. જેને એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અથવા તો પોતાની અંદર ને બહાર બધે જ રહેલા પરમાત્માનો અપરોક્ષ અનુભવ થાય છે, તે બધી જ જાતનાં બંધનમાંથી મુક્તિ મેળવીને, પરમ સુખ, પરમ શાંતિ ને પરમાનંદમાં પ્રતિષ્ઠિત થાય છે, એમ અનુભવી પુરુષો કહી ગયા છે. એ અવસ્થાને જીવનમુક્તિની અવસ્થા કહેવામાં આવે છે.

પ્રશ્ન: પરંતુ એવી અવસ્થાની પ્રાપ્તિ આ શરીરમાં શક્ય છે ખરી ? લોકો તો કહે છે કે મુક્તિ શરીર છૂટ્યા પછી જ મળે છે.

ઉત્તર: લોકો જે કહે છે તે સાચું નથી. બંધન અને મોક્ષ બંનેનો અનુભવ શરીર દ્વારા જ થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિનો એ સર્વમાન્ય સિદ્ધાંત છે. એટલે મુક્તિને માટે જે પુરુષાર્થ કરવાનો છે, તે પુરુષાર્થ શરીરમાં રહીને જ કરવાનો છે, અને મુક્તિને માટે પ્રારંભ પામેલા પુરુષાર્થની પૂર્ણાહુતિ પણ શરીરમાં જ થવાની છે. એ વિશે કોઈ શંકા કે ભ્રમણા હોય તો તેને કાઢી નાખજો. શાસ્ત્રોના આદેશોને ધ્યાનમાં રાખીને, હિંમતપૂર્વક આગળ વધો અને તમારી નબળાઈઓની સારી ટક્કર ઝીલીને તેમને ખંખેરી કાઢો તો કશું જ અશક્ય કે મુશ્કેલ નથી. જે ધારશો તે બધું જ કરી શકશો. તમારે કાંઈ નવેસરથી થોડું જ કરવાનું છે. યાદ રાખજો કે તમારી ઈચ્છાશક્તિ મંદ હશે, ને પુરુષાર્થ પણ જો કાચો હશે, તો તમારા લક્ષ્યની સિદ્ધિ તમે નહિ કરી શકો. બધું તમારે માટે અશક્ય જ રહેશે. માટે ઊઠો, તૈયાર થાવ, ને બધી જાતની શંકાકુશંકાને કાઢી નાખો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.