if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : કેટલાય માણસો તીર્થયાત્રા કરે છે. પણ તીર્થયાત્રા કરીને આવ્યા પછી તેમનામાં અનીતિ, કપટ, અપ્રમાણિકતા બધું એવું ને એવું જ રહે છે. આનું કારણ શું ?
ઉત્તર : આનું કોઈ એક જ કારણ નથી. ને કારણોની ચર્ચામાં ઉતરવા કરતાં ઉપાયોની ચર્ચામાં ઉતરવું વધારે સારું છે. આજે માણસો યાત્રા કરે છે. પણ યાત્રા કરવાનો ઉદ્દેશ પોતાના સુધારનો હોવો જોઈએ. તે ઉદ્દેશનો વિચાર કરતા નથી. એટલે યાત્રા કરીને આવ્યા પછી પણ જેવા ને તેવા જ રહે છે. મનના સુધાર પર માણસે ખૂબ ધ્યાન આપવું જોઈએ. તેવું ધ્યાન અપાય તો મન વિશુદ્ધ ને વિશુદ્ધ થતું જાય છે. ને તે તીર્થ બરાબર બની જાય છે. કેમ કે વિશુદ્ધ મન એક મોટું તીર્થ છે. આ વસ્તુ ખુબ ધ્યાનમાં રાખવી જોઈએ. તો જ તીર્થનું ફળ મળી શકે. નહિ તો આખી દુનિયાના તીર્થોમાં ફરી વળો તો ય શું ? જુઓને, કાગડો આકાશમાં કેટલો ઊંચે ઊડે છે. પણ નીચે આવે છે ત્યારે તેની નજર વિષ્ટા પર જ ચોંટે છે, તે કાશી જાય તો પણ કાંઈ કાળાનો ધોળો નહિ થાય. તેવી રીતે મનનો મેલ ના જાય, અંતરની કાલિમા દૂર કરી માનવ સ્વચ્છ ન બને, ને વાસનાના રસને ના છોડે, ત્યાં સુધી કંઈ જ ના વળે. આવી સ્વચ્છતા તરફ વધારે ધ્યાન અપાય તો તમે કરો છો તેવી ફરિયાદ કરવાની ના રહે.

પ્રશ્ન : અમે હિમાલયમાં રહી શકીએ ? કેટલીકવાર એમ થાય છે કે બધું છોડીને હિમાલયમાં જતા રહીએ.
ઉત્તર : હિમાલયમાં રહેવું હોય તો રહી શકાય પરંતુ હવામાન તેમજ ખાનપાનની ઘણી મુશ્કેલીઓ છે. તે છતાં તેને પણ સહન કરીને રહેવાનું બની શકે છે. માણસના મનોબળ પર તેનો આધાર રહે છે. પણ સૌથી મહત્વની વાત તો હિમાલય જવા ઉપડતાં પહેલાં ત્યાં જવાની યોગ્યતા મેળવવાની છે. પૂર્ણ ત્યાગ કે એકાંતસેવન કાંઈ સહેલું નથી. તે કરતાં પહેલાં ઘણા ઘણા નિયમો પાળવા પડે છે. સત્વગુણી થવું પડે છે, ચારિત્ર્ય ને સ્વભાવનું સંશોધન કરવું પડે છે. મનની દ્રઢતા સાધવી પડે છે, ને છેલ્લે ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર માટે તીવ્ર ભૂખ જગાવવી રહે છે. હિમાલય જેવાં પવિત્ર એકાંત સ્થળોમાં માણસે કંટાળીને કે દુઃખથી હતાશ થઈને જવાનું નથી. તેવી રીતે જવાથી તરત પાછા આવવું પડશે એ પણ નક્કી છે. ત્યાં તો પૂરતી સાધનાની તૈયારી પછી હૃદય જ્યારે એકાંતની સાધનાને ખૂબ ઝંખે ત્યારે જ પ્રવેશવાનું છે. એવું મહાન પગલું ભરતાં પહેલાં હજાર વાર વિચાર કરવો જોઈએ. ને નીચેના પ્રશ્નો હૃદયને પૂછી લેવા ઘટે.
(૧)  સત્વગુણી સ્વભાવ થયો છે ?
(૨)  તેને માટે પુરુષાર્થ કરો છો ?
(૩)  સત્ય, ન્યાય ને પ્રેમ જીવનમાં ઉતર્યા છે ?
(૪)  સંસારની અસારતા બરાબર સમજ્યા છો ?
(૫)  તેના પરિણામે કેવળ પ્રભુપ્રાપ્તિ કે અમર જીવનની દ્રઢ ઈચ્છા થઈ છે ?
(૬)  તે માટે યોગ, ભક્તિ કે જ્ઞાનમાર્ગે રૂચિ પ્રમાણે કોઈ સાધના કરી છે ?
(૭)  એકાંતનો ને મૌનનો અનુભવ કર્યો છે ?
(૮)  ટાઢ-તાપ, માનાપમાન બધું વેઠી શકો છો ?
(૯)  કેવલ ઈશ્વરપરાયણ થઈ સાધના કરી શકશો ?
(૧૦) ત્યાગ ના કરો તો ચાલે તેમ નથી ? ને શા માટે ?
(૧૧) સ્ત્રી, ધન ને કીર્તિ કે શરીરના લાલનની વાસના દૂર કરી છે ?
(૧૨) જીવનની છેલ્લી ક્ષણ સુધી તમારા આદર્શ માટે એકાંત સેવવું પડે તો તૈયાર છો ?
આ પ્રશ્નોના સારી પેઠે વિચાર કરીને 'હા’ માં ઉત્તર મળતો હોય તો પણ ત્યાગ કરતાં પહેલાં બની શકે તો ધીરજ રાખીને કોઈ મહાપુરૂષ કે જ્ઞાનીની સલાહ લેજો અથવા તમારા અંતરાત્માને વારંવાર પૂછજો. યાદ રાખજો કે ત્યાગ કોઈ સાહસ નથી કે આંખ મીંચીને મારવાનો કૂદકો પણ નથી. તે તો ચોક્કસ વિકાસ પછીની સ્વાભાવિક એવી અવસ્થા છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.