Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રામનામ મહીં શ્રદ્ધા જાગી અંતરમાં જતાં
ઘોર લૌકિક તોફાનો વ્યથા ના પહોંચાડતાં
અસ્વસ્થ કરતાં કે ના અશાંતિ પ્રકટાવતાં,
તરંગ પ્રેમના ઊઠ્યે પ્રાણમાં પરમાત્મના.

બાલ્યકાળ મહીં જ્યારે ભૂતનો ભય લાગતો
રંભા ત્યારે કહેતી'તી એમની પરિચારિકા
નથી ભૂત છતાં લાગે ભીતિ તો રામનામ લે,
સમસ્ત દુઃખદર્દોનું દિવ્ય ઔષધ એક એ.

રામનામ તણી પ્રીતિ ત્યારથી પ્રકટી ગઈ,
શેષ જીવનને માટે આશીર્વાદ બની રહી,
ચિંતા-વ્યથા-ભયસ્થાનો-પ્રલોભનપ્રસંગમાં
સુરક્ષા કરતી કોઈ સંગિની સુખદા થઈ.

પ્રતિકૂળ પ્રસંગોથી જ્યારે ઘેરાય જિંદગી
મહાસંકટથી ચિંતા વેદના પરિતાપથી,
દિશા જડે નહીં એકે દેખાય કિરણો નહીં,
આશા સાફલ્ય જયનાં, મળે ચૈતન્ય ના કહીં,

અંધાર ઊમટે ભારે આત્માને ગૂંગળાવતો,
ઉલ્કાપાત મચે ચારે કોર ઉત્કટ ડારતો,
મૃત્યુના મુખમાંયે ના ત્યારે હિંમત હારવી,
પરમાત્મતત્વમાં સાચી શ્રદ્ધા અક્ષય હારવી.

સંબંધ એહની સાથે પ્રસ્થાપી આત્મતત્વનો
ચાખવો રસ આનંદે હંમેશા રામનામનો :
શાંતિ એ જ શકે અર્પી પાર પૂર્ણ કરી શકે
આધિવ્યાધિ તથા ભારે ઉપાધિ ભયસ્થાનથી.

એ જ જીવનને બક્ષે સુરક્ષા સ્નેહથી કરી
પ્રેરે પ્રકાશમાં મુક્તિ અર્પતાં અંધકારથી
બંધ દ્વાર બધાં ખોલે વાતાયન વિભિન્ન ને
છોડી સમીરલહરી ધરે નૂતન તાજગી.