if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ,
તા. ૨૧ ફેબ્રુ. ૧૯૪૫

પ્રિય આત્મન્ (બાબુભાઈ)

તારો પ્રેમભર્યો પત્ર પણ મળ્યો. વાંચી આનંદ થયો જે થોડાક વિશિષ્ટ આત્માઓ આ શરીર પર પ્રેમ રાખે છે તેમાં તું પણ છે. બહુ જ થોડા વખતમાં તારો સંબંધ ખૂબ ખૂબ દૃઢ બન્યો છે. એ તારી યોગ્યતા જ બતાવે છે.

તારામાં વ્યાકુળતા વિશેષ લાગે છે. પણ એકલી વ્યાકુળતાથી ચાલશે નહીં. ધીરજ પણ જોઈએ. માણસે સાક્ષાત્કાર કે દર્શનને માટે બહુ ઉતાવળા ના થવું. પ્રેમનો પરમ આસ્વાદ એ જ જીવનની ધન્યતા છે. તે પ્રેમની વિશેષ ને વિશેષ અનુભૂતિમાં જ સંતોષ હોવો જોઈએ. પ્રેમ પ્રાપ્ત થાય તો બીજા કયા ઈશ્વરની ઈચ્છા રહે ? પ્રેમ જ પરમ ઈશ્વર છે. કદાચ કોઈની કૃપાથી દર્શન આદિ થઈ ગયું તો પણ પ્રેમ નહિ હોય તો તેવા જીવનમાં આનંદ શો ? પ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકતો જ નથી. કમલ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ. તેવું જ ઈશ્વરનું છે. એટલે મૂળ વાત એ છે કે પ્રેમ પ્રકટાવવો, પ્રેમમય થવું. પ્રેમમાં જ મસ્ત રહેવું. આ પ્રેમ હૃદયમાં પ્રકટાવવો, તે મય થવું, ને તેને જગતના પ્રત્યેક સ્વરૂપમાં જોતાં શીખવું અને એ રીતે એકત્વનો અનુભવ કરવો એ જ સાક્ષાત્કાર છે. આ પ્રેમ પ્રકટે તો તમે ગમે તે રીતે તેનું દર્શન કરી શકો છો ને ન કરો તો પણ માત્ર આ પરમાનુભવથી જ શાંત ને કૃતકૃત્ય બની શકો છો.

આ પ્રેમ સંતમહાત્માઓના જીવનના પરિશીલનથી તેમ જ ઈશ્વર પ્રણિધાનથી હૃદયશુદ્ધિ થતાં પ્રકટે છે.

સાધકે હમેશાં ધીરજ રાખવી જોઈએ. અક્રોધ એ ખૂબ ઉંચો ગુણ છે. પણ સંસારમાં તેટલાથી ના ચાલે તો ફુંફાડો રાખવાની જરૂર છે. તેથી કાંઈ બગડી જતું નથી. જો કે ફુંફાડો પણ ના રાખવો પડે એ વધારે સારી સ્થિતિ છે.

   

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.